Saturday, Jun 6, 2026

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇન્ડોર સ્ટેડિયમ પહોંચ્યા, વિકાસકાર્યોનું લોકાર્પણ કરી સભા સંબોધશે

2 Min Read

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 5 જૂન, 2026 ના રોજ ગુજરાતની મુલાકાતે છે. આજે બપોરે તેઓ સુરત આવી પહોંચ્યા છે. જ્યાં તેમણે હજીરા સ્થિત એલ એન્ડ ટીના પ્લાન્ટનું નિરીક્ષણ કર્યું હતું. પીએમ મોદીએ વિવિધ હથિયારોનું નિરીક્ષણ કરી માહિતી મેળવી હતી.

પીએમ મોદીએ એલ એન્ડ ટીના આર્મ્ડ કોમ્પ્લેક્સનું નિરીક્ષણ કર્યું
પોતાની સુરત મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એલ એન્ડ ટીના આર્મ્ડ કોમ્પ્લેક્સ મુલાકાત લીધી હતી. તેમણે વિવિધ હથિયારોનું નિરીક્ષણ કર્યું હતું અને માહિતી મેળવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સુરતમાં એક પેડ મા કે નામ અભિયાન હેઠળ વૃક્ષારોપણ કર્યું હતું.

સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં યોજાનાર વિશ્વ પર્યાવરણ દિવસનો કાર્યક્રમ ‘મિશન લાઈફ’ પહેલ હેઠળ 100 ટકા ટકાઉ અને પ્લાસ્ટિક મુક્ત અભિગમ સાથે આયોજિત કરવામાં આવ્યો છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના પ્રોફેસર કૃતિ પટેલ દ્વારા નિર્મિત વિશેષ ગ્રીન બેકડ્રોપ આ આયોજનનું મુખ્ય આકર્ષણ છે, જે ગુજરાતની પર્યાવરણીય સભાનતા અને ટકાઉ પદ્ધતિઓ પ્રત્યેની નિષ્ઠાને પ્રદર્શિત કરે છે. સમગ્ર કાર્યક્રમમાં ઇકો-ફ્રેન્ડલી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરીને રાજ્ય સરકાર દ્વારા પર્યાવરણ સંરક્ષણનો એક મજબૂત સંદેશ પાઠવવામાં આવ્યો છે.

વડાપ્રધાનના હસ્તે વડોદરા મુંબઈ એક્સપ્રેસવે પર 36 કિલોમીટર લાંબા કીમ-એના સેક્શન (પેકેજ VI) અને 27.50 કિલોમીટર લંબાઈના ગણદેવાથી એના સેક્શન (પેકેજ VII)નું લોકાર્પણ કરવામાં આવશે. રૂ. 7689 કરોડના ખર્ચે આ બન્ને પેકેજનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ બન્ને પેકેજમાં મેજર બ્રિજ, માઈનર બ્રિજ, રેલ રોડ બ્રિજ, ફ્લાયઓવર્સ અને વ્હિલકલ અંડરપાસ (VOP)નું વ્યાપક નેટવર્ક તૈયાર કરવામાં આવ્યું છે.

સ્થાનિકોની સગવડતા માટે બન્ને પેકેજમાં કુલ 70 અંડરપાસ અને બે ઈન્ટરચેન્જનું નિર્માણ કરવામાં આવ્યું છે. 8 લેનના માર્ગની શરૂઆત થવાથી આ વિસ્તારમાં કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે અને ઝડપી પરિવહન શક્ય બનશે. ડ્રાઈવરોની સુરક્ષા અને સગવડમાં વધારો કરવા માટે આ બન્ને પેકેજ પર કુલ સાત સુવિધાસભર રેસ્ટ એરિયા બનાવવામાં આવશે.

Share This Article