વધું એક ખાલિસ્તાની આતંકીનું મોત

Share this story

પાકિસ્તાનમાં છુપાયેલા ખાલિસ્તાની આતંકવાદી લખબીર સિંહ રોડેનું મૃત્યુ થયું છે. ૨ ડિસેમ્બરે પાકિસ્તાનમાં હાર્ટ એટેકના કારણે લખબીર સિંહ રોડેનું નિધન થયું હતું. સમાચાર લીક થવાથી બચવા માટે લખબીર સિંહ રોડેના પાકિસ્તાનમાં શીખ રિવાજો મુજબ ગુપ્ત રીતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. લખબીર સિંહ રોડે જરનૈલ સિંહ ભિંડરાનવાલેના ભત્રીજા છે.

લખબીર સિંહ રોડે પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ISIના ઈશારે પંજાબમાં ભારત વિરુદ્ધ આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ હતો. લખબીર પાકિસ્તાનમાંથી ભારતમાં પ્રતિબંધિત આતંકવાદી સંગઠનો ખાલિસ્તાન લિબરેશન ફોર્સ અને ઈન્ટરનેશનલ શીખ યુથ ફેડરેશન ચલાવતો હતો.

આ વર્ષે ઑક્ટોબર મહિનામાં પંજાબમાં નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ મોગાના કોઠે ગુરુપારા ગામમાં દરોડા પાડ્યા હતા. આ સમય દરમિયાન, લખબીર સિંહ રોડેની સંપત્તિ જપ્ત કરવામાં આવી હતી. આ ઉપરાંત, લખબીર સિંહ પર ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ, ૧૯૬૭ની કલમ ૩૩ (૫) હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. મહત્ત્વનું છે કે, લખબીર સિંહ રોડે પાકિસ્તાનમાં છુપાયેલો હતો અને તેને ISIનું સમર્થન હતું.

પંજાબની ગુપ્તચર એજન્સીઓએ માહિતી આપી હતી કે તેણે પંજાબમાં આતંક મચાવવા માટે ઘણા સ્લીપર સેલ તૈયાર કર્યા છે. દિલ્હીમાં લખબીર સિંહ રોડે વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. જેના પર કોર્ટે તેની કુલ જમીનનો ૧/૪ ભાગ સીલ કરવાનો આદેશ આપ્યો હતો. કોર્ટના આદેશ પર કાર્યવાહી કરતા NIAની ટીમે તેની જમીન સીલ કરી અને તેના પર સરકારી બોર્ડ લગાવી દીધું. હાલ લખબીરનો પરિવાર કેનેડામાં રહે છે.

આ પણ વાંચો :-