ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ અને ભાજપના ભૂતપૂર્વ સાંસદ ગૌતમ ગંભીરને ‘ISIS કાશ્મીર’ તરફથી જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આ ધમકી પછી ગંભીરે દિલ્હી પોલીસમાં ફરરિયાદ નોંધાવી હતી અને તાત્કાલિક કાર્યવાહીની માગ કરી હતી. રાજેન્દ્ર નગર પોલીસ સ્ટેશનના SHO અને સેન્ટ્રલ દિલ્હીના DCP ના જણાવ્યા અનુસાર ગંભીરે ઔપચારિક રીતે FIR નોંધવાની વિનંતી કરી હતી.
ગંભીરે પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી હતી ગંભીરે મંગળવારે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલાની નિંદા કરી અને તેનો યોગ્ય જવાબ આપવાની માંગ કરી. મંગળવારે પહેલગામના બૈસરન ઘાટીમાં આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં 26 પ્રવાસીઓના મોત થયાં હતાં.
ગંભીરે પોસ્ટ પર લખ્યું હતું કે મૃતકોના પરિવારો માટે પ્રાર્થના. આ માટે જવાબદાર લોકોએ તેની કિંમત ચૂકવવી પડશે. આ હુમલાની જવાબદારી પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા (LET) ની વિંગ, ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટે લીધી હતી.
જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આ હુમલામાં 28 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા, જ્યારે આતંકવાદીઓએ બૈસરન ઘાટીમાં પ્રવાસીઓ પર ગોળીબાર કર્યો હતો. આ હુમલો 2019 ના પુલવામા હુમલા પછીનો સૌથી ભયાનક માનવામાં આવી રહ્યો છે.