નોઇડા: ઉત્તર પ્રદેશના નોઇડાના મમૂરા ગામમાં બુધવારે એક રહેણાંક ઇમારતમાં લાગેલી ભીષણ આગમાં બે લોકોના મોત થયા છે. ફેઝ-3 પોલીસ સ્ટેશન વિસ્તારની આ ઘટનામાં પ્રાથમિક તપાસ મુજબ ઇલેક્ટ્રિક સ્કૂટીની બેટરી ચાર્જિંગ દરમિયાન થયેલા સ્પાર્કના કારણે આગ ભભૂકી હતી. આગ એટલી ઝડપથી ફેલાઈ કે આસપાસ પાર્ક કરાયેલા અનેક પેટ્રોલ વાહનો પણ તેની ઝપેટમાં આવી ગયા હતા.
ઘટના સમયે ચાર માળની (G+4) ઇમારતમાં અંદાજે 50 પરિવારો રહેતા હતા. આગ અને ગાઢ ધુમાડો ફેલાતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને સ્થાનિક પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી.
ફાયર વિભાગે સાત ફાયર ટેન્ડર, હાઇડ્રોલિક પ્લેટફોર્મ અને અન્ય સાધનોની મદદથી આગ પર કાબૂ મેળવ્યો હતો. રેસ્ક્યૂ ઓપરેશન દરમિયાન ઇમારતમાં ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. જોકે ધુમાડાના કારણે બે લોકોની તબિયત ગંભીર રીતે બગડતાં તેમને એમ્બ્યુલન્સ મારફતે જિલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ એક મહિલા અને એક પુરુષને મૃત જાહેર કર્યા હતા.
પોલીસના જણાવ્યા મુજબ, મમૂરાની ગલી નંબર-2માં આવેલી ઇમારતમાં ચાર્જિંગ પર મુકાયેલા ઇલેક્ટ્રિક વાહનની બેટરીમાંથી નીકળેલી ચિંગારીના કારણે નજીકમાં ઉભેલા પેટ્રોલ વાહનોમાં આગ લાગી હતી. ત્યારબાદ આગે સમગ્ર ઇમારતને પોતાની ઝપેટમાં લઈ લીધી હતી. હાલ પોલીસ અને ફાયર વિભાગ ઘટનાના ચોક્કસ કારણોની તપાસ કરી રહ્યા છે તેમજ નુકસાનનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે.
આ ઘટનાને લઈને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તાત્કાલિક સંજ્ઞાન લીધું છે. તેમણે અધિકારીઓને ઘટનાસ્થળે પહોંચી રાહત અને બચાવ કામગીરીમાં વધુ ઝડપ લાવવા તેમજ ઘાયલોને શ્રેષ્ઠ સારવાર ઉપલબ્ધ કરાવવાના નિર્દેશ આપ્યા છે.
મુખ્યમંત્રીએ પ્રશાસનને તમામ સ્તરે સતર્ક રહેવા અને રાહત કામગીરી પર સતત નજર રાખવા પણ સૂચના આપી છે. સાથે જ સમગ્ર ઘટનાની વિગતવાર તપાસ કરીને જવાબદારો સામે જરૂરી કાર્યવાહી કરવા માટે પણ નિર્દેશ આપવામાં આવ્યા છે.