બાંગ્લાદેશની વચગાળાની સરકારે હિંદુ સાધુ ચિન્મય કૃષ્ણ દાસની રાજદ્રોહના આરોપમાં ધરપકડ કરી હતી. હવે આખરે 156 દિવસ બાદ તેમને વિજય મળ્યો છે. બાંગ્લાદેશ હાઈકોર્ટે બુધવારે તેમને જામીન આપ્યા હતા. દાસને આપવામાં આવેલ જામીન એ માત્ર એક વ્યક્તિની કાનૂની જીત નથી, પરંતુ તે હજારો હિન્દુઓની આશાઓની જીત પણ માનવામાં આવે છે જેઓ હજુ પણ બાંગ્લાદેશમાં સમાનતા અને સુરક્ષાની માંગ કરી રહ્યા છે. આ કિસ્સો એ પણ સ્પષ્ટ કરે છે કે સત્યને દબાવી શકાતું નથી અને એક દિવસ ન્યાય ચોક્કસ મળે છે. ભલે તે 156 દિવસ પછી થાય.
અપમાનનો આરોપ કે રાજકીય સતામણી?
25 નવેમ્બર, 2024ના રોજ ઢાકા એરપોર્ટ પરથી ચિન્મય દાસની ધરપકડ કરવામાં આવી હતી. આરોપ હતો કે તેમણે હિન્દુ રેલી દરમિયાન બાંગ્લાદેશના ધ્વજનો અપમાન કર્યો હતો. જોકે, ભારત અને અનેક આંતરરાષ્ટ્રીય સંગઠનો આ કેસને રાજકીય પ્રેરિત અને ન્યાયિક સતામણી તરીકે વ્યાખ્યાયિત કરે છે. દાસ વિરુદ્ધ દાખલ થયેલી અનેક જામીન અરજીઓ અગાઉ ફગાવી દેવામાં આવી હતી.
તબિયત બગડી, છતાં ન્યાય માટે લડત ચાલુ
જેલમાં દાસની તબિયત ખરાબ થવાની વિગતો સામે આવી હતી અને એવું પણ કહેવાયું કે તેમને યોગ્ય સારવાર આપવામાં આવી ન હતી. તેમના વકીલ અપૂર્બા ભટ્ટાચાર્ય અને પ્રલાદ દેબનાથે તેમની પર થયેલા રાજકીય અત્યાચારને અદાલતમાં રજુ કર્યું. અંતે હાઈકોર્ટની બે જજની બેન્ચે દલીલો સ્વીકારી અને દાસને જામીન આપ્યા.
લઘુમતી માટે આશાનું કિરણ
હવે તમામ નજરો બાંગ્લાદેશ સુપ્રીમ કોર્ટના એપેલેટ ડિવિઝન પર છે, જે આ નિર્ણય પર સ્ટે મૂકી શકે છે કે નહીં તે જોવાનું બાકી છે. જો કોઈ સ્ટે નહીં આવે તો દાસ ટૂંક સમયમાં મુક્ત થવાના છે. આ નિર્ણય બાંગ્લાદેશના લઘુમતી હિન્દુઓ માટે આશાનું કિરણ સાબિત થયો છે, જે હજુ પણ સુરક્ષા અને સમાનતાની તલાસમાં છે.