કાજલ હિન્દુસ્તાની વિરોધમાં મોરબી પાટીદાર સમાજનું આક્રોશ મહાસંમેલન

Share this story

પાટીદાર સમાજની દીકરીઓ અને માતા-પિતા વિશે કરેલી વિવાદિત ટિપ્પણીને લઈને કાજલ હિન્દુસ્તાનીના વિરોધમાં આજે મોરબીમાં સમસ્ત પાટીદાર સમાજ દ્વારા એક મહાસંમેલન મળ્યું હતું. આ મહાસંમેલનમાં પાટીદાર સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. અને બાપા સીતારામ ચોક ટૂંકો પડ્યો હતો. સંમેલનમાં હાજર મોરબી સહિત સૌરાષ્ટ્રના પાટીદાર આગેવાનોએ કાજલ હિન્દુસ્તાનીનાં વિવાદિત નિવેદનને સખત શબ્દોમાં વખોડી તાકીદે કાજલ જાહેરમાં માંગી માંગવાની રોષપૂર્ણ માંગણી કરી હતી. તેમજ સર્વે અગ્રણીઓ જો કાજલ હિન્દુસ્તાની પાટીદાર સમાજની માફી નહિ માંગે તો તેની સામે કડક કાર્યવાહીની સાથે ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી હતી.

મોરબીના બાપા સીતારામ ચોકમાં પાટીદાર સમાજનું મહાસંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં કાજલ હિંદુસ્તાનીએ કરેલી અભદ્ર ટિપ્પણી અંગે રોષ પ્રગટ કરવામાં આવ્યો હતો. પાટીદાર સમાજે એકસૂરે માફીની માગ કરી હતી. જે મહાસંમેલન અંગે પાટીદાર અગ્રણી ટી.ડી.પટેલે જણાવ્યું હતું કે, કાજલ હિંદુસ્તાનીએ હિન્દુની દીકરી થઈને હિન્દુ દીકરીઓ પર જે વાણીવિલાસ કર્યો છે જે હિન્દુ સંસ્કૃતિનાં લક્ષણ નથી. આજથી અમે કાજલ હિંદુસ્તાનીને કાફર પાકિસ્તાની કહીશું. તેમજ જ્યાં સુધી માફી નહિ માંગે ત્યાં સુધી પાટીદાર સમાજના એકપણ કાર્યક્રમમાં સ્ટેજ પર સ્થાન ના આપવું તેવી પાટીદાર સમાજને અપીલ કરી હતી.

સૌરાષ્ટ્ર પાટીદાર સંગઠન સમિતિના પ્રમુખ કૌશિક રાબડીયાએ જણાવ્યું કે મોરબી પાટીદાર સમાજ દરેક જગ્યાએ દાન આપ્યું છે. એટલે આ સમાજને ઓછો ન આંકવો, આપણે કોઈને માફી મંગાવીને મોટા નથી થવું. પરંતુ આપણાં સમાજ સામે ખોટી આંગણી ચીંધવામાં આવી છે તેના કારણે આપણે આ બધું કરવાની જરૂર પડી છે. કાજલ હિન્દુસ્તાની માફી માંગી લે તો પટેલ સમાજ પણ ખેલદિલીથી માફ કરી દેશે. આ મોરબીની અસ્મિતા ઉપરનો ઘા છે. પાટીદાર સમાજ એ અઢારેય વરણની સાથે રહીને કઈક આપવામાં માનનારો સમાજ છે.

ઉમા મહિલા સંગઠન સમિતિ સૌરાષ્ટ્ર ઝોન પ્રમુખ, સરોજબેન મારડિયાએ જણાવ્યું હતું કે, સુરતની સભામાં કાજલ હિંદુસ્તાનીએ મોરબી પાટીદાર સમાજની દીકરીઓ અને કોલેજની વિદ્યાર્થિનીઓ પર જે ગંભીર આક્ષેપો કર્યા તે નિંદનીય છે. આવી ઘટના મોરબીમાં બની જ નથી. કાજલબેન ભૂલ થઇ છે તે સ્વીકારી લો, મોટા અગ્રણીઓ પોતાના નિવેદન પરત લેતા હોય છે તો તેઓ કેમ માફી માંગતાં નથી. ભૂલ સ્વીકારી માફી માંગે તેવી પાટીદાર સમાજની માગ છે. ભૂલ નહિ સ્વીકારે તો આવનાર દિવસોમાં વડીલો અને આયોજકો જે કાર્યક્રમો યોજશે તેમાં સમાજ સાથે રહેશે.સિરામિક એસો. પ્રમુખ મુકેશ કુંડારિયાએ જણાવ્યું હતું કે,માફી ના માંગે તો કોર્ટમાં કાર્યવાહી કરવામાં આવશે. આવનાર દિવસોમાં ૧૫ જેટલા પાટીદાર યુવાનો કેસ દાખલ કરશે અને કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.