Wednesday, Jun 3, 2026

સુરતમાં 4 મહિનાના દીકરાને એસિડ પીવડાવી માતાએ પણ જીવન ટૂંકાવ્યું

2 Min Read

સુરતના સરથાણા વિસ્તારમાંથી એક અત્યંત આઘાતજનક અને કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. સરથાણા યોગીચોક પાસે આવેલી એવન હાઇટ્સમાં રહેતી 29 વર્ષીય પરિણીતાએ પોતાના માત્ર ચાર મહિનાના માસૂમ દીકરાને એસિડ પીવડાવ્યા બાદ પોતે પણ એસિડ પી લેતા બંનેના કરુણ મોત નીપજ્યા છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ડિલિવરી બાદ માનસિક તબિયત લથડવાના કારણે મહિલાએ આ આત્મઘાતી પગલું ભર્યું હોઈ શકે છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોક અને અરેરાટીનો માહોલ છવાઈ ગયો છે.

ડિલિવરી માટે પિયરમાં આવી હતી, દોઢ વર્ષ પહેલાં થયા હતા લગ્ન
મળતી માહિતી મુજબ, મૂળ અમરેલી જિલ્લાના ધારીની વતની અને હાલ સરથાણા યોગીચોક સ્થિત એવન હાઇટ્સમાં પરિવાર સાથે રહેતી 29 વર્ષીય ધારાના લગ્ન આશરે દોઢ વર્ષ પહેલાં થયા હતા. ધારા ડિલિવરી માટે પિયરમાં આવી હતી. ચાર મહિના પહેલાં જ તેણે એક સ્વસ્થ પુત્રને જન્મ આપ્યો હતો, જેનું નામ રીશાન રાખવામાં આવ્યું હતું. બાળકના જન્મથી પરિવારમાં ખુશીનો માહોલ હતો, પરંતુ આ ખુશી વધુ સમય ટકી શકી નહોતી.

પરિવારજનો અને સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, ધારા છેલ્લા કેટલાક સમયથી માનસિક સમસ્યાથી પીડાતી હતી અને તેની સારવાર પણ ચાલી રહી હતી. બાળકના જન્મ બાદ તેની માનસિક સ્થિતિ વધુ નબળી બનતી ગઈ હતી. સતત વધતા માનસિક તણાવને કારણે તે ભારે ડિપ્રેશનમાં રહેતી હોવાનું જણાયું હતું. છેલ્લા બે-ત્રણ દિવસથી તેણે અન્નનો ત્યાગ પણ કરી દીધો હતો, જેના કારણે પરિવારજનો ચિંતિત હતા.

સોમવાર (1 જૂન)ની સાંજે આ દુઃખદ ઘટના બની હતી. ધારા પોતાના ચાર મહિનાના પુત્ર રીશાનને લઈને સોસાયટીના ગ્રાઉન્ડ ફ્લોર પર ગઈ હતી. ત્યાં આવેલા શૌચાલયમાં જઈ તેણે પહેલા પોતાના માસૂમ દીકરાને એસિડ પીવડાવ્યું હતું. ત્યારબાદ તેણે પોતે પણ એસિડ પી લીધું હતું. ઘટના બાદ બંનેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન બંનેના મોત નીપજ્યા હતા.

ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં માનસિક અસ્વસ્થતા કારણભૂત હોવાનું સામે આવ્યું છે, જોકે પોલીસ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને વધુ તપાસ કરી રહી છે.

Share This Article