ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં 17 વર્ષીય સૂર્યા ચૌહાણની હત્યાના મામલે રાજકીય અને સામાજિક સ્તરે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ભાજપના ફાયરબ્રાન્ડ નેતા સંગીત સિંહ સોમે ઘટનાની કડક નિંદા કરતા કહ્યું કે આવી હિંસક અને કટ્ટરપંથી માનસિકતા દેશ માટે ગંભીર ખતરો છે.
હત્યાને ગણાવી આતંકવાદી માનસિકતાનું ઉદાહરણ
સંગીત સોમે જણાવ્યું કે બકરી ઈદના દિવસે એક સગીર યુવકની નિર્દયતાથી હત્યા કરવામાં આવી, જે અત્યંત દુઃખદ અને અસહ્ય ઘટના છે. તેમણે આ ઘટનાને આતંકવાદી માનસિકતાનું ઉદાહરણ ગણાવી કહ્યું કે આવી વિચારધારાને દેશમાં કોઈપણ કિંમતે સ્વીકારી શકાય નહીં.
આરોપીના એન્કાઉન્ટરને સમર્થન
ઘટના બાદ મુખ્ય આરોપી અસદ પોલીસ એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો. આ કાર્યવાહીનું સમર્થન કરતાં સંગીત સોમે જણાવ્યું કે જે લોકો નિર્દોષોની હત્યા કરે છે અને પોલીસ પર હુમલો કરે છે, તેમની સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ. તેમણે કેસમાં સંડોવાયેલા અન્ય આરોપીઓ સામે પણ સમાન કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
બાઈક ચલાવવા બાબતે શરૂ થયો હતો વિવાદ
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે હત્યા પહેલા અસદ અને સૂર્યા વચ્ચે મોટરસાઇકલ ચલાવવા બાબતે બોલાચાલી અને વિવાદ થયો હતો. આ વિવાદ બાદ અસદે સમગ્ર ઘટનાની જાણ પોતાના પિતા નવાબ અને મિત્રો ફરહાન તથા અતીકને કરી હતી.
કાવતરું ઘડીને સૂર્યા પર કર્યો હુમલો
તપાસ મુજબ, અસદ અને તેના સાથીદારોએ સૂર્યાને પાઠ ભણાવવાનો પ્લાન બનાવ્યો હતો. ત્યારબાદ રસ્તામાં સૂર્યાને રોકી તેની સાથે મારામારી કરવામાં આવી હતી. આરોપ છે કે ફરહાને અસદને છરી આપી હતી અને પિતા નવાબના ઉશ્કેરવાથી અસદે સૂર્યાના પેટમાં છરીના ઘા ઝીંક્યા હતા.
સારવાર દરમિયાન થયું મોત
ગંભીર રીતે ઘાયલ થયેલા સૂર્યાને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે. પોલીસે કેસમાં સંડોવાયેલા તમામ આરોપીઓ સામે કાર્યવાહી શરૂ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે.