દક્ષિણ ગુજરાતમાં ગેસ સિલિન્ડરના કથિત કાળાબજારને લઈને ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. ગેસ એજન્સીઓ દ્વારા મૃત વ્યક્તિઓ તેમજ પરપ્રાંતીય શ્રમિકોના નામે બોગસ ગેસ કનેક્શનો ચલાવી સબસિડીવાળા સિલિન્ડરોનો દુરુપયોગ કરવામાં આવતો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. સમગ્ર મામલે પુરવઠા વિભાગ અને સંબંધિત કંપનીના અધિકારીઓની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ કડોદરા વિસ્તારમાં આવેલી એક ગેસ એજન્સીમાં 36 વર્ષ પહેલાં મૃત્યુ પામેલા વ્યક્તિના નામે ગેસ કનેક્શન સક્રિય હોવાનું અને તેના પર નિયમિત રિફિલિંગ થતું હોવાના આક્ષેપો થયા છે. વધુમાં, આ કનેક્શન સાથે અન્ય વ્યક્તિનો મોબાઇલ નંબર જોડાયેલો હોવાનું પણ સામે આવ્યું છે, જેના કારણે સમગ્ર મામલો વધુ શંકાસ્પદ બન્યો છે. સ્થાનિક સ્તરે એવો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે નિષ્ક્રિય, બિનઉપયોગી તથા મૃતકોના નામે રહેલા ગેસ કનેક્શનોનો ઉપયોગ કરીને સબસિડીવાળા ડોમેસ્ટિક ગેસ સિલિન્ડરોને કાળાબજારમાં વેચવામાં આવે છે.
ડોમેસ્ટિક અને કોમર્શિયલ ગેસના ભાવમાં રહેલા તફાવતનો લાભ લઈને કેટલાક તત્વો દ્વારા ગેરરીતિ આચરવામાં આવતી હોવાની ચર્ચા છે. આ ઉપરાંત પરપ્રાંતીય શ્રમિકોના નામે પણ મોટા પ્રમાણમાં કથિત બોગસ કનેક્શનો ઊભા કરવામાં આવ્યા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. જો આ દાવાઓ સાચા સાબિત થાય તો તે સરકારી સબસિડી વ્યવસ્થાના દુરુપયોગનો ગંભીર મામલો બની શકે છે. મામલામાં સંકળાયેલા કેટલાક લોકોનો આક્ષેપ છે કે પૂરતા પુરાવા હોવા છતાં સંબંધિત એજન્સીઓ અને જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી નથી.
તપાસના નામે માત્ર ઔપચારિકતા પૂર્ણ કરવામાં આવી રહી હોવાની ફરિયાદ પણ ઉઠી છે. આ સમગ્ર મામલે સત્ય હકીકત જાણવા માટે સ્વતંત્ર અને નિષ્પક્ષ તપાસની માંગ ઉઠી છે. જોકે, આક્ષેપો અંગે સંબંધિત ગેસ એજન્સી, કંપનીના અધિકારીઓ અથવા સરકારી તંત્ર તરફથી કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી. તપાસ પૂર્ણ થયા બાદ જ આક્ષેપોની સત્યતા અંગે સ્પષ્ટતા થઈ શકશે.