સુરતના ઉધના રોડ નંબર 6 વિસ્તારમાં ભાજપ સાથે સંકળાયેલા યુવા આગેવાન જય દલાલની જાહેરમાં તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી હત્યા કરવામાં આવી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. જય દલાલ ભાજપના મહિલા અગ્રણી જયશ્રીબેન દલાલના પુત્ર હતા, જેઓ ધારાસભ્ય સંગીતાબેન પાટીલના નજીકના સાથીદાર તરીકે ઓળખાતા હતા અને પક્ષની વિવિધ પ્રવૃત્તિઓમાં સક્રિયપણે જોડાયેલા હતા.
મૃતક જય દલાલ પોતે પણ ભાજપ સંગઠનમાં મહત્વની જવાબદારી સંભાળી રહ્યા હતા. તેઓ ડીંડોલી વોર્ડ યુવા મોરચાના ઉપપ્રમુખ તરીકે કાર્યરત હતા અને સ્થાનિક સ્તરે પક્ષની કામગીરીમાં સક્રિય ભૂમિકા ભજવતા હતા.
ધોળા દિવસે થયેલી આ ક્રૂર હત્યાથી સમગ્ર વિસ્તારમાં ભય અને ચકચારનો માહોલ સર્જાયો છે. સત્તાધારી પક્ષના યુવા પદાધિકારીની આવી નિર્દય હત્યા થતા ભાજપના રાજકીય વર્તુળોમાં ભારે ખળભળાટ મચી ગયો છે. સાથે જ સામાન્ય જનતામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે પણ ચિંતા વ્યાપી ગઈ છે.
ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને તપાસ શરૂ કરી છે. હુમલો શા માટે કરવામાં આવ્યો અને તેની પાછળ કોણ જવાબદાર છે તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.