Home Blog Page 27

સુરત જિલ્લાના અંબિકા તાલુકામાં ભારે વરસાદથી પૂરની સ્થિતિ: નીચાણવાળા વિસ્તારોમાંથી ૨૯૫ લોકોનું સુરક્ષિત સ્થળાંતર

દક્ષિણ ગુજરાતમાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે સુરત જિલ્લાના અંબિકા તાલુકામાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. અવિરત વરસાદને પગલે અંબિકા નદી, ઓલણ નદી અને કોરવ ખાડીના જળસ્તરમાં નોંધપાત્ર વધારો થયો છે. બીજી તરફ તરકાણી ગામનું તળાવ ઓવરફ્લો થતાં આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે.

પરિસ્થિતિ ગંભીર બનતા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા હતા. અંબિકા તાલુકાના ઉમરા, કાંકરીયા, ભોરિયા, વાંક, હળદવા, મહુવરીયા અને તરકાણી સહિત 7 ગામોમાંથી કુલ 295 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે.

વહીવટી તંત્ર દ્વારા સ્થળાંતર કરાયેલા લોકો માટે રહેવા, ભોજન અને અન્ય જરૂરી સુવિધાઓની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉમરા મુખ્ય પ્રાથમિક શાળા અને તરકાણી મુખ્ય પ્રાથમિક શાળામાં આશ્રય કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત કેટલાક પરિવારોને તેમના સગા-સંબંધીઓના ઘરે તેમજ નજીકના સુરક્ષિત મકાનોમાં પણ ખસેડવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ ઉમરા ગામમાંથી 60, કાંકરીયામાંથી 54, ભોરિયામાંથી 60, વાંકમાંથી 9, હળદવામાંથી 63, મહુવરીયામાંથી 6 અને તરકાણી ગામમાંથી 43 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.

23 જુલાઈની વહેલી સવારથી મામલતદાર કચેરી અને જિલ્લા વહીવટી તંત્રની ટીમો અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચી હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. હાલ તંત્ર દ્વારા નદી-ખાડીના જળસ્તર અને અસરગ્રસ્ત ગામોની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.

ગુજરાતમાં ક્યાં ક્યાં અને કેટલો વરસાદ પડ્યો? તાલુકાઓની સંપૂર્ણ યાદી

0

ગુજરાતમાં ગુરુવારની સવારથી જ અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC)ના આંકડા મુજબ, સવારે 6 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધીના માત્ર 6 કલાકમાં સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં સૌથી વધુ 11.14 ઇંચ વરસાદ નોંધાયો હતો.

આ સમયગાળા દરમિયાન રાજ્યના 50 તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. જેમાં વલસાડ જિલ્લાના ઉમરગામમાં 9.88 ઇંચ, ભરૂચના નેત્રંગમાં 6.89 ઇંચ, વલસાડના પારડીમાં 6.61 ઇંચ, નવસારીના ખેરગામમાં 6.46 ઇંચ, વલસાડના નાનાપોંઢામાં 5.43 ઇંચ અને મહેસાણાના બેચરાજીમાં 5.12 ઇંચ વરસાદ નોંધાયો હતો.

અન્ય ભારે વરસાદવાળા વિસ્તારોમાં ડાંગ જિલ્લાના વઘઈ અને તાપી જિલ્લાના ઉકાઈમાં 4.92 ઇંચ, કપરાડામાં 4.84 ઇંચ, વ્યારામાં 4.57 ઇંચ, ધરમપુરમાં 4.53 ઇંચ, વાંસદામાં 4.45 ઇંચ અને નર્મદા જિલ્લાના ચિકદામાં 4.41 ઇંચ વરસાદ નોંધાયો હતો.

અમદાવાદ જિલ્લામાં પણ સવાર બાદ વરસાદનું જોર વધ્યું હતું. અમદાવાદ શહેરમાં સવારે 6થી બપોરે 12 વાગ્યા દરમિયાન 2.60 ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે વિરમગામમાં 3.23 ઇંચ, ડેટ્રોજ-રામપુરામાં 2.20 ઇંચ, માંડલમાં 2.09 ઇંચ, ધોળકામાં 1.65 ઇંચ, ધંધુકામાં 1.46 ઇંચ, દસ્ક્રોઈમાં 0.98 ઇંચ, બાવળામાં 0.91 ઇંચ, સાનંદમાં 0.67 ઇંચ અને ધોળેરામાં 0.16 ઇંચ વરસાદ નોંધાયો હતો.

રાજ્યના અન્ય મોટા શહેરોમાં સુરત શહેરમાં 1.93 ઇંચ, ભરૂચમાં 3.39 ઇંચ, વાપીમાં 3.78 ઇંચ, વલસાડ શહેરમાં 3.39 ઇંચ અને નવસારીમાં 1.22 ઇંચ વરસાદ નોંધાયો હતો.

હાલમાં સૌથી વધુ વરસાદનો પ્રભાવ દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, નવસારી, ભરૂચ, તાપી, ડાંગ અને નર્મદા જિલ્લામાં જોવા મળી રહ્યો છે. સતત વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની અને જનજીવન પર અસર થવાની સ્થિતિ ઉભી થઈ છે. તંત્ર દ્વારા સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.

ચારધામ યાત્રા બની વધુ સરળ, 900 મીટરની ટનલ તૈયાર; અઢી વર્ષના વિલંબ બાદ પ્રોજેક્ટ પૂર્ણ

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રાને વધુ સુરક્ષિત અને સુવિધાજનક બનાવવા માટે ચાલી રહેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં મોટી સફળતા મળી છે. રુદ્રપ્રયાગ જિલ્લામાં બદ્રીનાથ અને કેદારનાથ નેશનલ હાઇવેને જોડતી 900 મીટર લાંબી સુરંગનું નિર્માણ પૂર્ણ થઈ ગયું છે. આ સુરંગ શરૂ થયા બાદ યાત્રાળુઓને લાંબા ટ્રાફિક જામ અને મુશ્કેલ પહાડી રસ્તાઓથી મોટી રાહત મળશે.

ચારધામ યાત્રા દેશની સૌથી મહત્વપૂર્ણ ધાર્મિક યાત્રાઓમાં સામેલ છે, જેમાં દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રી ધામ પહોંચે છે. જોકે, પહાડી વિસ્તારોમાં સાંકડા રસ્તા, ભૂસ્ખલન અને ટ્રાફિકની સમસ્યાને કારણે યાત્રા ઘણી વખત પડકારજનક બની રહે છે.

નવી તૈયાર થયેલી સુરંગ ઋષિકેશ-બદ્રીનાથ નેશનલ હાઇવે અને કેદારનાથ નેશનલ હાઇવે વચ્ચે સીધી કનેક્ટિવિટી ઉભી કરશે. આ પ્રોજેક્ટમાં અલકનંદા નદી પર 200 મીટર લાંબા બે લેનના પુલનું નિર્માણ પણ સામેલ છે, જેનું કામ અંતિમ તબક્કામાં છે.

હાલમાં રુદ્રપ્રયાગના બજાર વિસ્તારમાંથી પસાર થતો માર્ગ ભારે વાહન વ્યવહારને કારણે વારંવાર જામની સ્થિતિ સર્જે છે. નવી સુરંગ અને પુલ શરૂ થયા બાદ વાહનોને વૈકલ્પિક માર્ગ મળશે અને યાત્રાનો સમય પણ ઘટશે.જોકે આ પ્રોજેક્ટ નિર્ધારિત સમય કરતાં અંદાજે અઢી વર્ષ મોડો પૂર્ણ થયો છે. પહાડી વિસ્તારની જટિલ ભૌગોલિક સ્થિતિ, હવામાન અને બાંધકામ સંબંધિત પડકારોના કારણે કામમાં વિલંબ થયો હતો.

આ પ્રોજેક્ટ ચારધામ ઓલ વેધર રોડ કનેક્ટિવિટી યોજનાનો મહત્વપૂર્ણ ભાગ માનવામાં આવે છે. સરકારનો ઉદ્દેશ્ય યાત્રાળુઓને વધુ સુરક્ષિત, ઝડપી અને આરામદાયક મુસાફરીની સુવિધા આપવાનો છે.

દિલ્હી CJP પ્રદર્શનનો CCTV આવ્યો સામે, પોલીસ પર પથ્થર અને બોટલોથી હુમલાનો આરોપ

0

રાજધાની દિલ્હીમાં CJP વિરોધ પ્રદર્શન દરમિયાન થયેલા હંગામા બાદ એક CCTV ફૂટેજ સામે આવ્યો છે, જેમાં કેટલાક લોકો પોલીસ અને રેપિડ એક્શન ફોર્સ (RAF)ના જવાનો પર પથ્થર અને કાચની બોટલો ફેંકતા જોવા મળી રહ્યા છે. દિલ્હી પોલીસે આ ફૂટેજની પુષ્ટિ કરી હોવાનું જણાવાયું છે.

પોલીસના જણાવ્યા અનુસાર, આ CCTV ફૂટેજ 20 જુલાઈના રોજ થયેલા વિરોધ પ્રદર્શન દરમિયાનનો છે. ફૂટેજમાં કેટલાક ઉપદ્રવી તત્વો રસ્તા પર પથ્થરમારો કરતા અને આસપાસની દુકાનો તથા પેટ્રોલ પંપને નિશાન બનાવતા દેખાઈ રહ્યા છે. કેટલાક લોકો કાચની બોટલો તોડી તેનો ઉપયોગ હુમલા માટે કરતા હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે.

CJPના જંતર-મંતર વિરોધ પ્રદર્શન દરમિયાન સ્થિતિ તંગ બની ગઈ હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે, પ્રદર્શનકારીઓના એક જૂથે સુરક્ષા દળો તરફ પથ્થર અને બોટલો ફેંકી હતી, જેના કારણે કેટલાક પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. સ્થિતિ કાબૂમાં લેવા માટે પોલીસ અને RAFએ ભીડને વિખેરવા માટે કાર્યવાહી કરી હતી.

દિલ્હી પોલીસે હવે CCTV અને અન્ય વીડિયો ફૂટેજના આધારે હંગામામાં સામેલ લોકોની ઓળખ શરૂ કરી છે. અધિકારીઓનું કહેવું છે કે પુરાવાના આધારે જવાબદાર લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

CJPનું આ પ્રદર્શન પરીક્ષા પેપર લીક મુદ્દે ચાલી રહેલા વિરોધનો ભાગ છે, જે દરમિયાન દિલ્હી પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે અનેક વખત અથડામણની સ્થિતિ સર્જાઈ છે.

NEET પેપર લીક મુદ્દે ચાલી રહેલા CJP પ્રોટેસ્ટ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોટી જાહેરાત કરી

સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં વારંવાર સામે આવતી પેપર લીકની ઘટનાઓ સામે કેન્દ્ર સરકારે કડક વલણ અપનાવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી કે પેપર લીક જેવા ગંભીર ગુનાઓની ઝડપથી સુનાવણી અને દોષિતોને કડક સજા સુનિશ્ચિત કરવા માટે ફાસ્ટ-ટ્રેક કોર્ટની વ્યવસ્થા કરવામાં આવશે. તેમણે કહ્યું કે દેશના યુવાનોનું ભવિષ્ય અને તેમનું હિત સરકાર માટે સર્વોચ્ચ પ્રાથમિકતા છે.

ફાસ્ટ-ટ્રેક કોર્ટ કોઈ નવી ન્યાયિક વ્યવસ્થા નથી, પરંતુ હાલની અદાલતોમાંથી પસંદ કરાયેલી એવી વિશેષ કોર્ટ છે, જેને ચોક્કસ પ્રકારના કેસોની પ્રાથમિકતા સાથે સુનાવણી કરવાની જવાબદારી સોંપવામાં આવે છે. આવી કોર્ટોમાં નિમણૂક કરાયેલા ન્યાયાધીશો માત્ર નિર્ધારિત કેસો પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જેના કારણે સુનાવણીમાં અનાવશ્યક વિલંબ ઓછો થાય છે અને ચુકાદા ઝડપથી આવી શકે છે.

સામાન્ય અદાલતોમાં વિવિધ પ્રકારના નાગરિક અને ફોજદારી કેસોની મોટી સંખ્યામાં સુનાવણી થતી હોવાથી કેસો વર્ષો સુધી લંબાઈ શકે છે. જ્યારે ફાસ્ટ-ટ્રેક કોર્ટમાં મર્યાદિત અને ચોક્કસ કેસોની જ સુનાવણી થાય છે. અહીં સતત સુનાવણી, ઓછા મુલતવીકરણ અને પ્રાથમિકતા આધારે કાર્યવાહી થતી હોવાથી ન્યાયિક પ્રક્રિયા વધુ ઝડપી બને છે.

તાજેતરમાં વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પેપર લીકના આરોપોને લઈને દેશભરમાં ચિંતા વ્યક્ત થઈ હતી. સરકારનું માનવું છે કે આવા કેસોમાં ઝડપથી તપાસ પૂર્ણ કરીને કોર્ટમાં સુનાવણી અને કડક સજા થશે તો ભવિષ્યમાં પેપર લીક જેવા ગુનાઓ પર અસરકારક અંકુશ લાગી શકશે. સાથે જ લાખો મહેનતુ વિદ્યાર્થીઓનો વિશ્વાસ પણ પરીક્ષા પ્રણાલી પર વધુ મજબૂત બનશે.

₹52 લાખ રોકડા, ₹4 કરોડનું સોનું અને અનેક ફ્લેટ જપ્ત; તેલંગાણાનો કરોડપતિ એન્જિનિયર ઝડપાયો

0

તેલંગાણા એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ બુધવારે રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ કોર્પોરેશન (REDCO)ના ડિવિઝનલ ઈજનેર મુત્યમ વેંકટ રમણા વિરુદ્ધ આવક કરતાં વધુ સંપત્તિ (Disproportionate Assets) કેસમાં મોટી કાર્યવાહી હાથ ધરી હતી. ACBની ટીમે તેમના નિવાસસ્થાન, કચેરી તેમજ સંબંધીઓ, સહયોગીઓ અને કથિત બેનામીદારો સાથે જોડાયેલા કુલ આઠ સ્થળોએ એકસાથે દરોડા પાડ્યા હતા.

તપાસ દરમિયાન અધિકારીઓને રમણાની જાણીતી આવકના સ્ત્રોત કરતાં ઘણી વધુ સંપત્તિના પુરાવા મળ્યા હોવાનું જણાવાયું છે. આ આધારે પ્રિવેન્શન ઑફ કરપ્શન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

દરોડા દરમિયાન સેરિલિંગમપલ્લી અને કુકટપલ્લી વિસ્તારમાં ચાર રહેણાંક ફ્લેટ મળી આવ્યા, જેમની નોંધણી મુજબની કિંમત અંદાજે ₹1.23 કરોડ છે. ઉપરાંત કુકટપલ્લીના અંજનેયા નગરમાં આવેલી G+3 કોમર્શિયલ બિલ્ડિંગની કિંમત આશરે ₹1.82 કરોડ અને સેરિલિંગમપલ્લીના ગુટ્ટાલા બેગમપેટ વિસ્તારમાં આવેલી G+5 કોમર્શિયલ બિલ્ડિંગની નોંધાયેલ કિંમત લગભગ ₹2.90 કરોડ હોવાનું સામે આવ્યું છે.

તપાસમાં એ પણ બહાર આવ્યું કે આરોપીએ પોતાની પત્નીના નામે નોંધાયેલી ચાર કન્સ્ટ્રક્શન કંપનીઓ મારફતે રિયલ એસ્ટેટમાં મોટા પ્રમાણમાં રોકાણ કર્યું હતું. અંજનેયા નગર અને મૂસાપેટ વિસ્તારમાં દસ રહેણાંક એપાર્ટમેન્ટ પ્રોજેક્ટ વિકસાવવામાં આવી રહ્યા છે, જેમાં અંદાજે ₹20 કરોડનું રોકાણ હોવાનું માનવામાં આવે છે.

આ ઉપરાંત ACBને ₹52.02 લાખની બેંક ડિપોઝિટ, અંદાજે ₹4 કરોડના 2.09 કિલોગ્રામ સોનાના દાગીના, લગભગ ₹45 લાખ કિંમતની ત્રણ કાર, ₹30 લાખના ઘરગથ્થુ સામાન અને ઇલેક્ટ્રોનિક્સ તેમજ અંદાજે ₹2.5 લાખની કિંમતની 20 દારૂની બોટલો મળી આવી છે.

અત્યાર સુધી મળી આવેલી સંપત્તિની સત્તાવાર કિંમત લગભગ ₹27.65 કરોડ આંકવામાં આવી છે. જોકે રિયલ એસ્ટેટ નિષ્ણાતોના મતે વર્તમાન બજારભાવ મુજબ તેની કુલ કિંમત ₹100થી ₹150 કરોડ વચ્ચે હોઈ શકે છે. ACB હાલમાં તમામ સંપત્તિ, રોકાણ અને સંભવિત બેનામી હોલ્ડિંગ્સની વિગતવાર ચકાસણી કરી રહી છે.

તપાસમાં એ પણ સામે આવ્યું છે કે મુત્યમ વેંકટ રમણા વર્ષ 2019માં લાંચ લેવાના ટ્રેપ કેસમાં પણ ઝડપાયા હતા. તે સમયે ₹25 હજારની લાંચ સ્વીકારતા તેમની ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ રોકડ તેમજ સોનાના દાગીના પણ જપ્ત કરવામાં આવ્યા હતા. હાલ આરોપીને વિશેષ અદાલતમાં રજૂ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જ્યારે અપ્રમાણસર સંપત્તિના કેસની તપાસ હજુ ચાલુ છે.

ગુજરાતમાં મેઘતાંડવ: ઉમરગામમાં 24 કલાકમાં 36 ઈંચથી જનજીવન ઠપ્પ, બોટથી રેસ્ક્યૂ; અમદાવાદ-સુરતમાં પણ ધોધમાર વરસાદ

0

ગુજરાતમાં ચોમાસાએ ફરી એકવાર રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં છેલ્લા 24 કલાક દરમિયાન અંદાજે 36 ઈંચ જેટલો વરસાદ નોંધાતા રસ્તાઓ, રહેણાંક વિસ્તારો અને નીચાણવાળા ગામોમાં પાણી ફરી વળ્યા છે. અનેક લોકો ઘરોમાં ફસાઈ જતા તંત્ર દ્વારા બોટની મદદથી રેસ્ક્યૂ કામગીરી હાથ ધરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સ્થિતિ યથાવત રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે.

ઉમરગામ ઉપરાંત વાપી, પારડી અને આસપાસના વિસ્તારોમાં નદીઓ અને ખાડીઓમાં જળસ્તર ઝડપથી વધ્યું છે. અનેક માર્ગો પર પાણી ભરાતા વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે. જિલ્લા વહીવટીતંત્ર, NDRF અને સ્થાનિક બચાવ ટીમો સતત પેટ્રોલિંગ કરી રહી છે અને નીચાણવાળા વિસ્તારોના લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે.

રાજ્યની રાજધાની અમદાવાદમાં પણ ગુરુવારે ધોધમાર વરસાદ વરસ્યો હતો. શહેરના અનેક મુખ્ય માર્ગો, અંડરપાસ અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં ટ્રાફિક પર ગંભીર અસર જોવા મળી હતી. અનેક વિસ્તારોમાં વાહનો ધીમે ધીમે પસાર થતા લાંબા ટ્રાફિક જામ સર્જાયા હતા.

સુરત શહેરમાં માત્ર ચાર કલાકમાં આશરે 4 ઈંચ વરસાદ નોંધાતા શહેર ફરી જળબંબાકાર બન્યું. અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, જ્યારે શહેરની બે ખાડીઓ ઓવરફ્લો થતાં તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોના લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. સ્ટોર્મ ડ્રેનેજ સિસ્ટમ પર પણ ભારે દબાણ સર્જાયું છે.

ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા દક્ષિણ ગુજરાતના ત્રણ જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગામી 24 કલાક દરમિયાન અત્યંત ભારે વરસાદ, વીજળીના કડાકા અને તેજ પવનની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા, નદી-ખાડીના કિનારેથી દૂર રહેવા અને વહીવટી તંત્રની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે.

સુરતીજનોને રાત્રે ૮ વાગ્યા સુધીમાં સલામત ઘરે પહોંચી જવા મ્યુનિસિપલ કમિશનરની ભાવુક અપીલ

ડાયમંડ અને ટેક્સટાઇલ સિટી સુરત પર ફરી એકવાર જળબંબાકાર અને ‘ખાડી પૂર’નું ગંભીર સંકટ તોળાઈ રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા મધ્યરાત્રિથી સવારના ૪ વાગ્યા દરમિયાન શહેર અને આસપાસના વિસ્તારોમાં અત્યંત ભારેથી અતિભારે વરસાદનું ‘રેડ એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે. પૂર અને જળભરાવની ભયાનક સ્થિતિને ધ્યાનમાં રાખીને મનપા કમિશનરે તમામ સુરતીજનોને રાત્રે ૮:૦૦ વાગ્યા સુધીમાં પોતપોતાના ઘેર પહોંચી જવા અને સુરક્ષિત રહેવા જાહેર અપીલ કરી છે.

સુરત મનપા તંત્ર ‘હાઈ એલર્ટ’ મોડ પરહવામાન ખાતાની ડરામણી આગાહીને પગલે સુરત મહાનગરપાલિકાનું સમગ્ર તંત્ર હાઈ એલર્ટ પર મૂકી દેવામાં આવ્યું છે. નીચાણવાળા અને ખાડી કિનારાના વિસ્તારોમાં પાણી ભરાવાની મોટી સંભાવનાને પગલે ફાયર બ્રિગેડ, ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ અને ડ્રેનેજ વિભાગને સ્ટેન્ડબાય રાખી દેવાયા છે.

નાગરિકો માટે તંત્રની મુખ્ય માર્ગદર્શિકા

  • ઝડપથી ઘેર પહોંચો: રાત્રે ૮ વાગ્યા સુધીમાં તમામ સુરતીઓ પોતપોતાના સ્થાને સુરક્ષિત પહોંચી જાય.
  • અનાવશ્યક પ્રવાસ ટાળો: મધ્યરાત્રિ પછી કોઈ પણ સંજોગોમાં ઘરની બહાર નીકળવાનું સાહસ ન કરવું.
  • અફવાઓથી બચો: માત્ર મનપા અને સરકારી તંત્રની સત્તાવાર સૂચનાઓ પર જ વિશ્વાસ રાખવો.
  • નીચાણવાળા વિસ્તારના લોકો જાગૃત રહે: ખાડી કિનારે રહેતા લોકોને જરૂરી સામાન સુરક્ષિત સ્થળે ખસેડી લેવા જણાવવામાં આવ્યું છે.

શહેર પર તોળાઈ રહેલા આ કુદરતી સંકટ સામે તંત્ર સજ્જ છે, પરંતુ જાનમાલની સુરક્ષા માટે પ્રશાસને નાગરિકોને સહયોગ આપવા અને સાવચેતી રાખવા આગ્રહભરી વિનંતી કરી છે.

કેન-બેતવા નદી જોડાણ પ્રોજેક્ટ સામે ગ્રામજનોનો વિરોધ: વિકાસની કિંમત કોણ ચૂકવશે?

0

જંતર-મંતર પરના આંદોલનો દેશવ્યાપી ચર્ચાનો વિષય બને છે, પરંતુ મધ્યપ્રદેશમાં કેન-બેતવા નદી જોડાણ પ્રોજેક્ટ સામે પોતાના ઘર અને જંગલો બચાવવા બેઠેલા આદિવાસીઓનો અવાજ હજુ મર્યાદિત વર્તુળોમાં જ સંભળાઈ રહ્યો છે. આંદોલનકારીઓનું કહેવું છે કે પ્રોજેક્ટથી અનેક ગામો, જંગલો અને લોકોના જીવન પર અસર પડશે. બીજી તરફ સરકાર આ પ્રોજેક્ટને પાણી, સિંચાઈ અને વિકાસ માટે મહત્વપૂર્ણ ગણાવે છે. આ મુદ્દાએ ફરી એકવાર વિકાસ અને સ્થાનિક લોકોના અધિકારો વચ્ચે સંતુલન કેવી રીતે જાળવવું તે અંગે ચર્ચા તેજ કરી છે.

મધ્યપ્રદેશના છતરપુર જિલ્લામાં પ્રોજેક્ટથી અસરગ્રસ્ત ગ્રામજનો છેલ્લા કેટલાક દિવસોથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. જોકે 15 દિવસ સુધી ચાલેલા આંદોલનને 19 જુલાઈએ પોલીસ કાર્યવાહી બાદ સમાપ્ત કરવામાં આવ્યું હતું.

ગ્રામજનોનો મુખ્ય વિરોધ પ્રોજેક્ટ સામે નહીં પરંતુ યોગ્ય વળતર, જમીનના અધિકાર અને સન્માનજનક પુનર્વસનને લઈને છે. અસરગ્રસ્ત આદિવાસી પરિવારોનો આરોપ છે કે બાંધકામ આગળ વધારવામાં આવી રહ્યું છે, પરંતુ તમામ પરિવારોને યોગ્ય રીતે પુનર્વસનની સુવિધા મળી નથી. વિરોધ દરમિયાન મહિલાઓએ ‘ચિતા આંદોલન’ અને ‘ફાંસી સત્યાગ્રહ’ જેવા પ્રતીકાત્મક પ્રદર્શન કરીને પોતાની માંગો સરકાર સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો.

કેન-બેતવા લિંક પ્રોજેક્ટ દેશની પ્રથમ મોટી નદી જોડાણ યોજનાઓમાં સામેલ છે. સરકાર મુજબ આ યોજના દ્વારા બુન્દેલખંડ વિસ્તારમાં સિંચાઈ સુવિધા વધારવા, પીવાનું પાણી પહોંચાડવા અને વીજ ઉત્પાદનનો ઉદ્દેશ છે. પ્રોજેક્ટમાં મધ્યપ્રદેશના છતરપુર અને પન્ના જિલ્લાનો મોટો વિસ્તાર અસરગ્રસ્ત થવાની શક્યતા છે.

વિરોધ કરી રહેલા લોકોનું કહેવું છે કે જમીન ગુમાવવાનો અર્થ માત્ર ઘર ગુમાવવું નથી, પરંતુ તેમની ખેતી, જંગલ આધારિત જીવનશૈલી અને સામાજિક ઓળખ પર પણ અસર પડે છે. કેટલાક આંદોલનકારીઓએ જમીન સર્વે, વળતર પ્રક્રિયા અને પુનર્વસન વ્યવસ્થામાં અનિયમિતતાના આરોપ લગાવ્યા છે.

બીજી તરફ, વહીવટીતંત્રનું કહેવું છે કે પુનર્વસન પેકેજમાં સુધારા કરવામાં આવ્યા છે અને પાત્ર પરિવારોને નિયમ મુજબ લાભ આપવામાં આવી રહ્યા છે. અધિકારીઓના જણાવ્યા મુજબ કેટલીક બાકી માંગણીઓની સમીક્ષા કરવામાં આવી રહી છે.

આ પ્રોજેક્ટને લઈને પર્યાવરણના મુદ્દા પણ ચર્ચામાં છે. ખાસ કરીને પન્ના ટાઇગર રિઝર્વ અને જંગલ વિસ્તાર પર થનારી અસર અંગે પર્યાવરણવિદોએ ચિંતા વ્યક્ત કરી છે. હવે સૌથી મોટો પડકાર એ છે કે વિકાસની સાથે અસરગ્રસ્ત લોકોના અધિકારો અને પર્યાવરણનું સંતુલન કેવી રીતે જાળવવામાં આવે.

વરસાદથી તરબોળ દક્ષિણ ગુજરાત માટે અઠવાડિયું ભારે, નવસારી, વલસાડ અને દાનહ માટે રેડ એલર્ટ, સુરત, ડાંગ, તાપી નર્મદા માટે ઓરેન્જ એલર્ટ

0

ગુજરાતમાં ચોમાસું ફરી સક્રિય બન્યું છે અને રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદ નોંધાઈ રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી સાત દિવસ રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં હળવાથી લઈને અતિભારે વરસાદ વરસી શકે છે.

છેલ્લા 24 કલાકમાં વલસાડ અને નવસારી જિલ્લામાં અત્યંત ભારે વરસાદ નોંધાયો છે, જ્યારે સુરત, દમણ, દાદરા અને નગર હવેલી સહિતના વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડ્યો છે. ભારે વરસાદની શક્યતાને ધ્યાનમાં રાખીને તંત્રને પણ સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.

હવામાન નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં અનેક વરસાદી સિસ્ટમો સક્રિય બની છે. ચોમાસાનો ટ્રફ ઉત્તર ભારતથી ઉત્તરપશ્ચિમ બંગાળની ખાડી તરફ વિસ્તરેલો છે, જ્યારે રાજસ્થાન, બંગાળની ખાડી અને ગુજરાત આસપાસના વિસ્તારોમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની સ્થિતિ સર્જાઈ છે. જેના કારણે વરસાદનું જોર વધવાની શક્યતા છે.

આગામી દિવસોમાં નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. જ્યારે સુરત, ડાંગ, તાપી, નર્મદા, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને અન્ય કેટલાક જિલ્લાઓમાં ઑરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.

23 અને 24 જુલાઈ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર વધુ રહેવાની શક્યતા છે. ત્યારબાદ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી સહિતના વિસ્તારોમાં પણ ભારે વરસાદ વરસી શકે છે. અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સાથે છૂટાછવાયા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને નદી-નાળા અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. આગામી એક સપ્તાહ ગુજરાત માટે વરસાદની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ રહેવાની સંભાવના છે.