ગુજરાત રાજ્ય સરકારના વહીવટી તંત્રમાં ફરી એકવાર મોટાપાયે ફેરબદલ કરવામાં આવ્યો છે. તાજેતરમાં આઈએએસ અધિકારીઓની બદલી બાદ હવે સામાન્ય વહીવટી વિભાગ (GAD) દ્વારા સેક્શન અધિકારીઓ અને નાયબ સેક્શન અધિકારીઓને લઈને મહત્વપૂર્ણ આદેશો જાહેર કરવામાં આવ્યા છે.
સરકાર દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર આદેશ મુજબ વિવિધ વિભાગોમાં ફરજ બજાવતા કુલ 36 સેક્શન અધિકારીઓ (SO)ની બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત સચિવાલય કેડરના 81 નાયબ સેક્શન અધિકારીઓ (DySO)ને બઢતી આપીને સેક્શન અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે અને તેમને અલગ-અલગ વિભાગોમાં નવી જવાબદારીઓ સોંપવામાં આવી છે.
27 મે, 2026ના રોજ મોડીરાત્રે જાહેર કરાયેલા આ આદેશ હેઠળ સચિવાલયના અનેક મહત્વપૂર્ણ અને સંવેદનશીલ વિભાગોમાં અધિકારીઓની જવાબદારીઓમાં ફેરફાર કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના ઉચ્ચ સ્તરે લેવામાં આવેલા આ નિર્ણય પાછળ વહીવટી કામગીરીમાં વધુ ઝડપ લાવવી અને વિભાગીય કાર્યક્ષમતામાં વધારો કરવાનો મુખ્ય હેતુ માનવામાં આવી રહ્યો છે.
બઢતી મેળવનારા તેમજ બદલી કરાયેલા તમામ અધિકારીઓને તાત્કાલિક અસરથી પોતાના નવા વિભાગોમાં ચાર્જ સંભાળી લેવા સૂચના આપવામાં આવી છે.