સુરતના જાણીતા બિલ્ડર તુષાર ઘેલાણીના આપઘાત કેસમાં પૂનમ જામીન મેળવવા કરેલી અરજી સુરત સેશન્સ કોર્ટે નકારી કાઢી હતી. આ કેસમાં સરકાર તરફે DGP નયન સુખડવાળાએ દલીલો કરી હતી જયારે મૂળ ફરિયાદી તરફે સિનિયર વકીલ કલ્પેશ દેસાઈએ જામીન અરજીના વિરોધમાં રજુ કરેલું સોગંધનામુ કોર્ટે ધ્યાને લીધું હતું.
સરકારી વકીલે વધુમાં જણાવ્યું હતું કે, તુષાર ઘેલાણીના આપઘાત મામલે મૃતકની દીકરીએ ફરિયાદ નોંધાવી છે. આ કેસમાં પોલીસે તુષાર ભાઈની દીકરીની ફરિયાદ મુજબ આરોપી પૂનમ ભદોરિયાની ધરપકડ કરી હતી. આ કેસમાં પૂનમ ભદોરિયાએ જામીન અરજી કરી હતી. બંને પક્ષોની વિસ્તૃત દલીલો બાદ એડિશનલ સેશન્સ કોર્ટ દ્વારા પૂનમ ભદોરિયાની જામીન અરજી નામંજૂર કરવામાં આવી છે.
કોર્ટ સમક્ષ રજૂ કરાયેલા તર્ક મુજબ, દીકરીના લગ્ન પ્રસંગ સમયે પૂનમ ભદોરિયા દ્વારા સતત બદનામી અને દબાણની ધમકી આપવામાં આવતી હોવાના પ્રાથમિક પુરાવા રજૂ કરાયા હતા. આ માનસિક ત્રાસના કારણે તુષાર ઘેલાણીએ અંતિમ પગલું ભર્યું હોવાનું સરકાર પક્ષે જણાવ્યું હતું. ઘટનાસ્થળ પરથી મળેલા હેન્ડવોશના નમૂનાઓ પણ એફએસએલમાં મોકલવામાં આવ્યા છે.
મુખ્ય સરકારી વકીલ નયન સુખડવાળાએ પણ જણાવ્યું હતું કે, આરોપી દ્વારા વારંવાર દબાણ કરી તુષાર ઘેલાણી પાસેથી પૈસા અને મિલકતો મેળવવામાં આવી હતી. મૃતકના પિતાના ખાતામાંથી અંદાજે 11 લાખ રૂપિયા લેવાયા હોવાના પુરાવા પણ કોર્ટમાં રજૂ કરાયા છે. વધુમાં, પૂનમ ભદોરિયાની બહેન પ્રિયા પાસે આરોપીનો મોબાઇલ હોવાની માહિતી આપવામાં આવી હતી, જેમાંથી વધુ મહત્વના પુરાવા મળવાની શક્યતા હોવાનું કોર્ટને જણાવાયું હતું.
કોર્ટમાં રજૂ થયેલી વિગતો અનુસાર, મિત્રતાના બહાને મૃતક પાસેથી કિંમતી પ્રોપર્ટી પોતાના નામે કરાવી લેવામાં આવી હતી તેમજ બ્લ્યુ પેપીલોન સ્કૂલમાં ભાગીદારી અને શહેરની બે દુકાનો પણ પોતાના નામે કરાવવામાં આવી હોવાનો આરોપ મૂકાયો હતો.
સરકારી પક્ષે દલીલ કરી હતી કે, તુષાર ઘેલાણી અને પૂનમ ભદોરિયા વચ્ચેની નિકટતાનો ગેરલાભ ઉઠાવીને આયોજનબદ્ધ રીતે આર્થિક એક્સ્ટોર્શન કરવામાં આવ્યું હતું. આ તમામ પરિસ્થિતિઓ અને પ્રાથમિક પુરાવાઓને ધ્યાનમાં રાખીને નામદાર કોર્ટે પૂનમ ભદોરિયાની જામીન અરજી નામંજૂર કરી છે.