Thursday, May 22, 2025

રાજસ્થાનના જેસલમેરમાં બોર્ડરના ગામ ખાલી કરાવાયા, 17 નાગરિકોનું મોત

2 Min Read

ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. ચંડિગઢ અને અંબાલામાં શુક્રવારે હવાઈ હુમલાનો એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. ચંડિગઢમાં સેનાની વેસ્ટર્ન કમાન્ડ સ્થિત છે જ્યારે અંબાલામાં એરફોર્સ સ્ટેશન છે.

રાજસ્થાનના જેસલમેરમાં પાકિસ્તાન સરહદથી 20 કિમી અંદરના ગામોને ખાલી કરાવવામાં આવી રહ્યા છે. જેસલમેર પાસે 500 કિમી લાંબી સરહદ સાથે સૈનિક છાવણી પણ આવેલી છે.

આ વચ્ચે, જમ્મુ-કાશ્મીરના સાંબા વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર ઘુસણખોરીની કોશિશ કરતી વખતે BSF દ્વારા 7 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે. LOC પર છેલ્લા ત્રણ દિવસથી પાકિસ્તાની સૈન્ય સતત ફાયરિંગ કરી રહ્યું છે, જેમાં અત્યાર સુધીમાં 17 નાગરિકો, જેમાં 5 બાળકો પણ સામેલ છે, માર્યા ગયા છે.

રક્ષામંત્રી રાજનાથસિંહને સેનાના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી, નેવી ચીફ એડમિરલ દિનેશ ત્રિપાઠી, એર ચીફ માર્શલ એ.પી.સિંહ અને CDS અનિલ ચૌહાણે હાલની પરિસ્થિતિ અંગે માહિતી આપી છે. ગૃહમંત્રી પણ BSF અને CISFના અધિકારીઓ સાથે બોર્ડર અને એરપોર્ટ્સની સુરક્ષા અંગે બેઠક કરી રહ્યા છે.

ગુરુવારે રાત્રે પાકિસ્તાને જમ્મુ-કાશ્મીર, પંજાબ અને રાજસ્થાનના 11 સ્થળોએ ડ્રોન અને મિસાઇલથી હુમલો કર્યો. પાકિસ્તાની આત્મઘાતી ડ્રોન દ્વારા જમ્મુ એરપોર્ટ અને પઠાણકોટ એરફોર્સ સ્ટેશનને નિશાન બનાવવામાં આવ્યા હતા.

ભારતે પોતાની સુરક્ષા પ્રણાલીઓ જેમ કે S-400 અને આકાશ મિસાઈલથી આ હુમલાઓ નિષ્ફળ બનાવ્યા. LOC અને આંતરરાષ્ટ્રીય સરહદ પર 50થી વધુ પાકિસ્તાની ડ્રોન તોડી પાડવામાં આવ્યા. પઠાણકોટ ખાતે એક પાકિસ્તાની ફાઈટર જેટ પણ તોડી પાડવામાં આવ્યો હોવાનું કહેવાય છે, જોકે તેની સત્તાવાર પુષ્ટિ હજુ થઈ નથી.

Share This Article