સુરત: થોડા દિવસો પહેલા પડેલા ભારે વરસાદને કારણે સુરત શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. ભારે વરસાદના કારણે વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન સહન કરવું પડ્યું હતું. આ નુકસાનની ભરપાઈ માટે રાજ્ય સરકારે વિશેષ રાહત પેકેજ જાહેર કર્યું છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ પેકેજની જાહેરાત કરતા જણાવ્યું કે સરકાર વેપારીઓને સીધી આર્થિક મદદ તેમજ ધંધો ફરી શરૂ કરવા માટે લોન પર વ્યાજ સહાય આપશે.
સરકારે જણાવ્યું છે કે જે વેપારીઓએ નિયમિત રીતે GST રિટર્ન ભર્યું હશે તેઓ આ સહાય માટે પાત્ર રહેશે. પેકેજ મુજબ લારી અને રેકડી ધારકોને ₹7,500, નાના કેબિન ધારકોને ₹25,000, 50 ફૂટથી મોટી દુકાન ધરાવતા વેપારીઓને ₹50,000 અને પાકી દુકાન ધરાવતા વેપારીઓને ₹1 લાખ સુધીની સીધી સહાય આપવામાં આવશે.
સરકારે વેપારીઓને ફરીથી ધંધો શરૂ કરવામાં મદદરૂપ થવા માટે વિશેષ લોન યોજનાની પણ જાહેરાત કરી છે. આગામી ત્રણ વર્ષ સુધી સરકાર લોન પર 7 ટકા વ્યાજ સહાય આપશે. જે વેપારીઓનું વાર્ષિક ટર્નઓવર ₹7 લાખ સુધી હશે તેમને ₹20 લાખ સુધીની લોન, ₹7.5 લાખ સુધીના ટર્નઓવર ધરાવતા વેપારીઓને ₹25 લાખ સુધીની લોન, જ્યારે તેનાથી વધુ ટર્નઓવર ધરાવતા વેપારીઓને ₹30 લાખ સુધીની લોન આપવામાં આવશે. સાથે જ અલગ-અલગ શ્રેણી મુજબ વ્યાજ સહાય પણ આપવામાં આવશે.
આ ઉપરાંત જેમના ઘર, દુકાન અથવા વેપારના સ્થળે વરસાદી પાણી ભરાયા હતા, તેમને એક વર્ષ માટે વેરામાંથી મુક્તિ આપવામાં આવશે. આ લાભ મેળવવા માટે વેપારીઓએ પાણી ભરાયા હોવાના ફોટા અથવા વીડિયો પુરાવા તરીકે રજૂ કરવાના રહેશે. આ અંગેની વિગતવાર માર્ગદર્શિકા જિલ્લા કલેક્ટર દ્વારા ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે અત્યાર સુધીમાં 19 હજારથી વધુ નાગરિકોને કેશડોલની સહાય ચૂકવવામાં આવી છે, જ્યારે વરસાદના કારણે રોજગાર ગુમાવનારા અથવા નોકરી-ધંધે જઈ શક્યા ન હતા એવા 36 હજારથી વધુ લોકોને આર્થિક સહાય આપવામાં આવી છે.
પૂરગ્રસ્ત વિસ્તારોમાં ઘરવખરી સહાય અને કેશડોલનું વિતરણ પણ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે. સાથે જ શહેરમાં આરોગ્ય સેવાઓને પુનઃસ્થાપિત કરવા માટે ડોર-ટુ-ડોર હેલ્થ ચેકઅપ, મેડિકલ કેમ્પો અને વિશેષ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. છેલ્લા એક અઠવાડિયાથી 9 હજારથી વધુ સ્વચ્છતા કર્મચારીઓ સતત મેદાનમાં રહી કામગીરી કરી રહ્યા છે.
સરકારના અંદાજ મુજબ આ સમગ્ર રાહત પેકેજના અમલીકરણથી આગામી ત્રણ વર્ષ દરમિયાન રાજ્યની તિજોરી પર અંદાજે ₹550 કરોડનો વધારાનો નાણાકીય ભાર પડશે. છતાં સરકારનું કહેવું છે કે પૂરગ્રસ્ત વેપારીઓ અને સામાન્ય નાગરિકોને ઝડપથી સામાન્ય જીવન તરફ પરત લાવવા માટે દરેક જરૂરી પગલાં લેવામાં આવશે.