અમદાવાદ શહેરના વ્યસ્ત એસ.જી. હાઇવે પર YMCA ક્લબ પાસે નિર્માણાધીન બ્રિજની કામગીરી દરમિયાન એક ગંભીર અકસ્માત સર્જાયો છે. પૂરઝડપે પસાર થતી બસના કારણે થયેલા હવાના દબાણથી લોખંડનું બેરિકેડ ઉડીને રિક્ષા પર પડ્યું, જેના કારણે રિક્ષા પલ્ટી ખાઈ ગઈ. આ અકસ્માતમાં એક મુસાફરનું ઘટનાસ્થળે જ મોત થયું છે, જ્યારે અન્ય બે મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે.
મૃતકની ઓળખ 46 વર્ષીય અજય મહતો તરીકે થઈ છે, જે ત્રાગડ વિસ્તારમાં રહેતા હતા અને મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેઓ 3 મેના રોજ સવારે ચાંગોદર ખાતે કામ પર જવા માટે રિક્ષામાં નીકળ્યા હતા. જ્યારે રિક્ષા YMCA ક્લબ પાસે વેસ્ટગેટ બિલ્ડિંગ સામે પહોંચી, ત્યારે આ દુર્ઘટના બની.
પ્રાથમિક તપાસ મુજબ, બ્રિજના કામને કારણે માર્ગ પર લોખંડના બેરિકેડ મૂકવામાં આવ્યા હતા. તે દરમિયાન બાજુમાંથી પૂરઝડપે પસાર થતી બસના હવાના પ્રેશરથી બેરિકેડ ઊડીને સીધું રિક્ષા પર પડ્યું. અકસ્માત એટલો ભયાનક હતો કે રિક્ષા પલ્ટી ખાઈ ગઈ અને અજય મહતો તેની નીચે દબાઈ ગયા, જેના કારણે તેમનું સ્થળ પર જ મોત થયું.
ઘટનાની જાણ થતાં જ સરખેજ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે અને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.