Tuesday, Jun 16, 2026

સુરતના ડીંડોલીમાં 19 વર્ષની વિદ્યાર્થિનીનો આપઘાત

2 Min Read

સુરત શહેરમાં આપઘાત અને હત્યાના બનાવો સતત સામે આવી રહ્યા છે. ત્યારે ડીંડોલી વિસ્તારમાં વધુ એક આપઘાતની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. અઠવાલાઈન્સ સ્થિત પી.ટી. સાયન્સ કોલેજમાં MSc ITના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી 19 વર્ષીય વિદ્યાર્થીનીએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું છે. લાંબા સમયથી માનસિક તણાવમાં રહેતી યુવતીના આપઘાતથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.

શ્રમજીવી પરિવારની દીકરીએ ભર્યું આ પગલું
પ્રાપ્ત માહિતી મુજબ, સુરતના ડીંડોલી નવાગામ વિસ્તારમાં આવેલા શ્રીનાથજી નગરમાં રાહુલ દેવરે પરિવાર સાથે રહે છે. પરિવારમાં પત્ની, બે પુત્રીઓ અને એક પુત્રનો સમાવેશ થાય છે. ટેમ્પો ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા રાહુલ દેવરેની 19 વર્ષીય પુત્રી મોહિની પી.ટી. સાયન્સ કોલેજમાં MSc ITના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. પરિવારજનોના જણાવ્યા મુજબ, મોહિની છેલ્લા ઘણા સમયથી માનસિક તણાવનો સામનો કરી રહી હતી અને ઘરમાં પણ મોટાભાગે એકલી અને ગુમસુમ રહેતી હતી.

પિતાએ રૂમમાં જોયું તો પગ નીચેથી જમીન સરકી ગઈ
રવિવારે બપોરના સમયે પરિવારના સભ્યો પોતાના રોજિંદા કામકાજમાં વ્યસ્ત હતા. તે દરમિયાન મોહિનીએ પોતાના રૂમનો દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો. ત્યારબાદ તેણે રૂમની બારી સાથે દોરી બાંધી ગળે ફાંસો ખાઈ લીધો હતો. થોડા સમય બાદ પિતા રાહુલ દેવરે રૂમ પાસે પહોંચ્યા ત્યારે પુત્રીને ફાંસો ખાધેલી હાલતમાં જોઈ તેઓ આઘાતમાં આવી ગયા હતા. આસપાસના લોકોની મદદથી યુવતીને તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

તબીબે મૃત જાહેર કરી, પોલીસે તપાસ શરૂ કરી
સ્મીમેર હોસ્પિટલમાં ફરજ પરના તબીબે તપાસ બાદ મોહિનીને મૃત જાહેર કરી હતી. હોસ્પિટલ તરફથી ઘટનાની જાણ ડીંડોલી પોલીસને કરવામાં આવતા પોલીસનો કાફલો હોસ્પિટલ દોડી આવ્યો હતો. ડીંડોલી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. યુવતીએ કયા કારણોસર આ પગલું ભર્યું તે અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

Share This Article