ઉત્તર પ્રદેશના નોઇડામાં છેલ્લા બે દિવસોથી શ્રમિકોએ લઘુત્તમ વેતન મામલે હિંસક દેખાવો કરી રહ્યા છે, ગઈ કાલે શહેરમાં ચક્કાજામના દ્રશ્યો સર્જાયા હતાં, શ્રમિકોએ પોલીસ વાહનોને નુકશાન પહોંચાડ્યું હતું. આ દેખાવો બાદ ઉત્તર પ્રદેશ સરકારે તમામ શ્રેણીઓ શ્રમિકો માટે લઘુત્તમ વેતનમાં વધારો કર્યો છે, આ સુધારેલા દરો 1 એપ્રિલથી લાગુ થશે.
એક ઉચ્ચ અધિકારીએ આપેલી જાણકારી મુજબ હાઈ પાવર્ડ કમિટીએ વેતનમાં વધારાને મંજૂરી આપી છે, ત્યાર બાદ સોમવારે મોડી રાત્રે મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે પણ મંજૂરી આપી હતી.
વેતનમાં આટલો વધારો:
આ વેતન વધારા બાદ ગૌતમ બુદ્ધ નગર અને ગાઝિયાબાદમાં અનસ્કીલ્ડ શ્રમિકોનું વેતન દર મહિને ₹11,313 થી વધીને ₹13,690 થયું છે. સેમી-સ્કીલ્ડ શ્રમિકોને દર મહીને ₹15,059 મળશે, જ્યારે સ્કીલ્ડ લેબરને ₹16,868 મળશે. અન્ય મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારોમાં, અનસ્કીલ્ડ શ્રમિકો માટે માસિક વેતન ₹13,006 , સેમી-સ્કીલ્ડ શ્રમિકો માટે ₹14,306 અને સ્કીલ્ડ લેબર માટે ₹16,025 નક્કી કરવામાં આવ્યું છે.
રાજ્યના બાકીના જિલ્લાઓમાં અનસ્કીલ્ડ શ્રમિકોને દર મહીને ₹12,356 , સેમી-સ્કીલ્ડ શ્રમિકો ₹13,591 અને સ્કીલ્ડ લેબરને ₹15,224 મળશે. એમ્પ્લોયર્સ જૂથો અને મજૂર સંગઠનો સાથે પરામર્શ કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે, વાતચીત દરમિયાન “સંતુલિત અને વ્યવહારુ” પરિણામ પર પહોંચવા માટે સૂચનો અને વાંધાઓની સમીક્ષા કરવામાં આવી છે.
સોમવારે નોઈડામાં ફેક્ટરી શ્રમિકોના વિરોધ પ્રદર્શનો બાદ સરકારે પરિસ્થિતિને કાબુમાં લેવા અને કામદારો અને એમ્પ્લોયર્સ બંને સાથે વાતચીત કરવા માટે એક સમિતિની રચના કરી હતી.