Thursday, Jun 18, 2026

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે નવસારી આવશે: રાજ્યપાલ સાથે પ્રાકૃતિક ખેતી અભિયાનમાં જોડાશે

2 Min Read

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનો ત્રણ દિવસીય નવસારી પ્રવાસ આજે શરૂ થઈ રહ્યો છે. મુખ્યમંત્રી સાંજે અમદાવાદ-મુંબઈ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન દ્વારા નવસારી પહોંચશે. આ પ્રવાસ દરમિયાન તેઓ રાજ્યપાલ સાથે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપતા વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે.

મુખ્યમંત્રી અને રાજ્યપાલના આગમનને લઈને નવસારી જિલ્લામાં વહીવટી તંત્ર સંપૂર્ણપણે સજ્જ બન્યું છે. નવસારી મહાનગરપાલિકા, પોલીસ વિભાગ અને અન્ય સરકારી તંત્રોએ સુરક્ષા, સ્વચ્છતા અને ટ્રાફિક વ્યવસ્થાની તૈયારીઓને આખરી ઓપ આપ્યો છે. શહેરના મુખ્ય માર્ગો, જાહેર સ્થળો અને રેલવે સ્ટેશન આસપાસ વિશેષ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સાંજે 5:25 વાગ્યે વંદે ભારત એક્સપ્રેસ મારફતે નવસારી રેલવે સ્ટેશન પર પહોંચશે. સામાન્ય મુસાફરોની જેમ ટ્રેનમાં પ્રવાસ કરવાના તેમના નિર્ણયને લોકો તરફથી સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે. સુરક્ષાની દૃષ્ટિએ રેલવે સ્ટેશન અને આસપાસના વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

નવસારી આગમન બાદ મુખ્યમંત્રી ખેરગામ તાલુકાના પાણીખડક ગામે જશે. ત્યાં તેઓ ‘એક પેડ મા કે નામ’ અભિયાન તેમજ સ્વચ્છતા કાર્યક્રમમાં ભાગ લેશે. ઉપરાંત ગ્રામજનો સાથે સંવાદ કરશે અને રાત્રિ ગ્રામસભામાં હાજરી આપ્યા બાદ ગામમાં જ રોકાણ કરશે.

19 જૂને મુખ્યમંત્રી યોગાભ્યાસ કાર્યક્રમમાં સહભાગી બનશે. ત્યારબાદ ચીખલી તાલુકાના સુરખાઈ ગામે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે ‘પ્રાકૃતિક કૃષિ સંવાદ’ અને ‘ગ્રામ કલ્યાણ’ કાર્યક્રમમાં હાજરી આપશે. આ પ્રસંગે તેઓ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અને કૃષિ વિકાસ અંગે માર્ગદર્શન આપશે.

પ્રવાસનો મુખ્ય ઉદ્દેશ્ય દક્ષિણ ગુજરાતમાં પ્રાકૃતિક અને ઝેરમુક્ત ખેતીને પ્રોત્સાહન આપવાનો છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત છેલ્લા ઘણા વર્ષોથી ખેડૂતોને રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી અપનાવવા પ્રેરિત કરી રહ્યા છે. હવે મુખ્યમંત્રી પણ આ અભિયાન સાથે સક્રિય રીતે જોડાતા ખેડૂતોમાં નવી આશા જાગી છે.

સુરખાઈ ખાતે યોજાનારા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતો, ગ્રામજનો અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહેશે. કાર્યક્રમ દરમિયાન પ્રાકૃતિક ખેતીના ફાયદા, આધુનિક કૃષિ પદ્ધતિઓ અને ગ્રામ વિકાસ સંબંધિત વિવિધ મુદ્દાઓ પર માર્ગદર્શન આપવામાં આવશે.

Share This Article