ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના 28 દિવસ બાદ હવે મહાનગરપાલિકાઓના હોદ્દેદારોની વરણી કરવામાં આવી રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશના મેયર અને ડેપ્યુટી મેયરના નામની જાહેરાત કરવામાં આવી છે. અમદાવાદ શહેરના મેયર તરીકે હિતેશ બારોટ અને ડેપ્યુટી મેયર તરીકે અંજુ શાહની પસંદગી કરવામાં આવી છે.
અમદાવાદના મેયર તરીકે થલતેજ વોર્ડના કોર્પોરેટર હિતેશ બારોટની વરણી કરવામાં આવી છે. ડેપ્યુટી મેયર તરીકે સાબરમતી વોર્ડના અંજુબેન શાહની નિમણૂક કરવામાં આવી છે. જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે ખોખરા વોર્ડના કોર્પોરેટર કમલેશ પટેલની વરણી કરાઈ છે. ભાજપના શાસક પક્ષના નેતા તરીકે શાહીબાગ વોર્ડના જશુભાઈ ઠાકોર અને દંડક તરીકે ચાંદખેડા વોર્ડના અતુલ મિશ્રાની નિમણૂક કરાઈ છે.
અમદાવાદના નવા મેયર તરીકે નિયુક્ત થયા બાદ હિતેશ બારોટે શહેરના વિકાસ, ટ્રાફિકની ગંભીર સમસ્યા, ચોમાસાની પૂર્વતૈયારીઓ અને ભવિષ્યના મેગા પ્રોજેક્ટ્સને લઈને એક ખાસ વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ‘અમદાવાદ દેશના સૌથી ઝડપથી વિકસતા શહેરોમાંનું એક છે અને તેને ગ્લોબલ લેવલ પર વધુ વિકસિત બનાવવું એ જ તેમનો મુખ્ય ઉદ્દેશ્ય રહેશે.’ આ ઉપરાંત આગામી સમયમાં અમદાવાદ ખાતે આયોજિત થનારી ઓલિમ્પિક અને કોમનવેલ્થ ગેમ્સની તૈયારીઓને લઈને પણ તેમણે સકારાત્મક અભિગમ દર્શાવ્યો હતો.
અમદાવાદના નવા મેયર હિતેશ બારોટે જણાવ્યું હતું કે, ‘અમદાવાદ શહેરના દરેક નાગરિકની જે કોઈ પાયાની જરૂરિયાત છે, તે પૂરી કરવી એ મારી સૌથી પહેલી પ્રાથમિકતા રહેશે. આપણું અમદાવાદ પહેલેથી જ અગ્રેસર છે, પરંતુ તેને દેશનું સૌથી વધુ વિકસિત અને સુવિધાજનક શહેર બનાવવા માટે હું અને મારી ટીમ સતત પ્રયાસ કરીશું.’