વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુરત પ્રવાસને ધ્યાનમાં રાખીને તેમની સુરક્ષા અને શહેરની ટ્રાફિક વ્યવસ્થા સુચારુ રહે તે માટે સુરત મહાનગરપાલિકાએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ટ્રાફિક પોલીસની સૂચના અનુસાર 5 જૂન, 2026ના રોજ સિટી બસના 12 રૂટ સંપૂર્ણપણે બંધ રાખવામાં આવ્યા છે, જ્યારે BRTSના 2 રૂટને ડાયવર્ટ કરવામાં આવ્યા છે. રોજિંદા બે લાખથી વધુ મુસાફરોને અસર કરતા આ નિર્ણય હેઠળ વડાપ્રધાનના સત્તાવાર રૂટ પર આવતી બસ સેવાઓને અન્ય માર્ગો પર વાળવામાં આવી છે અને બાકીના રૂટ પર પણ બસોની ફ્રિકવન્સી ઘટાડવામાં આવી છે. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તમામ બસ સેવાઓ ફરીથી પૂર્વવત કરવામાં આવશે.
વાહનવ્યવહાર વિભાગે જણાવ્યા મુજબ BRTS રૂટ નં. 12 (ONGC કોલોની–સરથાણા નેચર પાર્ક) હવે માત્ર સોમેશ્વર જંક્શનથી સરથાણા નેચર પાર્ક સુધી જ દોડશે. જ્યારે રૂટ નં. 14 (ONGC કોલોની–કોસાડ EWS H2) હવે પાલ RTOથી કોસાડ EWS H2 વચ્ચે સંચાલિત થશે. ઉપરાંત સિટી બસના રૂટ નં. 136, 206, 658, 658B, 706, 106R, 153R, 216B, 216K, 226J, 716 અને 126R સંપૂર્ણપણે બંધ રાખવામાં આવ્યા છે. આ રૂટો રેલવે સ્ટેશન, એરપોર્ટ, અડાજણ, ઇચ્છાપોર, ઇસ્કોન સર્કલ, VNSGU, ઉમરા, કાપોદ્રા, ભીમપોર, કોસાડ અને જહાંગીરપુરા જેવા મહત્વપૂર્ણ વિસ્તારોને જોડે છે.
વડાપ્રધાનના પ્રવાસને લઈને સમગ્ર સુરત શહેરમાં કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સુરક્ષા વ્યવસ્થામાં શહેરના 6 હજારથી વધુ પોલીસ જવાનો ઉપરાંત બહારથી આવેલા 6 DCP કક્ષાના અધિકારીઓ અને SRPની 5 કંપનીઓને તૈનાત કરવામાં આવી છે.
NSG અને SPGના અધિકારીઓ તથા કમાન્ડો પણ સુરક્ષા વ્યવસ્થાની દેખરેખ રાખી રહ્યા છે. ગુરુવારે સુરત એરપોર્ટથી હજીરા સ્થિત L&T કંપની અને ઈન્ડોર સ્ટેડિયમ સુધીના રૂટ પર સુરક્ષા કાફલાનું સફળ રિહર્સલ પણ કરવામાં આવ્યું હતું.
તંત્ર દ્વારા મુસાફરોને વૈકલ્પિક રૂટોનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે અને કાર્યક્રમ પૂર્ણ થયા બાદ બસ સેવાઓને ફરી નિયમિત કરવામાં આવશે.