સુરત રેલવે સ્ટેશનના રિડેવલપમેન્ટની કામગીરી જોરશોરથી કરવામાં આવી રહી છે. તે દરમિયાન પ્લેટફોર્મ નંબર 2, 3 અને 4 ઉપર છત લગાવવાની કામગીરી કરવામાં આવી રહી હોવાથી 1 મહિનાનો મેગા બ્લોક આપવા અંગે રેલવે તંત્રે જાહેરાત કરી છે. જેના લીધે સુરતથી રવાના ટ્રેનને હવે ઉધનાથી દોડાવાશે. જે બાદ સુરત સુધી જ આવતી તમામ ટ્રેનોને ઉધના સુધી લાવવાની જાહેરાત કરવામાં આવી છે.
સુરત રેલવે સ્ટેશન પર લાંબા અંતરની ટ્રેનો નિયમિત રીતે પ્લેટફોર્મ નંબર 2 અને 3થી જ રવાના કરવામાં આવશે. પરંતુ મેગા બ્લોકને લીધે ટ્રેનો 5થી 10 મિનિટ મોડી પડી શકે, તેમજ ટ્રેન મોડી ઉપડે તેવી શક્યતા છે. રેલવે વિભાગે પ્લેટફોર્મ નંબર 2 અને 3ની રિડેવલપ કામગીરી હેઠળ 50 ટકાથી વધુ કામગીરી પૂરી કરી છે.
જ્યારે પ્લેટફોર્મની ઉપરના ભાગની છત લગાડવાનું હજુ બાકી છે, કેમ કે, મુસાફરોને તકલીફ નહીં પડે તે રીતે છત લગાડવાની કામગીરી આગામી 30 માર્ચથી 28 એપ્રિલ સુધી ચાલશે. તે જ કારણે ત્રણ ટ્રેનને ઉધના ડાયવર્ટ કરવામાં આવી છે. અન્ય ટ્રેનોને પણ અસર પહોંચી શકે તેવી શક્યતા છે. સુરત બાંદ્રા, સુરત અમરાવતી એક્સપ્રેસ અને અમરાવતીથી સુરત એક્સપ્રેસ 1 મહિના સુધી ઉધનાથી રવાના થશે.
રેલવે તંત્રે ઉનાળુ વેકેશન પહેલા મેગા બ્લોક આપીને કામગીરી પૂર્ણ કરવાની જાહેરાત કરી છે. વેકેશનના સમયગાળામાં મોટી સંખ્યામાં મુસાફરો ફરવા જાય છે. તેને ધ્યાને લઈને રેલવે તંત્ર વધારાની ટ્રેન પણ દોડાવવાની જાહેરાત કરે છે. આને લીધે વેકેશન શરૂ થાય તે પહેલા મેગા બ્લોક આપીને કામગીરી પૂરી કરવાનો લક્ષ્યાંક હાલ માટે નક્કી કરવામાં આવેલ છે.