Home Blog Page 11

ભારતના અવકાશ સ્વપ્નના શિલ્પી ડૉ. વિક્રમ સારાભાઈની આજે જન્મજયંતિ : જાણો તેમની પ્રેરણાદાયી સફર

0

ડૉ. વિક્રમ અંબાલાલ સારાભાઈ ભારતના મહાન વૈજ્ઞાનિક, ભૌતિકશાસ્ત્રી અને અવકાશ સંશોધનના પાયાના શિલ્પી હતા. તેમને સામાન્ય રીતે “ભારતીય અવકાશ કાર્યક્રમના પિતા” તરીકે ઓળખવામાં આવે છે.

👨‍🔬 જન્મ અને શિક્ષણ
જન્મ:
12 ઓગસ્ટ 1919
જન્મસ્થળ: અમદાવાદ, ગુજરાત
તેઓ ઉદ્યોગપતિ અંબાલાલ સારાભાઈ અને સરલા દેવીના પુત્ર હતા. તેમણે કેમ્બ્રિજ યુનિવર્સિટીની સેન્ટ જોન્સ કોલેજમાંથી નેચરલ સાયન્સિસનો અભ્યાસ કર્યો. બાદમાં ભારતીય વિજ્ઞાન સંસ્થા (IISc), બેંગલુરુમાં સર સી.વી. રામનના માર્ગદર્શન હેઠળ કોસ્મિક રે પર સંશોધન કર્યું હતું.

🔬 Physical Research Laboratory (PRL) ની સ્થાપના

1947માં માત્ર 28 વર્ષની ઉંમરે વિક્રમ સારાભાઈએ અમદાવાદમાં Physical Research Laboratory (PRL)ની સ્થાપના કરી હતી. શરૂઆતમાં તેમના નિવાસસ્થાન ‘રિટ્રીટ’ ખાતે કોસ્મિક રેના સંશોધનથી તેની શરૂઆત થઈ હતી. આજે PRLને ભારતના અવકાશ વિજ્ઞાનનું “Cradle of Space Sciences” માનવામાં આવે છે.

🛰️ ભારતના અવકાશ કાર્યક્રમમાં યોગદાન

1962માં તેઓ INCOSPAR (Indian National Committee for Space Research)ના અધ્યક્ષ બન્યા અને ભારતમાં વ્યવસ્થિત અવકાશ સંશોધનની શરૂઆતને દિશા આપી હતી. ત્યારબાદ 1969માં ISROની સ્થાપના માટેના વિકાસમાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકા રહી હતી. તેમનો વિચાર હતો કે ભારત જેવા વિકાસશીલ દેશે અવકાશ ટેક્નોલોજીનો ઉપયોગ માત્ર પ્રતિષ્ઠા માટે નહીં પરંતુ શિક્ષણ, સંચાર, હવામાન અને દેશના વિકાસ માટે કરવો જોઈએ.

🏛️ અનેક સંસ્થાઓના નિર્માતા

વિક્રમ સારાભાઈ માત્ર અવકાશ વિજ્ઞાન પૂરતા મર્યાદિત નહોતા. તેમણે અથવા તેમની પ્રેરણાથી અનેક મહત્વપૂર્ણ સંસ્થાઓના વિકાસમાં યોગદાન આપ્યું હતું. તેઓ IIM અમદાવાદની સ્થાપનામાં પણ મહત્વપૂર્ણ વ્યક્તિઓમાંના એક હતા અને 1966માં અમદાવાદમાં Community Science Centre શરૂ કર્યું, જે આજે Vikram Sarabhai Community Science Centre તરીકે ઓળખાય છે.

🏆 સન્માન
શાંતિ સ્વરૂપ ભટનાગર પુરસ્કાર – 1962
પદ્મ ભૂષણ – 1966
પદ્મ વિભૂષણ – મરણોત્તર

🕯️ અવસાન

વિક્રમ સારાભાઈનું 30 ડિસેમ્બર 1971ના રોજ અવસાન થયું હતું. તેમનું જીવન ટૂંકું હોવા છતાં તેમણે ભારતમાં વૈજ્ઞાનિક સંશોધન અને અવકાશ કાર્યક્રમ માટે એવો પાયો નાખ્યો જેના આધારે ભારત આજે વિશ્વની અગ્રણી અવકાશ શક્તિઓમાં સ્થાન ધરાવે છે.આજે 12 ઓગસ્ટે તેમની જન્મજયંતિ નિમિત્તે તેમને યાદ કરવું એટલે ભારતના અવકાશ સ્વપ્નના સાચા શિલ્પીને યાદ કરવા સમાન છે.

ટાટા ગ્રુપમાં મોટો ફેરફાર!  ટાટા સન્સના ચેરમેન પદથી એન ચંદ્રશેરખરનનું રાજીનામું

0

ટાટા ગ્રુપના કરોડો લોકોના વિશ્વાસ સાથે જોડાયેલું સૌથી મોટું નામ હવે નેતૃત્વ બદલાવ તરફ આગળ વધી રહ્યું છે.  ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરને ટાટા સન્સના ચેરમેન પદેથી રાજીનામું આપી દીધું છે અને તેઓ પોતાની આ ટર્મ પૂરી કરશે એટલે કે ફેબ્રુઆરી 2027માં તેમની ટર્મ પૂરી થયા બાદ ટાટા ગ્રુપને નવા ચેરમેન શોધવા પડશે. આ નિર્ણય ટાટા ટ્રસ્ટ્સ સાથે લાંબા સમયથી ચાલી રહેલા મતભેદોની વચ્ચે આવ્યો છે.

ચંદ્રશેખરને 2017માં  ટાટા સન્સની કમાન સંભાળી હતી અને 2022માં તેમને બીજી ટર્મ મળી હતી. હવે તેઓ ફેબ્રુઆરી 2027 સુધી પદ પર રહેશે, પરંતુ ત્યારબાદ પુનર્નિયુક્તિ માટે પોતાનું નામ આગળ નહીં ધપાવે. ટાટા ગ્રુપ આગામી મહિનાઓમાં તેમના ઉત્તરાધિકારી માટે આંતરિક તેમજ બાહ્ય બંને વિકલ્પો પર વિચાર કરે તેવી શક્યતા છે.

આ સમગ્ર ઘટનાની પાછળ  ટાટા સન્સ અને  ટાટા ટ્રસ્ટ વચ્ચેના મતભેદને મહત્વનું કારણ માનવામાં આવી રહ્યું છે. ટાટા ટ્રસ્ટ પાસે ટાટા સન્સમાં લગભગ 66 ટકા હિસ્સો છે. ફેબ્રુઆરી 2026માં ચંદ્રશેખરણની ત્રીજી ટર્મ અંગે Tata Sonsના બોર્ડમાં નિર્ણય મુલતવી રાખવામાં આવ્યો હતો. તે સમયે Noel Tataએ કેટલીક શરતો અને ગ્રુપની કેટલીક કંપનીઓના નબળા નાણાકીય પરિણામો અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા.

ખાસ કરીને એર ઈન્ડિયા ના વધતા નુકસાનને લઈને ચિંતા જોવા મળી હતી. નાણાકીય વર્ષ 2025-26માં એર ઈન્ડિયાની આવક ઘટીને ₹71,870 કરોડ રહી હતી, જ્યારે કંપની અને એર ઈન્ડિયા એક્સપ્રેસના સંયુક્ત પરિણામોમાં ભારે નુકસાન નોંધાયું હતું.

હવે 18 ઓગસ્ટે યોજાનારી  ટાટા સન્સની એજીએમ પહેલાં આ નિર્ણય સામે આવ્યો છે. આ બેઠકમાં ચંદ્રશેખરણની ડિરેક્ટર તરીકેની પુનર્નિયુક્તિ મુદ્દે પણ ધ્યાન હતું. હવે ટાટા ગ્રુપ માટે આગામી સૌથી મોટો પ્રશ્ન તેમના ઉત્તરાધિકારીની પસંદગી રહેશે.

Air Indiaની ફ્લાઇટના પાયલટ કોકપિટમાં હવામાં તરતા હતા, પ્લેન ‘માઇનસ ગ્રેવિટી’માં ગયું હતું; જાણો શું છે -1G ?

0

ફુકેટથી દિલ્હી આવી રહેલી Air Indiaની ફ્લાઇટમાં અચાનક એવો ઝટકો આવ્યો કે થોડી ક્ષણો માટે મુસાફરોને જાણે ગુરુત્વાકર્ષણ જ ખતમ થઈ ગયું હોય એવું લાગ્યું. લોકો સીટ પરથી ઊછળ્યા, કેટલીક વસ્તુઓ હવામાં તરતી દેખાઈ અને વિમાન લગભગ 300 ફૂટ ઊંચાઈ ગુમાવી બેઠું. આ ઘટનામાં સૌથી વધુ ચર્ચામાં આવ્યો શબ્દ છે—‘માઇનસ 1G’. આખરે આ સ્થિતિ શું છે અને વિમાનમાં આવું બને ત્યારે શરીર પર શું અસર થાય છે?

4 ઓગસ્ટે Air Indiaની AI2379 ફ્લાઇટ ફુકેટથી દિલ્હી જતી હતી. Airbus A320neoમાં 137 મુસાફરો અને 8 ક્રૂ સભ્યો સવાર હતા. ઉડાન દરમિયાન વિમાનમાં અચાનક ગંભીર ઉથલપાથલ જેવી સ્થિતિ સર્જાઈ અને લગભગ 300 ફૂટ ઊંચાઈ ઘટી. રોઇટર્સના અહેવાલ મુજબ 13 મુસાફરો અને 4 ક્રૂ સભ્યો ઈજાગ્રસ્ત થયા હતા. વિમાન બાદમાં સુરક્ષિત રીતે દિલ્હીમાં ઉતર્યું.

1G એટલે શું?

વિમાન સામાન્ય રીતે લગભગ +1G લોડમાં ઉડે છે. એટલે શરીર પર ધરતીના ગુરુત્વાકર્ષણ જેટલું જ દબાણ અનુભવાય છે અને આપણે સીટ પર સામાન્ય રીતે બેઠા રહીએ છીએ. જ્યારે વિમાનને ઝડપથી નીચે ધકેલવામાં આવે અને ઊભી દિશામાં ત્વરણ શૂન્યથી પણ નીચે જાય, ત્યારે નેગેટિવ G સર્જાય છે. FAA મુજબ પાઇલટે વિમાનને ઝડપથી ‘અનલોડ’ કરવા માટે નોઝ નીચે ધકેલે ત્યારે 0Gથી નીચેની સ્થિતિ સર્જાઈ શકે છે.

નેગેટિવ G (-1G) જેવી સ્થિતિમાં શરીર સીટમાં દબાતું નથી, પરંતુ જાણે ઉપર તરફ ઉછળતું અનુભવાય છે. આ કારણે સીટબેલ્ટ ન પહેરેલા મુસાફરો છત અથવા ઓવરહેડ બિન સાથે અથડાઈ શકે છે. ગંભીર નેગેટિવ G સ્થિતિમાં પાઇલટ માટે પણ કંટ્રોલ પર સ્થિર રહેવું મુશ્કેલ બની શકે છે.

સ્ટોલ વોર્નિંગ બાદ શું થયું?

પ્રારંભિક અહેવાલો મુજબ ફ્લાઇટમાં સ્ટોલ વોર્નિંગ આવી અને ઓટોપાઇલટ ડિસ્કનેક્ટ થયો હતો. સ્ટોલમાંથી બહાર આવવા પાઇલટે નોઝ નીચે કરીને એરફ્લોને ફરી યોગ્ય બનાવવાનો પ્રયાસ કર્યો હોય તેવી માહિતી સામે આવી છે. જોકે આ ઘટનાનું ચોક્કસ કારણ હજી તપાસ હેઠળ છે. AAIBએ પુરાવા સામે આવ્યા પહેલાં કોઈ નિષ્કર્ષ પર ન પહોંચવાની અપીલ કરી છે.

આ વચ્ચે ફ્લાઇટના એક પાઇલટના કન્ફર્મેટરી ડ્રગ ટેસ્ટમાં મારિજુઆના પોઝિટિવ હોવાનું સૂત્રોના હવાલાથી જણાવ્યું છે. બંને પાઇલટને રોસ્ટરમાંથી દૂર કરવામાં આવ્યા છે અને તપાસ ચાલુ છે.

અમદાવાદ SG હાઈવે પર હચમચાવતી ઘટના! 32મા માળે ક્રેન સાથે લટકતો મળ્યો યુવકનો મૃતદેહ

0

સુરતના હૃદયદ્રાવક આપઘાતના હાદસા બાદ આજે અમદાવાદના એસજી હાઈવે પર સવારે સામે આવેલા એક ભયાનક દ્રશ્યે આસપાસના લોકોમાં ભારે ચકચાર મચાવી દીધી હતી. નિરમા યુનિવર્સિટીની સામે બની રહેલી ‘સ્કૃતિમ’ નામની નિર્માણાધીન ઇમારતના 32મા માળે એક યુવકનો મૃતદેહ ક્રેન પાસે લટકતો જોવા મળતાં ઘટનાસ્થળે લોકોના ટોળા એકત્રિત થયા હતા.

પ્રાથમિક માહિતી મુજબ, યુવકે મોડી રાત્રે ક્રેન સાથે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાની આશંકા છે. જોકે, ઘટનાનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી અને પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

સ્થાનિકોના જણાવ્યા અનુસાર, વહેલી સવાર સુધી મૃતદેહ ઊંચાઈ પર જ લટકતો રહ્યો હતો. સવારે અંદાજે 8 વાગ્યાની આસપાસ આસપાસના લોકોની નજર આ દ્રશ્ય પર પડી હતી. ત્યારબાદ તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી.

ઘટનાની જાણ થતાં પોલીસ અને રેસ્ક્યુ ટીમ સ્થળ પર પહોંચી હતી. 32મા માળેથી મૃતદેહને સુરક્ષિત રીતે નીચે ઉતારવા માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી. મૃતકની ઓળખ અને ઘટનાના કારણ અંગે પોલીસ તપાસ કરી રહી છે. પોલીસના સત્તાવાર નિવેદન બાદ જ સમગ્ર ઘટનાની વધુ વિગતો સ્પષ્ટ થશે.

અમિતાભ બચ્ચનની એક નાની ભૂલ બની ગઈ સોશિયલ મીડિયાનો મજેદાર મુદ્દો,બિગ બીએ માંગવી પડી માફી

અમિતાભ બચ્ચનની એક નાની એવી નંબરિંગની ભૂલે સોશિયલ મીડિયા પર જાણે હાસ્યનું નવું કારણ આપી દીધું હતું. X પર પોતાની દરેક પોસ્ટને ક્રમવાર નંબર આપવાની ખાસ આદત ધરાવતા બિગ બી આ વખતે જ ગણતરીમાં થાપ ખાઈ ગયા હતા. ભૂલ નજરે પડતાં તેમણે તરત જ તેને સ્વીકારીને સુધારી પણ લીધી, પરંતુ ત્યાં સુધીમાં ફેન્સે આ ઘટનાને લઈને મજેદાર કમેન્ટ્સ અને મીમ્સનો મારો શરૂ કરી દીધો હતો.

શું હતી અમિતાભ બચ્ચનની ભૂલ?

અમિતાભ બચ્ચને X પર પોસ્ટ નંબર 5817 બાદની પોસ્ટને ભૂલથી 5718 તરીકે નંબર આપી દીધો. ત્યારબાદની પોસ્ટ્સમાં પણ 5719,5720 ક્રમ આગળ વધાર્યો હતો. એક ફેને તેમની આ ભૂલ તરફ ધ્યાન દોરતાં બિગ બીએ તરત જ નંબરિંગ સુધારી અને માફી માંગી હતી.

અભિનેતાએ ફેન EF Sunilનો આ ભૂલ પકડવા બદલ આભાર પણ માન્યો હતો. અહીં ‘EF’નો અર્થ અમિતાભ બચ્ચન પોતાના ચાહકો માટે વાપરતા Extended Family એટલે કે ‘વિસ્તૃત પરિવાર’ એવો થાય છે.

વર્કફ્રન્ટની વાત કરીએ તો અમિતાભ બચ્ચન ‘Kalki 2898 AD’ની સિક્વલ સાથે જોડાયેલા છે. દિગ્દર્શક નાગ અશ્વિને ફિલ્મના શૂટિંગને લઈને 2026માં આગળ વધતી તૈયારીઓની માહિતી આપી હતી.

સંસદના 17માં દિવસે પાસ થયા આ મહત્વના બિલ,જાણો શું છે ખાસ?

0

સંસદના ચોમાસુ સત્રમાં આજે બે મહત્વના બિલ પસાર કર્યા તેમાં નેશનલ કો-ઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન (અમેન્ડમેન્ટ) બિલ, 2026 અને કેરળ (અલ્ટરેશન ઑફ નેમ) બિલ, 2026નો સમાવેશ થાય છે. કેરળનું નામ બદલીને ‘કેરલમ’ કરવાની જોગવાઈ ધરાવતું બિલ ચર્ચા વિના વોઇસ વોટથી પસાર થયું હતું. ત્યારબાદ લોકસભાની કાર્યવાહી દિવસભર માટે સ્થગિત કરવામાં આવી હતી.

કેરળ નામ બદલવાના બિલનો હેતુ બંધારણની પ્રથમ અનુસૂચિમાં રાજ્યનું નામ ‘Kerala’ માંથી ‘Keralam’ કરવાનો છે. કેરળ વિધાનસભાએ જૂન 2024માં રાજ્યનું નામ બદલવા માટે ઠરાવ પસાર કર્યો હતો. કેન્દ્ર સરકારે ફેબ્રુઆરી 2026માં આ પ્રસ્તાવને મંજૂરી આપી હતી. બંધારણીય પ્રક્રિયા હેઠળ હવે સંસદમાં બિલ પસાર થવાથી નામ બદલવાની પ્રક્રિયામાં મહત્વપૂર્ણ તબક્કો પૂર્ણ થયો છે.

આ બિલ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા રજૂ થવાનું હતું, પરંતુ તેઓ ગૃહમાં હાજર રહ્યા નહોતા. તેમના સ્થાને ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે બિલ આગળ ધપાવ્યું હતું. વિપક્ષના હોબાળા વચ્ચે બિલ વોઇસ વોટથી પસાર થયું હતું.

બીજી તરફ, NCDC (Amendment) Bill, 2026નો હેતુ સહકારી ક્ષેત્ર માટે નાણાકીય સહાયની પ્રક્રિયાને વધુ સરળ અને વ્યાપક બનાવવાનો છે. પ્રસ્તાવિત ફેરફારો હેઠળ NCDC સહકારી મંડળીઓ તેમજ સહકારી વિકાસ સાથે સંકળાયેલી સંસ્થાઓને સીધી લોન અને ગ્રાન્ટ આપી શકશે. કોર્પોરેશનને સહકારી સંસ્થાઓ અથવા સહકારી વિકાસ સાથે જોડાયેલી સંસ્થાઓની શેર મૂડીમાં ભાગ લેવાની પણ સત્તા મળશે.

Reforms Bill, 2026 રાજ્યસભામાં પસાર કરવામાં આવ્યું હતું. આ બિલ ટ્રિબ્યુનલ્સની કામગીરી અને માળખામાં સુધારા સાથે સંબંધિત મહત્વપૂર્ણ જોગવાઈઓ ધરાવે છે.

સંસદમાં છેલ્લા કેટલાક દિવસોથી વિપક્ષના વિરોધને કારણે કાર્યવાહી વારંવાર ખોરવાઈ રહી છે. આજે પણ વિરોધ વચ્ચે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ વિરોધ સમાપ્ત કરવાની અપીલ કરી હતી. સરકાર તરફથી વિદ્યાર્થીઓના વિરોધ દરમિયાન થયેલી પોલીસ કાર્યવાહી અંગે ચર્ચા અને ગૃહમંત્રી અમિત શાહના નિવેદનની ઓફર છતાં વિપક્ષનો વિરોધ યથાવત રહ્યો હતો.

જેના નામથી થરથરતું હતું સીરિયા, આજે તેને જ મોતની સજા!

સીરિયાના પૂર્વ રાષ્ટ્રપતિ બશર અલ-અસદ , તેમના ભાઈ મહેર અલ-અસદ અને તેમના પિતરાઈ ભાઈ તથા પૂર્વ સુરક્ષા અધિકારી અતેફ નજીબને મોતની સજા ફટકારી છે. બશર અને મહેરને તેમની ગેરહાજરીમાં સજા સંભળાવવામાં આવી છે.

કોર્ટના જણાવ્યા અનુસાર બશર અલ-અસદને પૂર્વયોજિત હત્યા, ત્રાસ અને માનવતા વિરુદ્ધના ગુનાઓ સહિતના ગંભીર આરોપોમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે. ન્યાયાધીશે સાક્ષીઓના નિવેદનોના આધારે જણાવ્યું કે બશર અલ-અસદ સૌથી ઉચ્ચ સ્તરના નિર્ણયકર્તા હતા અને રાજ્યની સંસ્થાઓનો ઉપયોગ કથિત ગુનાઓ માટે કરવામાં આવ્યો હતો. તેઓ ડિસેમ્બર 2024માં સત્તા પરથી હટ્યા બાદ રશિયામાં નિર્વાસિત જીવન જીવી રહ્યા છે.

મહેર અલ-અસદને પણ પૂર્વયોજિત હત્યા અને ત્રાસના આરોપોમાં ગેરહાજરીમાં મોતની સજા આપવામાં આવી છે. બીજી તરફ, અતેફ નજીબને માનવતા વિરુદ્ધના ગુનાઓ બદલ સજા સંભળાવવામાં આવી. નજીબ દક્ષિણ સીરિયાના દારા પ્રાંતમાં રાજકીય સુરક્ષા વિભાગના વડા રહી ચૂક્યા હતા અને 2011માં સરકાર વિરોધી પ્રદર્શનોના દમન સાથે તેમનું નામ જોડાયેલું છે.

આ કેસને સીરિયાની નવી સંક્રમણકાળીન સરકાર હેઠળ પૂર્વ અસદ સરકારના અધિકારીઓ સામે ચાલેલી કાર્યવાહીનો મહત્વપૂર્ણ પ્રથમ ચુકાદો માનવામાં આવી રહ્યો છે. 2011માં શરૂ થયેલા બળવા બાદ સીરિયા લગભગ 14 વર્ષ સુધી વિનાશક યુદ્ધમાંથી પસાર થયું હતું. હવે આ ચુકાદો પીડિતો માટે ન્યાયની પ્રક્રિયામાં મહત્વપૂર્ણ કાનૂની ઉદાહરણ બની શકે છે.

જોકે બશર અને મહેર રશિયામાં હોવાને કારણે સજાનો તાત્કાલિક અમલ કેવી રીતે થશે તે મોટો પ્રશ્ન છે. તેમ છતાં, આ ચુકાદાએ અસદ શાસન દરમિયાન થયેલા કથિત અત્યાચારોની જવાબદારી નક્કી કરવાની દિશામાં ઐતિહાસિક પગલું ભર્યું છે.

80 વર્ષ જૂનું રહસ્ય ફરી ચર્ચામાં! નેતાજીના અવશેષો ભારત લાવવાની માગ પર સુપ્રીમ કોર્ટમાં ફરી ચર્ચા

0

80 વર્ષથી વધુ સમયથી રહસ્ય બનેલા નેતાજી સુભાષચંદ્ર બોઝના અંતિમ અવશેષો હવે ભારત લાવવામાં આવશે ?
આ સવાલે એકવાર ફરી દેશનું ધ્યાન ખેંચ્યું છે. નેતાજીની પુત્રી અનીતા બોઝ ફાફે જાપાનના ટોક્યો સ્થિત રેન્કોજી મંદિર ખાતે રાખવામાં આવેલા તેમના પિતાના કથિત અવશેષો ભારત પરત લાવવાની માંગ સાથે આજે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો અને ત્યારબાદ કોર્ટે આ અરજી પર કેન્દ્ર સરકાર પાસે જવાબ માગ્યો હતો.

મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સૂર્યકાંતની આગેવાની હેઠળની બેન્ચમાં જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જસ્ટિસ વી. મોહનાએ અરજી પર સુનાવણી કરી હતી. કોર્ટે કેન્દ્ર સરકાર ઉપરાંત વિદેશ મંત્રાલય અને ગૃહ મંત્રાલયને નોટિસ પાઠવી છે. અનીતા બોઝ ફાફ તરફથી વરિષ્ઠ વકીલ એ.એમ. સિંઘવીએ દલીલ કરી હતી કે આ મામલે નેતાજીની પુત્રી પોતે કોર્ટ સમક્ષ આવી છે. કોર્ટે પહેલાં કેન્દ્રનો જવાબ સાંભળવાનો અભિગમ અપનાવ્યો હતો.

આ કેસનો એક મહત્વનો વળાંક માર્ચ 2026માં આવ્યો હતો. તે સમયે નેતાજીના સંબંધીએ દાખલ કરેલી અરજી પર સુપ્રીમ કોર્ટે હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કર્યો હતો અને સ્પષ્ટ કર્યું હતું કે જો નેતાજીના અવશેષો ભારત લાવવાની માગ કરવી હોય તો તેમની સીધી વારસદાર અનીતા બોઝ ફાફે પોતે અરજી કરવી જોઈએ. ત્યારબાદ હવે તેમણે પોતાના નામે અરજી દાખલ કરી છે.

અનીતા બોઝ ફાફ લાંબા સમયથી પોતાના પિતાના અવશેષો ભારત લાવીને અહીં અંતિમ સંસ્કાર કરવાની માગ કરી રહ્યાં છે. તેમનું કહેવું છે કે નેતાજીને તેમના વતનની ધરતી પર અંતિમ સન્માન મળવું જોઈએ.

નેતાજીના મૃત્યુ અંગેનો ઇતિહાસ જોકે આજે પણ વિવાદોથી ઘેરાયેલો છે. સામાન્ય રીતે માનવામાં આવે છે કે 18 ઓગસ્ટ 1945ના રોજ તાઇહોકુ, હાલના તાઇપેઈમાં વિમાન દુર્ઘટના બાદ નેતાજીનું મૃત્યુ થયું હતું. ત્યારબાદ તેમની માનવામાં આવતી અસ્થિઓ જાપાનના રેન્કોજી મંદિરમાં રાખવામાં આવી હતી. જોકે આ મુદ્દે તપાસ પંચોના તારણોમાં મતભેદ રહ્યા છે. 1956ની શાહનવાઝ સમિતિ અને 1974ના ખોસલા કમિશને વિમાન દુર્ઘટનામાં મૃત્યુ અને રેન્કોજી મંદિરની અસ્થિઓને નેતાજીની ગણાવી હતી. બીજી તરફ, 2005ના મુખર્જી કમિશને નેતાજી વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા ન હોવાનું અને રેન્કોજીની અસ્થિઓ તેમની ન હોવાનું તારણ આપ્યું હતું. ભારત સરકારે આ બંને તારણો સ્વીકાર્યા નહોતા.

હવે સુપ્રીમ કોર્ટમાં અનીતા બોઝ ફાફની અરજી બાદ કેન્દ્ર સરકારનો જવાબ આ લાંબા સમયથી ચાલી રહેલા મુદ્દામાં આગામી મહત્વપૂર્ણ પગલું બની શકે છે.

Video: 7 રખડતા કૂતરાઓએ 4 વર્ષની બાળકીને બચકાં ભર્યા, 80 ટાંકા લેવા પડ્યા

0

માત્ર પાંદડા લેવા ઘરની બહાર નીકળેલી ચાર વર્ષની બાળકી માટે રસ્તા પરનો આ સામાન્ય લાગતી ક્ષણ અચાનક ભયાનક બની ગય હતી. પુણેના પિંપરી-ચિંચવડના ચિખલી વિસ્તારમાં સાત રખડતા કૂતરાઓએ બાળકી પર હુમલો કરી બચકાં ભરતા થયેલી ગંભીર ઇજા ને પગલે 80થી વધુ ટાંકા લેવા પડ્યા હતા.

મળતી માહિતી મુજબ, આ ઘટના રવિવારે બપોરે બની હતી. બાળકી નજીકના ઝાડ પરથી પાંદડા લેવા માટે ઘરની બહાર ગઈ હતી. એ સમયે ત્યાં રખડતાં કૂતરાના ટોળાએ તેના પર હુમલો કર્યો હતો. CCTVમાં દેખાય છે કે શરૂઆતમાં બે કૂતરાઓએ બાળકી પર હુમલો કર્યો અને તેને જમીન પર પાડી દીધી હતી. ત્યારબાદ અન્ય કૂતરાઓ પણ તેની તરફ ધસી આવ્યા હતા.

બાળકી ડરીને બચવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ કૂતરાઓએ તેને ચારેય તરફથી ઘેરી લીધી હતી. પરિવારના જણાવ્યા મુજબ, હુમલો આશરે 43 સેકન્ડ સુધી ચાલ્યો હતો. કૂતરાઓએ તેના માથા, હાથ અને જાંઘના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.

બાળકીની ચીસો સાંભળીને સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. લોકોએ કૂતરાઓને ભગાડ્યા બાદ ગંભીર રીતે ઘાયલ બાળકીને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડી હતી. ઘટનાનું CCTV ફૂટેજ આજે સામે આવતા વિસ્તારમાં રખડતા કૂતરાઓના આતંકને લઈને ચિંતા વધી છે.

કલ્યાણમાં પણ રખડતા કૂતરાનો આતંક

મહારાષ્ટ્રના કલ્યાણમાં પણ રવિવારે એક રખડતા કૂતરાએ લગભગ સાત કલાકમાં 130 લોકોને નિશાન બનાવ્યા હોવાનો અહેવાલ છે. આ હુમલામાં ઓછામાં ઓછા 25 લોકોને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા. ગંભીર રીતે ઘાયલ 11 વર્ષની બાળકીને વધુ સારવાર માટે મુંબઈની સાયન હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

રખડતા કૂતરાઓના વધતા હુમલાઓ વચ્ચે સ્થાનિક તંત્ર સામે હવે લોકોની સુરક્ષા અને કૂતરાઓના નિયંત્રણ અંગે સવાલો ઉઠી રહ્યા છે. તાજેતરના સુપ્રીમ કોર્ટના નિર્દેશોમાં પણ રખડતા કૂતરાઓના હુમલાને ખાસ કરીને બાળકો સહિત સામાન્ય નાગરિકોની સલામતી સાથે જોડાયેલો ગંભીર મુદ્દો ગણાવવામાં આવ્યો છે.

આરતી બાદ આચમન શા માટે કરવામાં આવે છે? જાણો આ પરંપરા પાછળનું ધાર્મિક મહત્વ

આરતી પૂરી થયા પછી થાળીની આસપાસ પાણી ઓવારવામાં આવે છે અને ત્યારબાદ ઘણા લોકો આચમન કરે છે અથવા પાણી પોતાના પર છાંટે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ પરંપરા શા માટે કરવામાં આવે છે? આ માત્ર વર્ષોથી ચાલી આવતી રીત નથી, પરંતુ હિંદુ પૂજા પદ્ધતિમાં આચમનને શુદ્ધિકરણ સાથે જોડવામાં આવ્યું છે. આ પરંપરા પાછળની માન્યતા અને યોગ્ય રીત જાણવી પણ એટલી જ જરૂરી છે.

આચમન શા માટે કરવામાં આવે છે?

આચમનનો અર્થ છે ધાર્મિક વિધિ દરમિયાન થોડું પાણી ગ્રહણ કરીને શુદ્ધિકરણની પ્રક્રિયા કરવી. અનેક પૂજા પદ્ધતિઓમાં પૂજા શરૂ કરતાં પહેલાં આચમનનો સમાવેશ કરવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર, આચમન દ્વારા સાધક શરીર અને મનની શુદ્ધિ માટે ભગવાનનું સ્મરણ કરે છે. વિવિધ પૂજા વિધિઓમાં ત્રણ વખત આચમન કરવાનો ઉલ્લેખ પણ મળે છે.

આરતીમાં દીવો અને કપૂર પ્રગટાવવામાં આવે છે. ધાર્મિક પરંપરામાં અગ્નિને પવિત્ર તત્વ માનવામાં આવે છે. આરતી બાદ પાણી ઓવારવાની પરંપરાને કેટલીક જગ્યાએ અગ્નિની ઉષ્ણતા બાદ શીતળતા અને પવિત્રતાના પ્રતીક તરીકે સમજવામાં આવે છે. જોકે આ રીત દરેક સંપ્રદાય અને કુટુંબમાં એકસરખી હોય તે જરૂરી નથી.

આચમન કરતી વખતે શું ધ્યાન રાખવું?

આચમન સામાન્ય રીતે સ્વચ્છ જગ્યાએ બેસીને કરવામાં આવે છે. પૂજા વિધિઓમાં સ્વચ્છ પાણીનો ઉપયોગ કરીને જમણા હાથથી ત્રણ વખત આચમન કરવાની રીત જોવા મળે છે.

આ દરમિયાન ભગવાનનું સ્મરણ અને મંત્રોચ્ચાર કરવો પરંપરાગત રીતે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. કેટલીક વિધિઓમાં આચમન બાદ હાથની શુદ્ધિ માટે પણ પાણીનો ઉપયોગ કરવામાં આવે છે.

આચમનની ચોક્કસ પદ્ધતિ અને મંત્રો સંપ્રદાય તથા કુટુંબની પરંપરા પ્રમાણે અલગ હોઈ શકે છે. તેથી કોઈ એક રીતને સર્વમાન્ય નિયમ માનવાને બદલે પોતાની પરંપરા અને જાણકાર પૂજારીના માર્ગદર્શન મુજબ આ વિધિ કરવી યોગ્ય છે.