Saturday, Mar 14, 2026

Surat: લાજપોર જેલના આરોપીને પાલતુ કૂતરાની અંતિમવિધિ માટે હાઇકોર્ટની ખાસ મંજૂરી

3 Min Read

ગુજરાત હાઈકોર્ટે સુરતના લાજપોર સેન્ટ્રલ જેલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં રહેલા આરોપીને તેના પાલતુ કૂતરાની અંતિમવિધિ કરવા માટે પોલીસ કસ્ટડીમાં ઘરે લઈ સુરત પોલીસને આદેશ આપ્યો હતો. આ વ્યક્તિ તેની પત્ની દ્વારા દાખલ કરાયેલા છેતરપિંડીના કેસમાં જેલમાં છે.

જસ્ટિસ યુ. ટી. દેસાઈની બેન્ચ સામે સુરતના એક રહેવાસીએ તાત્કાલિક જામીન માટે અરજી કરી હતી. તેની પત્નીએ તેની સામે આરોપ મૂક્યો છે કે તેણે રોકાણ પોલિસીની રકમમાંથી રૂ. 17 લાખ અયોગ્ય રીતે લઇ લીધા હતા.

આ વ્યક્તિએ ચાર્જશીટ દાખલ થાય તે પહેલાં ટ્રાયલ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી, પરંતુ તે અરજી નામંજૂર કરવામાં આવી હતી. ત્યારબાદ તેણે ગુજરાત હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્યો. શુક્રવારે જ્યારે હાઈકોર્ટમાં તેની અરજીની પહેલી સુનાવણી થઈ રહી હતી ત્યારે જ તેના પાલતુ જર્મન શેફર્ડ કૂતરાનું મોત થયું હતું.

તેના વકીલ કૃતિ શાહે કોર્ટને મૌખિક રજૂઆત કરી અને કહ્યું કે અરજદાર છેલ્લા 14 વર્ષથી આ કૂતરાને રાખતો હતો અને તેની સાથે ભાવનાત્મક જોડાણ હતું. તેથી તે પોતાના પાલતુ કૂતરાની અંતિમવિધિ કરવા ઇચ્છે છે.

વકીલની આ રજૂઆતને ધ્યાનમાં રાખીને હાઈકોર્ટે મૌખિક આદેશ આપ્યો કે અરજદારને પોલીસ કસ્ટડીમાં તેના સુરત સ્થિત ઘરે લઈ જવામાં આવે અને શુક્રવારે સાંજે 8 વાગ્યા સુધી તેને ત્યાં રહેવાની મંજૂરી આપવામાં આવે. કોર્ટના આદેશમાં જણાવાયું હતું કે અરજદાર પોતાના પાલતુ કૂતરાની અંતિમવિધિ કરવા માંગે છે અને તેથી તેને 13 માર્ચ 2026ના રોજ પોલીસ કસ્ટડીમાં ઘરે લઈ જવામાં આવે.

કોર્ટએ વધુમાં જણાવ્યું કે પોલીસ કર્મચારીઓ સાદા કપડાંમાં રહેશે અને પોલીસ કસ્ટડીનો ખર્ચ સરકાર દ્વારા ભરવામાં આવશે. આ આદેશ ઈમેલ દ્વારા સંબંધિત કોર્ટ, પોલીસ સ્ટેશન અને લાજપોર સેન્ટ્રલ જેલ, સુરતને મોકલવાનો પણ આદેશ આપવામાં આવ્યો હતો. કોર્ટએ કહ્યું કે રાતે 8 વાગ્યા પછી અરજદારને ફરીથી જેલ અધિકારીઓને સોંપી દેવામાં આવે.

આ કેસમાં અરજદારની પત્નીએ ફરિયાદ નોંધાવી છે કે લગ્ન બાદ વર્ષ 2000માં તેની નામે લેવાયેલી રોકાણ પોલિસીની મુદત પૂરી થતાં રૂ. 17 લાખની રકમમાંથી પતિએ લઇ લીધી હતી. ફરિયાદ મુજબ, પતિએ પત્નીના પિતાના નામે રહેલા મૂળ નોમિનીને બદલી પોતાના નામે કરવાનો પ્રયાસ કર્યો હતો અને પોલિસી રેકોર્ડમાં બનાવટી સહી કરીને કરીને ફેરફાર કર્યા હતા.

પોલિસીની મુદત 2025માં પૂરી થયા બાદ પતિએ રૂ. 17 લાખની રકમ પહેલા પત્ની સાથેના જોઇન્ટ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી અને ત્યારબાદ પોતાની દીકરી સાથેના જોઇન્ટ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી હોવાનું વકીલ દ્વારા કોર્ટને જણાવાયું.

અરજદારે કોર્ટને કહ્યું કે તે તેનીપત્નીને રૂ. 17 લાખ પરત આપવા તૈયાર છે. વકીલ કૃતિ શાહે દલીલ કરી કે આ મામલો મૂળભૂત રીતે વૈવાહિક વિવાદથી ઊભો થયો છે અને દીકરી વિદેશમાં અભ્યાસ કરતી હોવાથી રકમ તેના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી હતી.

જો કે હાઈકોર્ટે અરજદારને તાત્કાલિક જામીન આપવા ઇનકાર કર્યો હતો, પરંતુ જસ્ટિસ યુ. ટી. દેસાઈએ કહ્યું કે પાલતુ કૂતરાની અંતિમવિધિ માટે તેને પોલીસ કસ્ટડીમાં હાજરી આપવા મંજૂરી આપવામાં આવશે.

Share This Article