મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લામાં આવેલા માલશિરસ તાલુકાના તાંડલવાડી ગામ નજીક મ્હાસવડ-પંઢરપુર માર્ગ પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. શ્રદ્ધાળુઓથી ભરેલી પિકઅપ વાન અચાનક રસ્તા કિનારે આવેલા કૂવામાં ખાબકતા 14 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. મૃતકો તમામ પંઢરપુર વિસ્તારના રંજની ગામના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માત બાદ સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી અને ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા.
પિકઅપ વાન કૂવામાં ખાબકતા 14 લોકોના મોત
પ્રાપ્ત માહિતી અનુસાર, પિકઅપ વાનમાં સવાર તમામ લોકો હસવાડ ખાતે આવેલા સિદ્ધનાથ મંદિરના દર્શન કરીને પોતાના ગામ પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન તાંડલવાડી ગામ નજીક ડ્રાઇવરે વાહન પરનો કાબૂ ગુમાવતા પિકઅપ સીધી રસ્તા બાજુના કૂવામાં ખાબકી હતી. કૂવો પાણીથી ભરેલો હોવાથી વાહનમાં સવાર લોકો બહાર નીકળી શક્યા નહોતા અને ડૂબી જવાથી 14 લોકોના મોત થયા હતા.
મૃતકોમાં મહિલાઓ અને બાળકોનો સમાવેશ
અકસ્માત બાદ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. અત્યાર સુધીમાં 8 મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે, જેમાં 4 મહિલાઓ અને 4 બાળકોનો સમાવેશ થાય છે. પ્રાથમિક માહિતી મુજબ, આ દુર્ઘટનામાં બે લોકોનો આબાદ બચાવ કરવામાં આવ્યો છે.
કૂવા પાસે રેલિંગ ન હોવાને કારણે સર્જાઈ દુર્ઘટના
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, જ્યાં અકસ્માત થયો તે કૂવાની આસપાસ કોઈ સુરક્ષા રેલિંગ નહોતી. પરિણામે વાહન સીધું કૂવામાં ખાબક્યું હતું. વધુમાં, વાહનમાં તેની ક્ષમતા કરતાં વધુ લોકો સવાર હોવાનું પણ સામે આવ્યું છે, જેના કારણે બચાવ કામગીરીમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.
વહીવટી તંત્ર અને પોલીસની કાર્યવાહી શરૂ
અકસ્માતની જાણ થતાં જ વહીવટી તંત્ર, પોલીસ અને બચાવ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. રાહત અને બચાવ કામગીરી હજુ પણ ચાલુ છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે.
હાલ સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાયેલો છે. વહીવટી તંત્ર દ્વારા મૃતકોની ઓળખ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, જ્યારે ઘાયલોને જરૂરી સારવાર આપવામાં આવી રહી છે. અકસ્માત પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ ચાલુ છે.