તમિલનાડુના ચેન્નાઈમાં ભાજપના એક નેતાએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ અલગ-અલગ જિલ્લાના 30 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદ ભાજપના નેતા ડૉ. વેંકટેશ મૌર્યએ રાહુલના તેમના અમેરિકન પ્રવાસ દરમિયાન અનામતને લઈને આપેલા નિવેદન સામે નોંધાવી છે. જેમાં તેમણે કથિત રીતે કહ્યું હતું કે, એસસી-એસટી અને ઓબીસી અનામતને નાબૂદ કરશે.
સમાચાર સંસ્થા ANIના અહેવાલ મુજબ, બીજેપી નેતા વેંકટેશ મૌર્યએ કહ્યું કે વિપક્ષના નેતા અને સાંસદ તરીકે રાહુલ ગાંધીએ દેશની બહાર આવી વાત ન કરવી જોઈએ. તે દેશની અંદર કંઈ પણ કહી શકે છે. વિદેશમાં તેમણે ભારત સરકાર, SC-ST અને OBCને લઈને ખોટો પ્રચાર કર્યો છે.
તેમણે વધુમાં કહ્યું કે, અમે રાહુલ ગાંધી વિરુદ્ધ પોલીસને ફરિયાદ આપી છે અને તેમની સામે રાષ્ટ્ર વિરોધી કલમો હેઠળ કેસ નોંધવાની માંગ કરી છે. જરૂર પડે તો તેમની ધરપકડ પણ કરવી જોઈએ. અમે લોકસભાના સ્પીકર સમક્ષ પણ માંગ કરીએ છીએ કે, તેમનું સંસદ સભ્યપદ રદ કરવામાં આવે. અમે 30 સપ્ટેમ્બરે ચેન્નાઈમાં રાહુલ ગાંધી સામે વિરોધ પ્રદર્શન પણ કરીશું. તેમણે પોતાના નિવેદનો બદલ માફી માંગવી જોઈએ.
અમેરિકાના પ્રવાસ દરમિયાન અલગ-અલગ કાર્યક્રમોમાં ભાગ લેતા રાહુલ ગાંધીએ અનામતની સાથે-સાથે દેશમાં બેરોજગારી, ચીન અને શીખોને લઈને પણ વિવાદાસ્પદ નિવેદનો આપ્યા હતા. વોશિંગ્ટન ડીસીમાં જ્યોર્જટાઉન યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે વાતચીત દરમિયાન તેમણે કહ્યું હતું કે, ભારતમાં કૌશલ્યોની કોઈ કમી નથી પરંતુ કુશળ લોકોનું સન્માન કરવામાં આવતું નથી.