કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવએ સંસદમાં ભારતીય રેલવેની વિવિધ મહત્વની પરિયોજનાઓની પ્રગતિની માહિતી આપતાં જણાવ્યું કે દેશભરમાં રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસને અભૂતપૂર્વ ઝડપ આપવામાં આવી રહી છે.
રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવએ જણાવ્યું કે મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલવે (બુલેટ ટ્રેન) પરિયોજના પર ઝડપથી કામ પ્રગતિ પર છે. આ પરિયોજના હેઠળ 300 કિલોમીટરથી વધુ વાયડક્ટનું નિર્માણ કામ પૂર્ણ થઈ ચુક્યું છે, જ્યારે પિયર નિર્માણ, ટ્રેક પાથરવાનું તથા સ્ટેશનોના વિકાસનું કામ સતત ચાલુ છે. આની સાથે જ ભારતની પ્રથમ અન્ડરસી રેલવે સુરંગ પર પણ કામ પ્રગતિ પર છે.
તેમણે જણાવ્યું કે પરિયોજના હેઠળ 435 કિલોમીટર ફાઉન્ડેશન કામ, 338 કિલોમીટર ઈન્સ્ટોલેશન તથા 168 કિલોમીટર ટ્રેક પાથરવાના કામની સાથે ઓએચઇ ઈન્સ્ટોલેશન કામ પણ ઝડપથી આગળ વધી રહ્યું છે. વાપી, બિલિમોરા, સૂરત તથા બીકેસી સહિત કેટલાક સ્ટેશનોના બાંધકામનું કામ અંતિમ તબક્કે છે.
રેલવે મંત્રીએ માહિતી આપી કે કેટલીક નદીઓ પર પુલોનું બાંધકામ પૂર્ણ થઈ ગયું છે તથા ભરૂૂચ, વડોદરા, આણંદ, નડિયાદ, અમદાવાદ અને સાબરમતી વિસ્તારોમાં કામ તીવ્ર ગતિથી પ્રગતિ કરી રહ્યું છે.
ભારતીય રેલવે હાલમાં અભૂતપૂર્વ વિસ્તરણ અને આધુનિકીકરણમાંથી પસાર થઈ રહ્યું છે, જેને કેન્દ્રીય બજેટ 2026-27માં ₹2.78 લાખ કરોડની વિક્રમજનક બજેટ ફાળવણી દ્વારા સશક્ત બનાવવામાં આવ્યું છે. છેલ્લા 10 વર્ષમાં લગભગ 5 લાખ નોકરીઓનું સર્જન થયું છે, જ્યારે છેલ્લા 2 વર્ષમાં 1.43 લાખ સીધી નિમણૂકો આપવામાં આવી છે.
રેલવે મંત્રીએ કહ્યું કે ભારતીય રેલવેએ વિશ્વના સૌથી મોટા સ્ટેશન પુન:વિકાસ કાર્યક્રમોમાંથી એકનો પ્રારંભ કર્યો છે, જેના હેઠળ લગભગ 1,300 સ્ટેશનોને સામેલ કરવામાં આવ્યા છે. આમાંથી આશરે 180 સ્ટેશનોનું કામ પૂર્ણ થઈ ચુક્યું છે, જ્યારે લગભગ 500 સ્ટેશન અપગ્રેડેડ તબક્કે છે.
રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે નરેન્દ્ર મોદી સરકારે દેશમાં વોટ બેંકના રાજકારણને બદલે કામગીરી આધારિત રાજકારણ શરૂ કર્યું છે. આજે સાંજે લોકસભામાં રેલવે મંત્રાલયના નિયંત્રણ હેઠળ ગ્રાન્ટની માંગ પર ચર્ચાનો જવાબ આપતા વૈષ્ણવે કહ્યું કે મોદી સરકારે છેલ્લા દાયકામાં રેલવેમાં મોટા ફેરફારો કર્યા છે અને ક્ષેત્રના તમામ પાસાઓ પર કામ કર્યું છે. તેમણે કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં પીએમ મોદીના નેતૃત્વમાં રેલવેની નાણાકીય સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થયો છે.
વૈષ્ણવે કહ્યું કે કેન્દ્રીય બજેટમાં રેલવેને કરવામાં આવેલી રેકોર્ડ ફાળવણીથી દેશના દરેક રાજ્યને ફાયદો થશે. મંત્રીએ માહિતી આપી કે ડીઝલ આધારિત કામગીરીને બદલે રેલવેના વીજળીકરણથી આશરે છ હજાર કરોડ રૂપિયાની બચત થઈ છે. તેમણે કહ્યું કે 47 હજાર કિલોમીટરના રેલવે ટ્રેક પર વીજળીકરણ પૂર્ણ થયું છે, જેનાથી કુલ વીજળીકરણ કવરેજ લગભગ 99 ટકા થયું છે. શ્રી વૈષ્ણવે કહ્યું કે દેશમાં હાઇડ્રોજન ટ્રેન વિકસાવવામાં આવી છે, જે વિશ્વની સૌથી શક્તિશાળી હાઇડ્રોજન ટ્રેન છે.