Thursday, May 28, 2026

અમદાવાદમાં રિટાયર્ડ DySPએ કર્યો ગોળીબાર, આખો પરિવાર ગયો જેલમાં

2 Min Read

અમદાવાદના સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફાયરિંગ કેસને લઈને ભારે હોબાળો અને હાઈવોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. નિવૃત્ત ડીવાયએસપી અશોકસિંહ ચૌહાણની ધરપકડ બાદ પોલીસ સ્ટેશનમાં તણાવપૂર્ણ માહોલ જોવા મળ્યો હતો. મીડિયા સામે આવવા દેવામાં ન આવતા અશોકસિંહ ચૌહાણે સ્થાનિક પોલીસ પર ગંભીર આક્ષેપો કરતા હોબાળો મચાવ્યો હતો. સ્થિતિ કાબૂ બહાર જતા બે પોલીસ કોન્સ્ટેબલોએ તેમને જબરજસ્તી પકડી ધક્કા મારી લોકઅપમાં પુર્યા હતા.

પોલીસ કાર્યવાહી દરમિયાન નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણનો ગુસ્સો અને દબદબો બંને જોવા મળ્યા હતા. પોલીસ સાથેની બોલાચાલી દરમિયાન તેમને જોરજબરદસ્તીથી લોકઅપમાં ધકેલી દેવામાં આવ્યા હતા. આ મામલે તેમની દીકરી અને દીકરાની પણ પોલીસે ધરપકડ કરી છે.

અશોકસિંહ ચૌહાણે પોલીસ પર આક્ષેપ કરતાં કહ્યું હતું કે, સ્થાનિક પોલીસની સાઠગાંઠથી ગુંડાઓને તેમની માલિકીની જમીનમાં ઘૂસાડવામાં આવ્યા હતા. તેમણે સમગ્ર ઘટનાને કાવતરું ગણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે અમદાવાદના નહેરુનગર વિસ્તારમાં ઝાંસીની રાણી બસ સ્ટેન્ડ પાછળ ગઈકાલે સાંજે લગભગ 5 વાગ્યે જમીનના દસ્તાવેજો અને ભાડાના નાણાં પરત માંગવાના વિવાદમાં નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણે પોતાના અંગત હથિયારથી પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યું હોવાનો આરોપ છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ નહોતી.

ઘટનાની ગંભીરતા જોતા સેટેલાઈટ પોલીસ તેમજ ક્રાઈમ બ્રાન્ચના ACP સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે નિવૃત્ત અધિકારીનું હથિયાર કબજે કરીને પૂછપરછ શરૂ કરી છે. સમગ્ર મામલે સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

Share This Article