Wednesday, Feb 4, 2026

સુરતના જાણીતા બિલ્ડરે ગોળી મારી આપઘાતનો પ્રયાસ કર્યો, 4 દિવસ બાદ પુત્રીના લગ્ન

2 Min Read

સુરત શહેરના પોશ વિસ્તારમાં રહેતા અને જાણીતા બિલ્ડર તુષાર ઘેલાણીએ મોડી રાત્રે પોતાના નિવાસસ્થાને રિવોલ્વરથી માથાના ભાગે ગોળી મારી આપઘાતનો પ્રયાસ કરતા સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટના ત્યારે બની છે જ્યારે તેમના ઘરમાં પુત્રીના લગ્નની જોરશોરથી તૈયારીઓ ચાલી રહી હતી. હાલ તેમને સારવાર અર્થે ખસેડાયા છે.

માહિતી મુજબ, આ ઘટના સુરતના ઉમરા પોલીસ સ્ટેશનની હદમાં બની હતી. તુષાર ઘેલાણીએ રાત્રિના અંદાજે 2 વાગ્યાના અરસામાં પોતાના ઘરે પોતાની લાઈસન્સવાળી રિવોલ્વર માંથી એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ગોળીનો અવાજ એટલો પ્રચંડ હતો કે ઘરમાં સૂતેલા પરિવારના સભ્યો અને આસપાસના લોકો ફફડી ઉઠ્યા હતા. અવાજ સાંભળીને પરિવારજનો તુષારભાઈના રૂમ તરફ દોડી ગયા હતા, જ્યાં તેઓ લોહીલુહાણ હાલતમાં મળી આવ્યા હતા.

પરિવારજનોએ વિલંબ કર્યા વગર તેમને તાત્કાલિક સુરતની એક ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, ગોળી માથાના ભાગે વાગી હોવાથી તેમની હાલત અત્યંત નાજુક છે અને ડોક્ટરોની ટીમ તેમને બચાવવા માટે સઘન પ્રયાસો કરી રહી છે. હાલ તેઓ વેન્ટિલેટર પર હોવાનું જાણવા મળ્યું છે.

ઘટનાની જાણ થતા જ ઉમરા પોલીસનો કાફલો ઘટનાસ્થળે અને હોસ્પિટલે પહોંચી ગયો હતો. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં હજુ સુધી કોઈ સુસાઈડ નોટ મળી આવી નથી. શું આ આર્થિક ભીંસને કારણે લીધેલું પગલું છે કે કોઈ અંગત પારિવારિક કારણ? તે અંગે હાલ રહસ્ય અકબંધ છે. પોલીસ તુષારભાઈના મોબાઈલ ફોન અને અન્ય દસ્તાવેજોની પણ તપાસ કરી રહી છે.

સૌથી વધુ ચોંકાવનારી બાબત એ છે કે તુષાર ઘેલાણીની પુત્રીના લગ્ન આગામી 5 ફેબ્રુઆરીના રોજ નિર્ધારિત હતા. ઘરમાં ખુશીનો માહોલ હતો, કંકોતરીઓ વહેંચાઈ ગઈ હતી અને લગ્નની અંતિમ તબક્કાની તૈયારીઓ ચાલી રહી હતી. આવા સમયે બિલ્ડરે આવું અંતિમ પગલું કેમ ભર્યું તે પ્રશ્ન સૌને સતાવી રહ્યો છે. જે ઘરમાં શરણાઈઓ વાગવાની હતી ત્યાં અત્યારે આક્રંદ જોવા મળી રહ્યું છે.

Share This Article