નવસારીમાં રહેતા બિલ્ડર સાથે સુરતના સચિન વિસ્તારમાં રહેતા એક યુવકે ફાયર સેફ્ટી એનઓસી અપાવવાના બહાને ₹3 લાખની છેતરપિંડી કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. બિલ્ડર રાજેશકુમાર દલસુખભાઈ તળાવીયાએ પોતાના પ્રોજેક્ટ માટે ફાયર એનઓસી મેળવવા માટે લાઇઝનીંગનું કામ કરતા કેતન હરીશભાઈ સુરતીને જવાબદારી સોંપી હતી. આરોપીએ કામ કરવાની બાહેંધરી આપીને એડવાન્સ રૂપે ₹3 લાખ લઈ લીધા, પરંતુ પછી કામ કર્યું નહીં અને પૈસા પરત પણ આપ્યા નહીં.
મૂળ અમરેલી જિલ્લાના ધારી તાલુકાના વતની અને હાલ નવસારીના જલાલપુર રોડ પર લીમડા ચોક પાસે ચામુંડા કૃપા સોસાયટીમાં રહેતા રાજેશકુમાર બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલા છે. થોડા સમય પહેલા વાપીમાં પ્રોજેક્ટ પૂર્ણ કર્યા બાદ તેમણે કેતન સુરતીને ફાયર એનઓસી માટે કામ સોંપ્યું હતું. જોકે, આરોપીએ પૈસા લીધા બાદ એનઓસી અપાવ્યું નહીં અને રકમ પોતાના અંગત ઉપયોગમાં ખર્ચી નાખી.
પૈસા પરત માંગતા આરોપીએ વારંવાર વાયદા કરીને સમય પસાર કર્યો હતો. ચાર મહિના કરતાં વધુ સમય વીતી જવા છતાં એક પણ રૂપિયા પરત ન આપ્યા. આ દરમિયાન આરોપી દ્વારા આપવામાં આવેલ ચેક પણ બાઉન્સ થયો હતો. ત્યારબાદ ફરીથી પૈસાની માંગણી કરતા આરોપીએ ખોટી ભલામણો કરાવી અને અંતે બિલ્ડરને ખોટા કેસમાં ફસાવી દેવાની તેમજ જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી.
આખરે ભોગ બનનાર રાજેશકુમારે સચિન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે છેતરપિંડીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.