વાંસદાની ચર્ચિત આંગડિયા લૂંટ કેસના મુખ્ય આરોપી રાજારામ ઉર્ફે રાજુએ નવસારી પોલીસને ફરી એકવાર મોટો ઝટકો આપ્યો છે. માઉન્ટ આબુના આશ્રમમાંથી સાધુનો વેશ ધારણ કરેલી હાલતમાં માંડ ઝડપાયેલો આ શાતિર ગુનેગાર નવસારી સિવિલ હોસ્પિટલમાંથી સારવાર બાદ પોલીસ જાપ્તાને ચકમો આપીને ફરાર થઈ ગયો છે. આ ઘટનાથી પોલીસમાં ભારે દોડધામ મચી ગઈ છે.
મળેલી વિગતો અનુસાર, વાંસદામાં રૂ. ૧૨.૫૦ લાખની આંગડિયા લૂંટ ચલાવ્યા બાદ રાજારામ મુંબઈ થઈને રાજસ્થાનના માઉન્ટ આબુ ખાતેના ગીરી આશ્રમમાં છુપાઈ ગયો હતો. ત્યાં તેણે આશ્રમના મહંતને ગેરમાર્ગે દોરી સાધુનો વેશ ધારણ કરી લીધો હતો. જોકે, આશ્રમની સોશિયલ મીડિયા રીલ્સ અને ટેક્નિકલ સર્વેલન્સના આધારે વાંસદા પોલીસે મહંતને વિશ્વાસમાં લઈ કડક ઓપરેશન પાર પાડી તેને દબોચી લીધો હતો.
રિમાન્ડ દરમિયાન આરોપીએ શ્વાસ લેવામાં તકલીફ થતી હોવાનું નાટક ઊભું કર્યું હતું, જેથી તેને નવસારી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. સારવાર બાદ રજા મળતાં ત્રણ સશસ્ત્ર પોલીસ કર્મચારીઓ તેને બહાર લાવી રહ્યા હતા, ત્યારે જ તકનો લાભ ઉઠાવી તે પોલીસને હાથતાળી આપીને ભાગી છૂટ્યો હતો.
ફરાર થયા બાદ સાંજના સમયે તે સ્ટેશન વિજલપોર રોડ પર આવેલા સાઈબાબા મંદિર નજીક નજરે પડ્યો હતો. જેના આધારે ૧૦થી વધુ પોલીસ ટીમોએ આખી રાત વિજલપુર ફાટક વિસ્તારમાં ઘેરાબંધી કરી સઘન શોધખોળ હાથ ધરી હતી. ગૌણ બાતમી મુજબ, વહેલી સવારે શારદા મંદિર શાળાના વિદ્યાર્થીઓએ પણ તેને ભાગતો જોયો હતો. હાલ સમગ્ર જિલ્લામાં કડક નાકાબંધી કરી નવસારી પોલીસે આ શાતિર લૂંટારાને ફરી પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.







