પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી પાંચ દેશોના મહત્વપૂર્ણ પ્રવાસ પર નીકળ્યા છે. વૈશ્વિક ઊર્જા સંકટ વચ્ચે ભારત માટે આ મુલાકાતને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. ખાસ કરીને યુએઈ મુલાકાત દરમિયાન એલપીજી પુરવઠા અને વ્યૂહાત્મક પેટ્રોલિયમ ભંડારને લઈને મહત્વપૂર્ણ કરારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ દેશવાસીઓને પેટ્રોલ અને ડીઝલ બચાવવા માટે અપીલ કરી છે. આ અપીલને રાજ્યહિતમાં મહત્વપૂર્ણ ગણાવતા ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી એ જણાવ્યું હતું કે સરકાર આ દિશામાં સક્રિય રીતે કામ કરી રહી છે.
હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે 16 મેથી લોકો માટે 300 નવી બસોનું લોકાર્પણ કરવામાં આવશે. આ કાર્યક્રમ માટે કોઈ પણ પ્રકારનો ફિઝિકલ કાર્યક્રમ રાખવામાં આવ્યો નથી અને વર્ચ્યુઅલ કાર્યક્રમ પણ નહીં યોજાય તેવી સૂચના આપવામાં આવી છે. સવારે 10 વાગ્યાથી આ બસો સીધી જ લોકોની સેવા માટે શરૂ કરવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે આ નિર્ણયથી ઈંધણ અને સમય બંનેની બચત થશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે 126 પાઈલોટ કારના કાફલામાં ઘટાડો કરવામાં આવ્યો છે, જેના કારણે અંદાજે 5000 કિલોમીટર જેટલું ડીઝલ અને પેટ્રોલ બચાવવામાં સફળતા મળી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશહિત માટે મહત્વપૂર્ણ અપીલ કરી છે અને શક્ય તેટલી બેઠકો વર્ચ્યુઅલ રીતે યોજવા માટે નિર્દેશ આપ્યા છે. સાથે જ દૂરના વિસ્તારોમાંથી લોકોને ગાંધીનગર ન આવવાની પણ સલાહ આપવામાં આવી છે. પ્રધાનમંત્રી મોદીની આ અપીલનું પાલન મંત્રીઓ અને અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે. ગાંધીનગરમાં મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટ બેઠક દરમિયાન મુખ્યમંત્રી મર્યાદિત કાફલા સાથે પહોંચ્યા હતા, જ્યારે નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવી અને અન્ય મંત્રીઓ એક જ કારમાં બેઠક માટે આવ્યા હતા.
આ ઉપરાંત પ્રધાન પ્રવીણ માળી ઇલેક્ટ્રિક વાહન લઈને પહોંચ્યા હતા, જ્યારે સજયસિંહ મહિડા અને પ્રદ્યુમ્ન વાજા પણ ઇલેક્ટ્રિક કારમાં આવ્યા હતા. પી.સી. બરડા પોતાની ખાનગી કારમાં બેઠકમાં હાજર રહ્યા હતા. હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીની સૂચનાઓનો રાજ્ય સરકાર દ્વારા સંપૂર્ણ અમલ કરવામાં આવશે અને રાજ્ય સરકાર ખર્ચ ઘટાડવા માટે પણ પ્રતિબદ્ધ છે.