સુરતના કાપોદ્રા વિસ્તારમાં રાત્રિના સમયે એક મોટી દુર્ઘટના ટળી ગઈ, જ્યારે મુસાફરો ભરેલી ST બસમાં અચાનક આગ લાગી હતી. વરાછા-કાપોદ્રા મેઈન રોડ પર ચાલતી બસમાં ડ્રાઈવર સાઈડમાંથી અચાનક ધુમાડો નીકળતા હાહાકાર મચી ગયો હતો.
પરંતુ ડ્રાઈવરની સમયસૂચકતાએ મોટી જાનહાનિ અટકાવી દીધી. તેણે તરત જ બસ રસ્તાની વચ્ચે ઉભી રાખી તમામ 51 મુસાફરોને તાત્કાલિક નીચે ઉતારી દીધા. મુસાફરો નીચે ઉતર્યા પછી થોડા જ સેકન્ડોમાં આખી બસ આગની ઝપેટમાં આવી ગઈ અને જોતજોતામાં બળીને ખાખ થઈ ગઈ.
આ ઘટના કાપોદ્રાના જલારામ ફર્નિચર નજીક બની હતી, જ્યાં નજીકમાં જ પેટ્રોલ પંપ હોવાને કારણે ભયનું વાતાવરણ સર્જાયું હતું. પેટ્રોલ પંપ પર ભારે ભીડ અને રોડ પર ટ્રાફિક જામ હોવાને કારણે ફાયર બ્રિગેડને સ્થળ પર પહોંચવામાં મુશ્કેલી પડી હતી.
અંતે, ફાયર બ્રિગેડે અડધા કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. ઘટનાની જાણ થતા જ કાપોદ્રા પોલીસ પણ સ્થળ પર પહોંચી ગઈ હતી અને ટ્રાફિક નિયંત્રિત કરીને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી.
આ સમગ્ર ઘટનામાં ડ્રાઈવરની સતર્કતા અને ઝડપી નિર્ણય લેવાની ક્ષમતાને કારણે તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો, નહીં તો મોટી દુર્ઘટના સર્જાઈ શકતી હતી.