Wednesday, Aug 5, 2026

નાસીરનગરના અસરગ્રસ્તો માટે રાહતના સમાચાર! સુરત પાલિકાએ લીધો મહત્વનો નિર્ણય

1 Min Read

નાસીરનગર ડિમોલિશન બાદ બેઘર બનેલા પરિવારો માટે હવે રાહતના સંકેતો દેખાઈ રહ્યા છે. લાંબા સમયથી વૈકલ્પિક આવાસની રાહ જોઈ રહેલા અસરગ્રસ્તો માટે સુરત મહાનગરપાલિકાએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. પાલિકાએ ઉચ્ચ અધિકારીઓની વિશેષ કમિટી રચીને પુનર્વસનની પ્રક્રિયાને ઝડપી, પારદર્શક અને નિયમબદ્ધ બનાવવાનો પ્રયાસ શરૂ કર્યો છે.

સુરત મહાનગરપાલિકાના મધ્યસ્થ મકાન વિભાગ દ્વારા જાહેર કરાયેલા આદેશ મુજબ, નાસીરનગર ડિમોલિશનમાં પ્રભાવિત થયેલા પાત્ર પરિવારોને સમયસર વૈકલ્પિક આવાસ ફાળવવાની સમગ્ર પ્રક્રિયા પર આ કમિટી નજર રાખશે. સાથે જ કામગીરીની નિયમિત સમીક્ષા કરીને સંબંધિત વિભાગને અહેવાલ પણ મોકલવામાં આવશે.

કમિટીમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને આઈએએસ અધિકારી નિધિ સિવાચ, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર એસ.પી. દેસાઈ તેમજ એડિશનલ સિટી એન્જિનિયર અને ડેપ્યુટી સિટી એન્જિનિયર એમ.ડી. ચાવડાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

અગાઉ પુનર્વસન પ્રક્રિયામાં વિલંબ અને ગેરસમજ અંગે ફરિયાદો ઉઠતી હતી. તેને ધ્યાનમાં રાખીને પાલિકાએ સીધી ઉચ્ચ અધિકારીઓની દેખરેખ હેઠળ કમિટી બનાવી છે. આ પગલાથી પાત્ર પરિવારોને ઝડપથી આવાસ ફાળવણી થશે અને સમગ્ર પ્રક્રિયામાં વધુ પારદર્શિતા જળવાશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Share This Article