Friday, Apr 17, 2026

સુરત મેડિકલ ટેકનોલોજીમાં આગળ: સવાણી આઈ હોસ્પિટલમાં AI આધારિત લેસિક સુવિધાનો પ્રારંભ

2 Min Read

ટેક્સટાઈલ અને ડાયમંડ સિટી તરીકે જાણીતું સુરત હવે મેડિકલ ટેકનોલોજી ક્ષેત્રે પણ હરણફાળ ભરી રહ્યું છે. સુરતના વરાછા વિસ્તારના હિરાબાગમાં બે દાયકાથી કાર્યરત ‘સવાણી આઈ હોસ્પિટલ’ દ્વારા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ આધારિત અત્યાધુનિક લેસિક સુવિધાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સુરતના નેત્રરોગ નિષ્ણાત ડો.સંજય સવાણીના માર્ગદર્શન હેઠળ આ સેન્ટર હવે દક્ષિણ ગુજરાતના દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે.

આ તકે નેત્રરોગ નિષ્ણાત ડો. સંજય સવાણીએ કહ્યું હતું કે, સવાણી આઈ હોસ્પિટલમાં AI આધારિત લેસિક સુવિધાનો પ્રારંભ થવાથી સુરતવાસીઓએ આંખના નંબર ઉતારવા (લેસિક સર્જરી) માટે અમદાવાદ કે મુંબઈ જેવા મોટા શહેરોમાં જવાની જરૂર રહેશે નહી. જર્મન ટેકનોલોજી ધરાવતા Schwind Amaris મશીન દ્વારા ટચલેસ, ફ્લેપલેસ અને પેઈનલેસ ટ્રીટમેન્ટ ઉપલબ્ધ થઈ છે. અત્યાર સુધી જે દર્દીઓની કીકી પાતળી હોવાને કારણે નંબર ઉતારવા શક્ય ન હતું તેઓ પણ હવે સુરક્ષિત રીતે સારવાર કરાવી શક્શે.

વધુમાં ડો.સવાણીએ ઉમેર્યું હતું કે, AI (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ)ના માધ્યમથી આંખની કીકીનું સચોટ નિદાન કરી આંખને સ્પર્શ કર્યા વગર જ લેસર દ્વારા સારવાર કરવામાં આવશે. લેસિકની જેમ આંખમાં કોઈ પણ પ્રકારનો કાપો કે ફ્લેપ બનાવવાની જરૂર રહેતી નથી અને આ સમગ્ર પ્રક્રિયા તદ્દન દર્દ રહિત છે. આ જર્મન ટેક્નોલોજી દ્વારા ફ્લેપલેસ અને પેઈનલેસ ટ્રીટમેન્ટ મળવાથી સારવારના ટુંકા સમય ગાળામાં જ દર્દી પોતાની સામાન્ય દિનચર્યા શરૂ કરી શકે છે.

ડો. સંજય સવાણીએ જણાવ્યું હતું કે, અમારો ઉદ્દેશ્ય સુરત અને આસપાસના વિસ્તારના લોકોને વિશ્વસ્તરીય સુવિધાઓ ઘરઆંગણે પૂરી પાડવાનો છે. આજની યુવા પેઢી, જેમને સ્પોર્ટ્સ, ડિફેન્સ કે ગ્લેમર ક્ષેત્રે કારકિર્દી બનાવવી છે, તેમના માટે ચશ્મા અવરોધરૂપ બનતા હોય છે. AI આધારિત આ લેસિક ટેકનોલોજીથી અહીંયા સુરક્ષિત રીતે આંખના નંબરથી મુક્તિ અપાવી શકીએ છીએ.

વરાછા વિસ્તારની હિરાબાગ ખાતે કાર્યરત સવાણી આઈ સેન્ટરના આ આધુનિકીકરણથી હવે સુરતીઓને અત્યાધુનિક સારવાર માટે મુંબઈ કે અમદાવાદ નહી જવું પડે. આ સેન્ટર ખાતે લેસિક ઉપરાંત આંખના અન્ય જટિલ રોગોનું નિદાન પણ આધુનિક મશીનો દ્વારા કરવામાં આવી રહ્યું છે.

Share This Article