Monday, Mar 30, 2026

મિઝોરમ બન્યું ભારતનું પ્રથમ પૂર્ણ સાક્ષર રાજ્ય, 97 ટકા સાક્ષરતા હાંસલ કરી

2 Min Read

દેશને સંપૂર્ણ સાક્ષર બનાવવાની અભિયાનમાં ઉત્તર પૂર્વ ભારતમાંથી એક મોટી ખુશખબર આવી છે. મિઝોરમ દેશનું પ્રથમ પૂર્ણ સાક્ષર રાજ્ય બની ગયું છે. મંગળવારે કેન્દ્રિય શિક્ષણ મંત્રાલયે આ જાહેરાત કરી છે અને રાજ્યને પ્રમાણપત્ર પણ સોંપ્યું છે.

આ પહેલા કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખે પણ વર્ષ 2024માં સંપૂર્ણ સાક્ષરતા હાંસલ કરી હતી. નવસાક્ષરતા મિશન અંતર્ગત જ્યારે કોઈ રાજ્ય 97 ટકા સાક્ષરતા હાંસલ કરે છે ત્યારે તેને પૂર્ણ સાક્ષર જાહેર કરવામાં આવે છે.

શિક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, 2011ની વસ્તી ગણતરીમાં દેશમાં સાક્ષરતા દર 79.04 ટકા હતો. પરંતુ આ લક્ષ્ય પ્રાપ્ત કરવાની ધીમી ગતિને જોતા મંત્રાલયે જુલાઇ 2023માં “ઉલ્લાસ” નામે એક નવસાક્ષરતા મિશન શરૂ કર્યું હતું. જેમાં નવી સાક્ષરતા મર્યાદાઓ નક્કી કરવામાં આવી હતી અને રાજ્યોને ઝડપથી આગળ વધવા માટે પ્રોત્સાહન અપાયું હતું.

નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) દ્વારા પણ આ અભિયાનને વધુ મજબૂતી મળી, જેમાં સ્થાનિક ભાષાઓમાં અભ્યાસ સામગ્રી પૂરી પાડવામાં આવી. આ દરમિયાન મંગળવારે કેન્દ્રિય શિક્ષણ રાજ્ય મંત્રી જયંત ચૌધરીએ આયઝોલમાં રાજ્યના મુખ્યમંત્રી લાલદુહોમાની હાજરીમાં આ જાહેરાત કરી અને તેમને આ ઉપલબ્ધિ માટે પ્રમાણપત્ર સોંપ્યું.

2011ની વસ્તી ગણતરીમાં મિઝોરમની વસ્તી અંદાજે 19.80 લાખ

મંત્રાલય મુજબ અન્ય રાજ્યો પણ આ દિશામાં ઝડપથી આગળ વધી રહ્યાં છે. નાના રાજ્યો માટે આ લક્ષ્ય પાંહોચવાનું સહેલું હોવાથી પણ આ શક્ય બન્યું છે, કારણ કે તેમની વસ્તી મોટા રાજ્યોની સરખામણીએ ખૂબ ઓછી છે. 2011માં મિઝોરમની વસ્તી અંદાજે 19.80 લાખ હતી, અને હાલમાં તે લગભગ 25 લાખ સુધી પહોંચી હોવાનું અનુમાન છે. એક અંદાજ મુજબ, હાલ દેશમાં સાક્ષરતા દર આશરે 85 ટકા છે. જ્યારે 2011માં તે 74.04 ટકા હતો.

Share This Article