મુંબઈના પાયધુની વિસ્તારમાં ફૂડ પોઈઝનિંગની શંકાસ્પદ ઘટનામાં એક જ પરિવારના ચાર સભ્યોના કરુણ મોત થતાં ભારે ખળભળાટ મચ્યો છે. મૃતકોમાં અબ્દુલ્લા ડોકડીયા (40), તેમની પત્ની નસરીન ડોકડીયા (35) તેમજ તેમની બે પુત્રીઓ આયશા (16) અને ઝૈનબ (13)નો સમાવેશ થાય છે. પ્રાથમિક તપાસ મુજબ, પરિવારએ રાત્રે પહેલા બિરયાની અને ત્યારબાદ તરબૂચ ખાધું હતું, જેના કારણે તેમની તબિયત બગડી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
મુંબઈ પોલીસના વરિષ્ઠ અધિકારીઓના જણાવ્યા અનુસાર, શરૂઆતની દ્રષ્ટિએ આ ઘટનામાં ફૂડ પોઈઝનિંગ મુખ્ય કારણ હોવાનું લાગી રહ્યું છે. પરિવારના એક સભ્યએ મૃત્યુ પહેલાં પોલીસને આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, તમામ સભ્યોએ સાથે ભોજન લીધું હતું અને ત્યારબાદ તરબૂચ ખાધું હતું. જોકે, મોતનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થઈ શકશે.
ઘટનાક્રમ મુજબ, 25 એપ્રિલની રાત્રે લગભગ 10:30 વાગ્યે પરિવારના સભ્યો તેમના પાંચ સંબંધીઓ સાથે ભોજન માટે બેઠા હતા. ભોજન બાદ સંબંધીઓ પોતપોતાના ઘરે પરત ફર્યા હતા. રાત્રે 1:00 થી 1:30 દરમિયાન પરિવારના ચારેય સભ્યોએ તરબૂચ ખાધું હતું. બીજા દિવસે વહેલી સવારે 5:30 થી 6:00 વાગ્યાની વચ્ચે તેમને ઉલ્ટી અને ઝાડા જેવા લક્ષણો જોવા મળ્યા હતા. તબિયત વધુ બગડતા તેમને તાત્કાલિક ફેમિલી ડોક્ટર પાસે લઈ જવામાં આવ્યા, જ્યાંથી તેમને જે.જે. હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યા હતા.
હાલમાં ચારેય મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે અને ડોક્ટરોએ અંતિમ અભિપ્રાય મેડિકલ રિપોર્ટ આવ્યા સુધી સુરક્ષિત રાખ્યો છે. પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે અને ખોરાકના નમૂનાઓની પણ તપાસ કરવામાં આવી રહી છે.