વડાપ્રધાન મોદીએ પેટ્રોલ અને ડીઝલના ઉપયોગ પર કાપ મુકવા માટે અપીલ કરી હતી. વડાપ્રધાનની આ અપીલને લઈને ગુજરાતમાં અમલ પણ શરૂ થયો છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પોતાના કાફલાનો ઉપયોગ નહીં કરે, હવાઈ મુસાફરી પણ નહીં કરે, મુસાફરી કરવા માટે ખાલી સરકારી બસ અને ટ્રેનનો ઉપયોગ કરશે.
વડાપ્રધાને કરેલી પેટ્રોલ અને ડીઝલ બચાવવાની અપીલનો ગુજરાતમાં અમલ શરૂ થયો છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત હવે પોતાના કાફલાનો ઉપયોગ નહીં કરે. તેઓ બસ કે ટ્રેનમાં જ મુસાફરી કરશે. જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના કાફલામાંથી ચાર ગાડી હટાવવાનો નિર્ણય લીધો છે.
હવે મુખ્યમંત્રીના કાફલામાં માત્ર ત્રણ જ ગાડીઓ રહેશે. આ ઉપરાંત તેઓ જે તે જિલ્લાના પ્રવાસ દરમિયાન સ્થાનિક કક્ષાએથી મળતા કાફલાને પણ નહીં સ્વીકારે. આજે સવારે તેમણે પોતાના નિવાસ સ્થાનેથી નિકળતા જ આ નિર્ણયનો અમલ શરૂ કર્યો છે.
અમરેલી જિલ્લાના રાજુલા ખાતે ₹22 કરોડના ખર્ચે નિર્મિત અત્યાધુનિક 108 બેડની હોસ્પિટલના ટ્રોમા સેન્ટરનું લોકાર્પણ કરવા પહોંચેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ‘વીઆઈપી કલ્ચર’ ઘટાડવાની અપીલને અક્ષરશઃ સાર્થક કરી બતાવી છે. સામાન્ય રીતે દસથી વધુ વાહનોના લશ્કરી કાફલા સાથે ફરતા મુખ્યમંત્રીએ શિસ્તનું ઉદાહરણ પૂરું પાડતા માત્ર બે જ કાર સાથે રાજુલા પહોંચીને સૌને ચોંકાવી દીધા હતા.