અમદાવાદ શહેરના બોપલ વિસ્તારમાં પાડોશીઓ વચ્ચે થયેલી માથાકૂટનો ચોંકાવનારો અંત આવ્યો છે. બોપલના એક ફ્લેટમાં નશાની હાલતમાં પાડોશીઓ સાથે ઝઘડો કરી મારામારી કરનાર એક નામચીન આરોપી પોલીસ આવવાના ભયથી ભાગવા જતાં ચોથા માળેથી લપસીને નીચે પટકાયો હતો. ગંભીર ઇજાઓ થવાના કારણે આ યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. બોપલ પોલીસે આ સમગ્ર મામલે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધીને કાયદેસરની તપાસ હાથ ધરી છે.
ગુજસીટોક અને NDPS સહિતના અનેક ગુનામાં સંડોવાયેલો હતો મૃતક
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મૃતક યુવકનું નામ મહાવીરસિંહ સિંધવ છે. તે હત્યાના પ્રયાસ , મારામારી, ગુજસીટોક અને એનડીપીએસ જેવા અનેક ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો રીઢો ગુનેગાર હતો. તે તાજેતરમાં જ બોપલ વિસ્તારમાં આવેલા અક્ષર લક્ઝ્યુરિયા ફ્લેટમાં રહેવા માટે આવ્યો હતો.
ગઈકાલે રાત્રે નશાની હાલતમાં ફ્લેટના રહીશો પર કર્યો હુમલો
ગત રાત્રે (8 જૂન) મહાવીરસિંહે નશાની હાલતમાં પાડોશીઓ સાથે કોઈ બાબતે ભારે માથાકૂટ કરી હતી. ઝઘડો એટલો ઉગ્ર બન્યો હતો કે તેણે પાડોશીઓ સાથે બેફામ મારામારી શરૂ કરી દીધી હતી. મહાવીરસિંહના સતત વધી રહેલા ત્રાસ અને આતંકથી કંટાળીને ફ્લેટના સ્થાનિક રહીશોએ તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમના ઈમરજન્સી નંબર 112 પર કોલ કરીને પોલીસને જાણ કરી હતી.
પોલીસની ગાડી જોઈ ચોથા માળેથી ભાગવા ગયો અને પગ લપસ્યો
સ્થાનિકોએ જણાવ્યું છે કે પોલીસ આવી હોવાની ખબર પડતા જ મહાવીરસિંહ પકડાઈ જવાના ડરથી બચવા માટે ભાગ્યો હતો. ચોથા માળે અગાસીના ભાગેથી ઝડપથી ભાગવાના પ્રયાસમાં અચાનક તેનો પગ લપસ્યો અને તે ચોથા માળેથી સીધો નીચે પટકાયો હતો, તેને માથા તેમજ શરીરના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી, જેના લીધે તેનું મોત થયું હતું.
પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી મૃતદેહ પીએમ માટે મોકલ્યો
પ્રાથમિક તપાસ અને પ્રત્યક્ષદર્શીઓના નિવેદન મુજબ મહાવીરસિંહ પોલીસથી બચવા ભાગતી વખતે જાતે જ લપસીને નીચે પડી ગયો હતો, જેના કારણે તેનું મોત નીપજ્યું છે. આથી હાલ બોપલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કર્યો છે. મૃતક વિરૂદ્ધ અગાઉથી જ અનેક પોલીસ સ્ટેશનોમાં ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યો છે.