દક્ષિણ કન્નડના મેંગલુરુ શહેરમાં ગુરુવારે રાત્રે એક હિન્દુ કાર્યકર્તા સુહાસ શેટ્ટીની હત્યા થયા બાદ વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. સુહાસ શેટ્ટી, ફાઝિલ હત્યા કેસનો મુખ્ય આરોપી હતો અને તેના વિરુદ્ધ ઘણા ગુનાહિત કેસ ચાલતા હતા. જાણકારી મુજબ, જ્યારે સુહાસ પોતાની કારમાં પાંચ અન્ય સાથીદારો સાથે મુસાફરી કરી રહ્યો હતો ત્યારે તેને બે વાહનોથી આવેલી ગેંગે ઘેરી લીધો અને તેના પર ઘાતક હથિયારોથી હુલ્લડો કર્યો. ગંભીર ઈજાઓ સાથે તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું.
પોલીસે ઘટનાની તાત્કાલિક નોંધ લઈ તપાસ શરૂ કરી છે અને આરોપીઓને પકડવા માટે વિશેષ ટીમો બનાવી છે. પોલીસના દાવા મુજબ હુમલાખોરોની ઓળખ થઇ ચૂકી છે અને ટૂંક સમયમાં તેમની ધરપકડ કરવામાં આવશે. સમગ્ર શહેરમાં તણાવની સ્થિતિને ધ્યાનમાં રાખીને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ યથાવત રહે તે માટે તમામ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા મૃતકના અંતિમ સંસ્કાર માટે ખાસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે.
હત્યાની ઘટના બાદ મેંગલુરુમાં 6 મે સુધી 144 કલમ લાગુ કરવામાં આવી છે. શહેરી વિસ્તારોમાં કાફી સશસ્ત્ર દળો તૈનાત કરાયા છે. પાંચ નજીકના જિલ્લાઓમાંથી અધિકારીઓ અને પોલીસ ફોર્સ બોલાવવામાં આવી છે. KSRPની 22 ટુકડીઓ પણ તૈનાત છે જેથી કોઈ પણ જાતનો ધમાસાણ કે વિરોધ થશે તો તાત્કાલિક કાબૂ મેળવવામાં આવી શકે. પોલીસ દ્વારા હિંસક ટોળાઓ કે અણધારી હરકતો સામે કડક પગલાં લેવા ચેતવણી આપવામાં આવી છે.
સુહાસ શેટ્ટીની હત્યા પછી તેની અંતિમ યાત્રાને લઈને શહેરી વિસ્તારોમાં સંવેદનશીલ માહોલ છે. હિન્દુ સંગઠનો દ્વારા શોભાયાત્રાની મંજૂરી માટે માગ ઉઠાવવામાં આવી છે, જ્યારે પ્રશાસને હાલ કોઇ પરવાનગી આપી નથી. સ્થિતિ ને શાંતિપૂર્ણ રાખવા માટે પોલીસ સતત સંપર્કમાં છે અને પબ્લિકને શાંતિ જાળવવા અનુરોધ કર્યો છે. સમગ્ર ઘટના ફરીથી હિન્દુ-મુસ્લિમ સંબંધોની સંવેદનશીલતા સામે પ્રશ્ન ચિહ્ન ઉભું કરી રહી છે.