Monday, May 4, 2026

ઉમરેઠ પેટા ચૂંટણીમાં ભાજપનો ધમાકેદાર વિજય, 30 હજાર મતથી જીત, કોંગ્રેસે EVM પર ઉઠાવ્યા સવાલ

2 Min Read

આજે ગુજરાતની પ્રતિષ્ઠાભરી આણંદ જિલ્લાની ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે વલ્લભ વિદ્યાનગરની BJVM કોલેજ ખાતે સવારે 8:00 કલાકે મતગણતરી શરૂ થઈ છે. શરૂઆતના વલણોથી જ ભારતીય જનતા પાર્ટીએ (BJP) લીડ જાળવી રાખી હતી. આ બેઠક ભાજપના પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારના નિધન બાદ ખાલી પડી હતી, જેના કારણે ભાજપે તેમના પુત્ર હર્ષદ પરમારને મેદાને ઉતાર્યા હતા. જ્યારે સામે પક્ષે કોંગ્રેસે અનુભવી નેતા ભૃગુરાજસિંહ ચૌહાણને મેદાને ઉતારીને ભાજપને ટક્કર આપવાનો પ્રયાસ કર્યો હતો. હવે ઉમરેઠ વિધાનસભાની ચૂંટણીનું પરિણામ આવી ગયું છે. ઉમરેઠ વિધાનસભાની પેટાચુંટણીમાં ભાજપનો કેસરીયો લહેરાયો છે.

ઉમરેઠ વિધાનસભા બેઠક માટેની પેટાચૂંટણી માટે આજે મત ગણતરી હાથ ધરવામાં આવી હતી, ત્યારે હવે પેટા ચૂંટણીના પરિણામ સામે આવી ગયા છે. ભાજપના ઉમેદવાર હર્ષદ પરમારની જીત થઈ છે. તેઓ 30,500 મતથી જીત્યા છે.

પિતા પૂર્વ ધારાસભ્ય સ્વ. ગોવિંદભાઈ પરમારના અવસાન બાદ ખાલી પડેલી આ બેઠક પર ભાજપે તેમના પુત્ર હર્ષદ પરમારને ટિકિટ આપી હતી. આ ચૂંટણીમાં કૉંગ્રેસના ઉમેદવાર ભૃગુરાજસિંહ ચૌહાણે પોતાની હાર સ્વીકારવાની સાથે જ EVM (ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન) પર દોષનો ટોપલો ઢોળ્યો છે. તેમણે પરિણામ બાદ આક્ષેપ કર્યો હતો કે હારનું મુખ્ય કારણ EVM માં થયેલી ગરબડ હોઈ શકે છે.

23મી એપ્રિલ પેટા ચૂંટણી માટે મતદાન કરવામાં આવ્યું હતું. જે દરમિયાન અંદાજિત મતદાન 59.04 ટકા નોંધાયું હતું. આ ચૂંટણીમાં કુલ 6 ઉમેદવારો મેદાનમાં હતા. ભાજપ તરફથી હર્ષદભાઈ ગોવિંદભાઈ પરમાર અને કોંગ્રેસ તરફથી ભૃગુરાજસિંહ ચૌહાણ વચ્ચે સીધી ટક્કર માનવામાં આવી રહી હતી. ઉપરાંત 3 અપક્ષ ઉમેદવારો અને એક BNJD પક્ષના ઉમેદવાર પણ ચૂંટણી મેદાનમાં હતા, જેના કારણે મુકાબલો રસપ્રદ બન્યો હતો.

Share This Article