Saturday, Dec 13, 2025

અમારી લડાઈ આતંકવાદ સામે, ઓપરેશન સિંદૂર પર DGMOની પ્રેસ

2 Min Read

નવી દિલ્હી ખાતે યોજાયેલી સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં ભારતીય સશસ્ત્ર દળોએ ઓપરેશન સિંદૂર અંગે વિસ્તૃત માહિતી આપી હતી. ડાયરેકટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ લેફ્ટનન્ટ જનરલ રાજીવ ધાઈ, એર માર્શલ એ.કે. ભારતી અને વાઈસ એડમિરલ એ.એન. પ્રમોદે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે ભારતનું યુદ્ધ માત્ર આતંકવાદીઓ સામે હતું અને પાકિસ્તાને આતંકવાદીઓને બચાવવા માટે દરમિયાનગીરી કરીને જે નુકસાન વેઠ્યું છે. તેના માટે તે પોતે જ જવાબદાર છે.

એર માર્શલ ભારતીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારતીય વાયુસેનાએ માત્ર આતંકવાદીઓના ઠેકાણાંને જ નિશાન બનાવ્યા હતા, પરંતુ પાકિસ્તાની સેનાએ જાણીજોઈને તેમાં દખલગીરી કરી. તેમણે સ્વદેશી હવાઈ સંરક્ષણ પ્રણાલી આકાશની પ્રશંસા કરતા કહ્યું કે તેણે પાકિસ્તાની ડ્રોનને તોડી પાડવામાં મહત્વની ભૂમિકા ભજવી. તેમણે ઉમેર્યું કે છેલ્લા દાયકામાં સરકારના સહયોગથી ભારતીય વાયુસેનાએ પોતાની ક્ષમતામાં નોંધપાત્ર વધારો કર્યો છે. પ્રેસ કોન્ફરન્સમાં ઓપરેશન સિંદૂર દરમિયાન નિશાન બનાવવામાં આવેલા પાકિસ્તાની લક્ષ્યોની તસવીરો પણ દર્શાવવામાં આવી હતી.

વાઈસ એડમિરલ એ.એન. પ્રમોદે ભારતીય નૌકાદળની સંપૂર્ણ યુદ્ધ તૈયારીઓ વિશે માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે નૌકાદળ જમીન, હવા અને પાણી ત્રણેય ક્ષેત્રોમાં એકસાથે ખતરાનો સામનો કરવા માટે સક્ષમ છે. તેમણે ભારતીય દરિયાઈ ક્ષેત્રની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે નૌકાદળની સતત દેખરેખ અને ઓળખ ક્ષમતા પર ભાર મૂક્યો હતો.

લેફ્ટનન્ટ જનરલ રાજીવ ધાઈએ ભારતના મજબૂત હવાઈ સંરક્ષણ સ્તરનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે તેમાં ઘૂસણખોરી કરવી લગભગ અશક્ય છે. તેમણે ક્રિકેટની રમતની સરખામણી કરીને ભારતની સંરક્ષણ પ્રણાલીની મજબૂતાઈ સમજાવી હતી. ત્રણેય સૈન્ય અધિકારીઓએ એક સ્વરમાં કહ્યું હતું કે ભારત શાંતિ ઇચ્છે છે, પરંતુ પોતાની સુરક્ષા અને સાર્વભૌમત્વની રક્ષા કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.

Share This Article