સુરત શહેરના વેસુ વિસ્તારમાં આવેલ ભગવાન મહાવીર કોલેજ પાસે તળાવમાં આજે સવારના સમયગાળા દરમિયાન માછલી પકડવા ગયેલી માત્ર 11 વર્ષની માસુમ બાળકી તળાવમાં ડૂબી જતા તેનું મોત નીપજ્યું હતું. બનાવને પગલે તેમને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી પરંતુ ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરી હતી.
બનાવની વિગત એવી છે કે વેસુ ભગવાન મહાવીર કોલેજ પાસે રહેતી માત્ર 11 વર્ષની સંજુકુમારી ગોવિંદરા મહારા નામની બાળકી સવારે 11:15 વાગ્યાના અરસામાં ભગવાન મહાવીર કોલેજ પાસે આવેલ તળાવમાં માછલી પકડવા માટે ગઈ હતી.
આ સમયે અચાનક જ તે તળાવમાં પડી જતા ઊંડા પાણીમાં ગરમ થઈ ગઈ હતી. બનાવને પગલે સ્થાનિક લોકોએ તાત્કાલિક ફાયર કંટ્રોલ વિભાગ ને જાણ કરતા ની સાથે જ ભીમરાડ અને વેસુ ફાયર સ્ટેશનથી ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તેઓએ પાણીમાં માસુમ બાળકીની શોધખોળ કરી તેને બહાર કાઢી તાત્કાલિક ઇમરજન્સી એમ્બ્યુલન્સ 108 દ્વારા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડી હતી. જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. બનાવને પગલે પોલીસે તેના પોસ્ટમોર્ટમ માટેની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરુ કરી છે.