Home Blog Page 26

વલસાડથી અમદાવાદ સુધી સેનાની મદદ, પૂર રાહત માટે Golden Katar Division તૈનાત

0

ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે ઉભી થયેલી પૂર જેવી સ્થિતિ વચ્ચે ભારતીય સેનાની Golden Katar Divisionને રાહત અને બચાવ કામગીરી માટે મેદાનમાં ઉતારવામાં આવી છે. વલસાડ, નવસારી તેમજ અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં સેનાની પૂર રાહત ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે.

સેનાના જવાનો પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવા, જરૂરી સામગ્રી પહોંચાડવા અને સ્થાનિક તંત્રને રાહત કામગીરીમાં સહયોગ આપી રહ્યા છે. નવસારીના કેટલાક અસરગ્રસ્ત વિસ્તારોમાં પણ સેનાની ટીમો દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે.

Golden Katar Division ભારતીય સેનાની મહત્વપૂર્ણ ઇન્ફેન્ટ્રી ડિવિઝન છે, જેને સત્તાવાર રીતે 11મી ઇન્ફેન્ટ્રી ડિવિઝન તરીકે ઓળખવામાં આવે છે. તેનું મુખ્ય મથક અમદાવાદમાં આવેલું છે અને તે સેનાની Southern Command હેઠળ કાર્ય કરે છે.

રાજ્યમાં સતત વરસાદને કારણે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં પાણી ભરાવાની અને પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. વહીવટી તંત્ર દ્વારા ચાલી રહેલી રાહત અને બચાવ કામગીરીને વધુ મજબૂત બનાવવા માટે સેનાની મદદ લેવામાં આવી છે.

ભારે વરસાદથી રેલવે સેવા ખોરવાઈ: પશ્ચિમ રેલવેએ 15 ટ્રેનો રદ કરી, મુંબઈ-સુરત-વલસાડ રૂટ સૌથી વધુ અસરગ્રસ્ત

0

ગુજરાત અને મહારાષ્ટ્રમાં પડી રહેલા ભારે વરસાદને કારણે પશ્ચિમ રેલવેની કામગીરી પર મોટી અસર પડી છે. રેલવે ટ્રેક પર પાણી ભરાવા અને ઓપરેશનલ મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ 24 જુલાઈના રોજ 15 ટ્રેનો સંપૂર્ણપણે રદ કરવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત એક સ્પેશિયલ ટ્રેનનું સમયપત્રક બદલવામાં આવ્યું છે, જ્યારે બે ટ્રેનોને આંશિક રીતે રદ અથવા ટૂંકાવવામાં આવી છે.

મુંબઈ-અમદાવાદ રેલ રૂટ પર ભારે વરસાદની અસર જોવા મળી છે. ખાસ કરીને ઘોલવડ-ઉમરગામ રોડ વચ્ચેના વિસ્તારમાં પાણીનું સ્તર વધતા ટ્રેન વ્યવહારને અસર પહોંચી હતી. મુસાફરોને મુસાફરી પહેલાં પોતાની ટ્રેનનું સ્ટેટસ તપાસવાની સલાહ આપવામાં આવી છે.

સંપૂર્ણપણે રદ કરાયેલી 15 ટ્રેનોની યાદી
ટ્રેન નંબર ટ્રેનનું નામ/રૂટ
19002 સુરત – વિરાર
22444 બાંદ્રા ટર્મિનસ – કાનપુર સેન્ટ્રલ
19011 વલસાડ – દાહોદ
22953 મુંબઈ સેન્ટ્રલ – અમદાવાદ જંક્શન
20959 વલસાડ – વડનગર
20901 મુંબઈ સેન્ટ્રલ – ગાંધીનગર કેપિટલ
59049 વલસાડ – વડોદરા જંક્શન
12009 મુંબઈ સેન્ટ્રલ – અમદાવાદ જંક્શન (શતાબ્દી)
12935 બાંદ્રા ટર્મિનસ – સુરત
69139 બોરીવલી – વલસાડ
59045 મુંબઈ સેન્ટ્રલ – વાપી
59024 વલસાડ – મુંબઈ સેન્ટ્રલ
19010 વિરાર – ભરૂચ જંક્શન
69161 વિરાર – સુરત
59039 વિરાર – વલસાડ

બે ટ્રેનો આંશિક રીતે પ્રભાવિત
04727 હિસાર-વલસાડ એક્સપ્રેસ: ટ્રેનને મરોલી ખાતે ટૂંકાવવામાં આવી છે. મરોલીથી વલસાડ વચ્ચેની સેવા રદ રહેશે.
22955 બાંદ્રા ટર્મિનસ-ભુજ એક્સપ્રેસ: હવે આ ટ્રેન બાંદ્રા ટર્મિનસના બદલે સુરતથી શરૂ થશે. બાંદ્રા ટર્મિનસથી સુરત વચ્ચેનો ભાગ રદ રહેશે.

રેલવે પ્રશાસને જણાવ્યું છે કે વરસાદી પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને સ્થિતિ સામાન્ય થયા બાદ ટ્રેન સેવા તબક્કાવાર પૂર્વવત કરવામાં આવશે. મુસાફરોને સત્તાવાર રેલવે અપડેટ્સ ચેક કરવાની અપીલ કરવામાં આવી છે.

અલ-નીનો નહીં, PDO બન્યું ગુજરાતમાં અતિભારે વરસાદનું મોટું કારણ? જાણો શું કહે છે વૈજ્ઞાનિકો

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી પડેલા અતિભારે વરસાદે જનજીવનને ગંભીર અસર પહોંચાડી છે. નવસારી, સુરત, વલસાડ અને અમદાવાદ જિલ્લાના અનેક વિસ્તારોમાં થોડા જ કલાકોમાં 400 મિમીથી વધુ વરસાદ નોંધાયો, જેના કારણે નદીઓમાં પૂર, રસ્તાઓ પર જળબંબાકાર અને ખેતીને ભારે નુકસાન થયું છે. હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ આ સ્થિતિ માત્ર એક વરસાદી સિસ્ટમનું પરિણામ નથી, પરંતુ વૈશ્વિક આબોહવાની પ્રક્રિયાઓ પણ તેમાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે.

તાજેતરમાં વૈજ્ઞાનિકોમાં ચર્ચાનો વિષય બન્યો છે પેસિફિક ડેકેડલ ઓસિલેશન (PDO). PDO એ પ્રશાંત મહાસાગરના સપાટી તાપમાનમાં દાયકાઓ સુધી ચાલતા ફેરફારોનું ચક્ર છે. હાલમાં PDO મજબૂત નેગેટિવ ફેઝમાં હોવાનું માનવામાં આવે છે, જે ભારતીય દક્ષિણ-પશ્ચિમ ચોમાસાને વધુ સક્રિય બનાવવામાં મદદરૂપ બની શકે છે. આવા સંજોગોમાં અરબી સમુદ્રમાંથી ભેજનું પ્રમાણ વધે છે અને ચોમાસાની ટ્રફ વધુ મજબૂત બનતાં કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતા વધી જાય છે.

આ વર્ષે અનેક મોસમી મોડેલોએ અલ-નીનોના પ્રભાવને ધ્યાનમાં રાખીને વરસાદ સામાન્યથી ઓછો રહેવાની શક્યતા વ્યક્ત કરી હતી. જોકે, હાલની પરિસ્થિતિમાં કેટલાક હવામાન વૈજ્ઞાનિકોનું માનવું છે કે PDOના નેગેટિવ ચરણે વરસાદ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવી હોઈ શકે છે. તેમ છતાં, નિષ્ણાતો સ્પષ્ટ કરે છે કે કોઈ એક પરિબળને જવાબદાર ગણાવી શકાય નહીં. ભારતીય મહાસાગર ડાયપોલ (IOD), સ્થાનિક નીચા દબાણની પ્રણાલીઓ, અરબી સમુદ્રમાંથી સતત ભેજનો પુરવઠો અને આબોહવા પરિવર્તન જેવા અનેક પરિબળો સાથે મળીને આવી અતિશય વરસાદી પરિસ્થિતિ સર્જાય છે.

હવામાન નિષ્ણાતોના મતે ભવિષ્યમાં વધુ ચોક્કસ આગાહી માટે ENSO ઉપરાંત PDO, IOD અને અન્ય વૈશ્વિક આબોહવા સૂચકોને પણ સમાન મહત્વ આપવું જરૂરી બનશે. વધતા આબોહવા પરિવર્તન વચ્ચે અતિશય વરસાદ અને પૂર જેવી ઘટનાઓની આવર્તન અને તીવ્રતા બંનેમાં વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. તેથી સમયસર આગાહી, અસરકારક આપત્તિ વ્યવસ્થાપન અને લોકોમાં વૈજ્ઞાનિક જાગૃતિ વધારવી હવે વધુ જરૂરી બની છે.

અમદાવાદમાં 24 કલાકમાં વરસાદનો રેકોર્ડ તૂટ્યો ; જાણો કયા વિસ્તારમાં કેટલો વરસાદ પડ્યો

અમદાવાદમાં છેલ્લા 24 કલાક દરમિયાન મેઘરાજાએ ઐતિહાસિક બેટિંગ કરી હતી. શહેરમાં સરેરાશ 295.59 મિમી (11.64 ઇંચ) વરસાદ નોંધાયો, જ્યારે અનેક વિસ્તારોમાં 16થી 18 ઇંચથી વધુ વરસાદ વરસતા જનજીવન પર વ્યાપક અસર જોવા મળી હતી.

અમદાવાદ મહાનગરપાલિકા (AMC)ના સવારે 6 વાગ્યે જાહેર કરાયેલા આંકડા મુજબ બોપલમાં સૌથી વધુ 467.50 મિમી (18.41 ઇંચ) વરસાદ નોંધાયો હતો. તેના પછી બાકરોલમાં 18.21 ઇંચ, સરખેજ અર્બન હેલ્થમાં 17.32 ઇંચ, જોધપુરમાં 16.46 ઇંચ, સરખેજમાં 16.34 ઇંચ, થલતેજમાં 16.08 ઇંચ, જોધપુર ઝોનલમાં 16.06 ઇંચ અને બોડકદેવમાં 16.02 ઇંચ વરસાદ નોંધાયો હતો.

ઝોન પ્રમાણે જોવામાં આવે તો દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ સરેરાશ 16.88 ઇંચ વરસાદ નોંધાયો હતો. ત્યારબાદ ઉત્તર-પશ્ચિમ ઝોનમાં 14.32 ઇંચ, સેન્ટ્રલ ઝોનમાં 12.58 ઇંચ, પશ્ચિમ ઝોનમાં 12.42 ઇંચ, દક્ષિણ ઝોનમાં 9.27 ઇંચ, ઉત્તર ઝોનમાં 9.17 ઇંચ અને પૂર્વ ઝોનમાં 6.83 ઇંચ વરસાદ નોંધાયો હતો.

શહેરમાં કુલ વરસાદનો આંકડો 2,069.11 મિમી (81.46 ઇંચ) સુધી પહોંચ્યો હતો. ભારે વરસાદને પગલે સાબરમતી નદીમાં પાણીનો પ્રવાહ વધતા વાસણા બેરેજના તમામ 22 દરવાજા ખોલવામાં આવ્યા, જેથી વધારાનું પાણી સુરક્ષિત રીતે નીચેના વિસ્તારો તરફ છોડવામાં આવી શકે.

વાંગચુકના અનશન પાછળની ઇનસાઇડ સ્ટોરી, અમિત શાહથી લઈને નડ્ડા સુધીની ભૂમિકા

0

નીટ પેપર લીક મુદ્દે દેશવ્યાપી વિદ્યાર્થી આંદોલન વચ્ચે 26 દિવસથી અનિશ્ચિત ઉપવાસ પર રહેલા સામાજિક કાર્યકર સોનમ વાંગચુકે આખરે કેન્દ્ર સરકારના લેખિત આશ્વાસન બાદ પોતાનું અનશન સમાપ્ત કર્યું. લાંબા સમયથી ચાલતી વાટાઘાટો, ગૃહમંત્રી અમિત શાહની ઉચ્ચસ્તરીય બેઠક અને કેન્દ્રીય મંત્રીઓ જે.પી. નડ્ડા તથા ડૉ. જીતેન્દ્ર સિંહની સીધી મુલાકાત બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.

સરકારી સૂત્રો મુજબ, વાંગચુકની બગડતી તબિયતને ધ્યાનમાં રાખીને ગૃહમંત્રી અમિત શાહે આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડા અને પીએમઓમાં રાજ્યમંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહ સાથે લાંબી ચર્ચા કરી હતી. ત્યારબાદ ડૉ. જીતેન્દ્ર સિંહે વાંગચુકની પત્ની ગીતાંજલી આંગમો સાથે ફોન પર વાત કરી અને સરકાર તેમની માંગણીઓ પર સકારાત્મક રીતે વિચાર કરી રહી હોવાનું વિશ્વાસ અપાવ્યો.

મોડી રાત્રે ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં જે.પી. નડ્ડા અને ડૉ. જીતેન્દ્ર સિંહે વાંગચુકને લેખિત આશ્વાસનપત્ર આપ્યું. તેમાં પાંચ મહત્વપૂર્ણ મુદ્દાઓનો સમાવેશ હતો. પ્રથમ, જંતર-મંતર પર શાંતિપૂર્ણ વિરોધ કરનાર વિદ્યાર્થીઓ અને 20 જુલાઈના સંસદ માર્ચમાં જોડાયેલા લોકો સામે દંડાત્મક કાર્યવાહી નહીં કરવાની સકારાત્મક ખાતરી. બીજું, પરીક્ષા પ્રણાલીમાં પારદર્શિતા અને પેપર લીક રોકવા માટે કડક કાયદો તથા નવા વિધેયકને સંસદમાં રજૂ કરવાની તૈયારી. ત્રીજું, શિક્ષણ સુધારાઓ પર સંસદમાં ચર્ચા. ચોથું, નીટ પેપર લીકથી અસરગ્રસ્ત અને આત્મહત્યા કરનાર વિદ્યાર્થીઓના પરિવારોને વળતર અંગે સકારાત્મક વિચારણા. તેમજ પાંચમું, સમગ્ર પરીક્ષા વ્યવસ્થામાં જવાબદારી નક્કી કરવા માટે જરૂરી સુધારાત્મક પગલાં.

આ આશ્વાસનો મળ્યા બાદ સોનમ વાંગચુકે 26 દિવસનું અનશન સમાપ્ત કરતાં કહ્યું કે આ માત્ર “અનશનનો અંત નહીં, પરંતુ જવાબદારીની શરૂઆત” છે. તેમણે જણાવ્યું કે દેશના હિતમાં અને સંભવિત હિંસા ટાળવા માટે આ નિર્ણય લેવાયો છે. તેમણે લદ્દાખ પરત જતાં પહેલાં વિદ્યાર્થી આંદોલન સાથે જોડાયેલા યુવાનો સાથે મુલાકાત કરવાની પણ જાહેરાત કરી.

અનશન સમાપ્ત થયા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વાંગચુકના સારા સ્વાસ્થ્ય માટે શુભેચ્છા પાઠવી અને ડૉક્ટરોની સલાહનું પાલન કરવાની અપીલ કરી. બીજી તરફ, સરકારે પરીક્ષા પેપર લીક સામે વધુ કડક કાયદો અને ફાસ્ટ-ટ્રેક ન્યાયિક પ્રક્રિયા લાવવાની દિશામાં આગળ વધવાનું પણ સંકેત આપ્યું છે.

તાપીમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, ડોલવણમાં સૌથી વધુ 291 મીમી વરસાદ

તાપી જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદે જોરદાર એન્ટ્રી કરી હતી. ગુરુવારે સવારે 6:00 વાગ્યાથી શુક્રવારે સવારે 6:00 વાગ્યા સુધી જિલ્લામાં સરેરાશ 136.13 મીમી વરસાદ નોંધાયો હોવાનું જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્રના સત્તાવાર આંકડાઓમાં જણાવાયું છે.

જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો, જેમાં ડોલવણ તાલુકામાં સૌથી વધુ 291 મીમી વરસાદ નોંધાયો હતો. ત્યારબાદ વ્યારામાં 194 મીમી, ઉકાઈમાં 181 મીમી, સોનગઢમાં 139 મીમી, વાલોડમાં 125 મીમી અને ઉચ્છલમાં 87 મીમી વરસાદ પડ્યો હતો.

બીજી તરફ કુકરમુંડામાં 37 મીમી અને નિઝર તાલુકામાં 35 મીમી વરસાદ નોંધાયો હતો.

સતત વરસી રહેલા વરસાદને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્રએ નદી-નાળાઓ અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને ખાસ સતર્ક રહેવા, પૂરપ્રવણ વિસ્તારોમાં જવાનું ટાળવા તેમજ બિનજરૂરી મુસાફરી ન કરવા અપીલ કરી છે.

સુરતમાં ભારે વરસાદ વચ્ચે પાલિકાનું મેગા રેસ્ક્યુ ઓપરેશન, નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા

સુરત શહેરમાં છેલ્લા 24 કલાકથી સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં સુરત મહાનગરપાલિકાએ બચાવ અને રાહત કામગીરી તેજ કરી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગ સહિતની ટીમો 24 કલાક સતત કામગીરી કરી રહી છે.

પાલિકા કમિશનરના માર્ગદર્શન હેઠળ લિંબાયત ઝોનના ગીતાનગરમાંથી 8, વરાછા ઝોનમાં શીતળામાતા મંદિર નજીકથી 2 તેમજ ઉધના ઝોનના પાંડેસરા સ્થિત કૃષ્ણાનગર વિસ્તારમાંથી 40 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. ઉપરાંત લિંબાયતના મીઠીખાડી વિસ્તારમાં પાણીમાં ફસાયેલા એક વ્યક્તિને બચાવી સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

રેસ્ક્યુ ટીમો બોટ સહિતના જરૂરી સાધનો સાથે અસરગ્રસ્ત વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ કરી રહી છે અને જરૂરિયાતમંદ લોકોને સલામત સ્થળે પહોંચાડવાની કામગીરી ચાલુ રાખી છે.

પાલિકા કમિશનર એમ. નાગરાજને જણાવ્યું કે, હાલ શહેરની સ્થિતિ નિયંત્રણમાં છે. જ્યાં પાણી ભરાયા છે ત્યાં ઝડપી ધોરણે પાણીના નિકાલની કામગીરી ચાલી રહી છે. સાથે જ અસરગ્રસ્ત લોકોને સુરક્ષિત સ્થળોએ આશ્રય, ભોજન અને અન્ય જરૂરી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.

હાઈ ટાઈડની સ્થિતિને ધ્યાનમાં રાખીને કમિશનરે શહેરીજનોને અનિવાર્ય કારણ સિવાય ઘરેથી બહાર ન નીકળવાની અને સત્તાવાળાઓની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે.

સુરત જિલ્લાના અંબિકા તાલુકામાં ભારે વરસાદથી પૂરની સ્થિતિ: નીચાણવાળા વિસ્તારોમાંથી ૨૯૫ લોકોનું સુરક્ષિત સ્થળાંતર

દક્ષિણ ગુજરાતમાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે સુરત જિલ્લાના અંબિકા તાલુકામાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. અવિરત વરસાદને પગલે અંબિકા નદી, ઓલણ નદી અને કોરવ ખાડીના જળસ્તરમાં નોંધપાત્ર વધારો થયો છે. બીજી તરફ તરકાણી ગામનું તળાવ ઓવરફ્લો થતાં આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે.

પરિસ્થિતિ ગંભીર બનતા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા હતા. અંબિકા તાલુકાના ઉમરા, કાંકરીયા, ભોરિયા, વાંક, હળદવા, મહુવરીયા અને તરકાણી સહિત 7 ગામોમાંથી કુલ 295 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે.

વહીવટી તંત્ર દ્વારા સ્થળાંતર કરાયેલા લોકો માટે રહેવા, ભોજન અને અન્ય જરૂરી સુવિધાઓની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉમરા મુખ્ય પ્રાથમિક શાળા અને તરકાણી મુખ્ય પ્રાથમિક શાળામાં આશ્રય કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત કેટલાક પરિવારોને તેમના સગા-સંબંધીઓના ઘરે તેમજ નજીકના સુરક્ષિત મકાનોમાં પણ ખસેડવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ ઉમરા ગામમાંથી 60, કાંકરીયામાંથી 54, ભોરિયામાંથી 60, વાંકમાંથી 9, હળદવામાંથી 63, મહુવરીયામાંથી 6 અને તરકાણી ગામમાંથી 43 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.

23 જુલાઈની વહેલી સવારથી મામલતદાર કચેરી અને જિલ્લા વહીવટી તંત્રની ટીમો અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચી હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. હાલ તંત્ર દ્વારા નદી-ખાડીના જળસ્તર અને અસરગ્રસ્ત ગામોની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.

ગુજરાતમાં ક્યાં ક્યાં અને કેટલો વરસાદ પડ્યો? તાલુકાઓની સંપૂર્ણ યાદી

0

ગુજરાતમાં ગુરુવારની સવારથી જ અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC)ના આંકડા મુજબ, સવારે 6 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધીના માત્ર 6 કલાકમાં સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં સૌથી વધુ 11.14 ઇંચ વરસાદ નોંધાયો હતો.

આ સમયગાળા દરમિયાન રાજ્યના 50 તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. જેમાં વલસાડ જિલ્લાના ઉમરગામમાં 9.88 ઇંચ, ભરૂચના નેત્રંગમાં 6.89 ઇંચ, વલસાડના પારડીમાં 6.61 ઇંચ, નવસારીના ખેરગામમાં 6.46 ઇંચ, વલસાડના નાનાપોંઢામાં 5.43 ઇંચ અને મહેસાણાના બેચરાજીમાં 5.12 ઇંચ વરસાદ નોંધાયો હતો.

અન્ય ભારે વરસાદવાળા વિસ્તારોમાં ડાંગ જિલ્લાના વઘઈ અને તાપી જિલ્લાના ઉકાઈમાં 4.92 ઇંચ, કપરાડામાં 4.84 ઇંચ, વ્યારામાં 4.57 ઇંચ, ધરમપુરમાં 4.53 ઇંચ, વાંસદામાં 4.45 ઇંચ અને નર્મદા જિલ્લાના ચિકદામાં 4.41 ઇંચ વરસાદ નોંધાયો હતો.

અમદાવાદ જિલ્લામાં પણ સવાર બાદ વરસાદનું જોર વધ્યું હતું. અમદાવાદ શહેરમાં સવારે 6થી બપોરે 12 વાગ્યા દરમિયાન 2.60 ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે વિરમગામમાં 3.23 ઇંચ, ડેટ્રોજ-રામપુરામાં 2.20 ઇંચ, માંડલમાં 2.09 ઇંચ, ધોળકામાં 1.65 ઇંચ, ધંધુકામાં 1.46 ઇંચ, દસ્ક્રોઈમાં 0.98 ઇંચ, બાવળામાં 0.91 ઇંચ, સાનંદમાં 0.67 ઇંચ અને ધોળેરામાં 0.16 ઇંચ વરસાદ નોંધાયો હતો.

રાજ્યના અન્ય મોટા શહેરોમાં સુરત શહેરમાં 1.93 ઇંચ, ભરૂચમાં 3.39 ઇંચ, વાપીમાં 3.78 ઇંચ, વલસાડ શહેરમાં 3.39 ઇંચ અને નવસારીમાં 1.22 ઇંચ વરસાદ નોંધાયો હતો.

હાલમાં સૌથી વધુ વરસાદનો પ્રભાવ દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, નવસારી, ભરૂચ, તાપી, ડાંગ અને નર્મદા જિલ્લામાં જોવા મળી રહ્યો છે. સતત વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની અને જનજીવન પર અસર થવાની સ્થિતિ ઉભી થઈ છે. તંત્ર દ્વારા સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.

ચારધામ યાત્રા બની વધુ સરળ, 900 મીટરની ટનલ તૈયાર; અઢી વર્ષના વિલંબ બાદ પ્રોજેક્ટ પૂર્ણ

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રાને વધુ સુરક્ષિત અને સુવિધાજનક બનાવવા માટે ચાલી રહેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં મોટી સફળતા મળી છે. રુદ્રપ્રયાગ જિલ્લામાં બદ્રીનાથ અને કેદારનાથ નેશનલ હાઇવેને જોડતી 900 મીટર લાંબી સુરંગનું નિર્માણ પૂર્ણ થઈ ગયું છે. આ સુરંગ શરૂ થયા બાદ યાત્રાળુઓને લાંબા ટ્રાફિક જામ અને મુશ્કેલ પહાડી રસ્તાઓથી મોટી રાહત મળશે.

ચારધામ યાત્રા દેશની સૌથી મહત્વપૂર્ણ ધાર્મિક યાત્રાઓમાં સામેલ છે, જેમાં દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રી ધામ પહોંચે છે. જોકે, પહાડી વિસ્તારોમાં સાંકડા રસ્તા, ભૂસ્ખલન અને ટ્રાફિકની સમસ્યાને કારણે યાત્રા ઘણી વખત પડકારજનક બની રહે છે.

નવી તૈયાર થયેલી સુરંગ ઋષિકેશ-બદ્રીનાથ નેશનલ હાઇવે અને કેદારનાથ નેશનલ હાઇવે વચ્ચે સીધી કનેક્ટિવિટી ઉભી કરશે. આ પ્રોજેક્ટમાં અલકનંદા નદી પર 200 મીટર લાંબા બે લેનના પુલનું નિર્માણ પણ સામેલ છે, જેનું કામ અંતિમ તબક્કામાં છે.

હાલમાં રુદ્રપ્રયાગના બજાર વિસ્તારમાંથી પસાર થતો માર્ગ ભારે વાહન વ્યવહારને કારણે વારંવાર જામની સ્થિતિ સર્જે છે. નવી સુરંગ અને પુલ શરૂ થયા બાદ વાહનોને વૈકલ્પિક માર્ગ મળશે અને યાત્રાનો સમય પણ ઘટશે.જોકે આ પ્રોજેક્ટ નિર્ધારિત સમય કરતાં અંદાજે અઢી વર્ષ મોડો પૂર્ણ થયો છે. પહાડી વિસ્તારની જટિલ ભૌગોલિક સ્થિતિ, હવામાન અને બાંધકામ સંબંધિત પડકારોના કારણે કામમાં વિલંબ થયો હતો.

આ પ્રોજેક્ટ ચારધામ ઓલ વેધર રોડ કનેક્ટિવિટી યોજનાનો મહત્વપૂર્ણ ભાગ માનવામાં આવે છે. સરકારનો ઉદ્દેશ્ય યાત્રાળુઓને વધુ સુરક્ષિત, ઝડપી અને આરામદાયક મુસાફરીની સુવિધા આપવાનો છે.