Sunday, Mar 29, 2026

પહલગામ હુમલાના પીડિતોને મળવા શ્રીનગર પહોંચ્યા રાહુલ ગાંધી

2 Min Read

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલો થયા બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે શ્રીનગરની મુલાકાતે ગયા છે. આ દરમિયાન તેમણે હુમલાના પીડિતો સાથે મુલાકાત કરી છે. તેમણે કહ્યું કે, ‘આતંકવાદીઓનો ઈરાદો સમાજમાં ભાગલા પડાવવાનો છે અને આપણે આતંકવાદીઓને સફળ થવા દેવાના નથી. હું તમામને કહેવા માંગું છું કે, આખો દેશ એક થઈને ઉભો છે. જે કાંઈ પણ થયું, તેની પાછળ સમાજના ભાગલા પાડવાનું ષડયંત્ર છે.

તેમણે કહ્યું કે, ‘જમ્મુ-કાશમીરમાં અમારા ભાઈ-બહેનો પર કેટલાક લોકો હુમલો કરી રહ્યા છે, તે જોઈને મને દુઃખ થયું છે. જે કંઈપણ થયું તેની પાછળ સમાજના ભાગલા પાડવાનું ષડયંત્ર છે. મેં ઈજાગ્રસ્ત થયેલા લોકોમાંથી એક પીડિત સાથે મુલાકાત કરી. મેં મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા અને એલજી મનોજ સિન્હા સાથે પણ મુલાકાત કરી. મારો પ્રેમ અને સ્નેહ હુમલામાં જીવ ગુમાવનાર મૃતકોના પરિવારના સભ્યો સાથે છે. ગઈકાલે અમારી અને કેન્દ્ર સરકાર વચ્ચે બેઠક યોજાઈ હતી. અમે સરકારને તમામ પગલા ભરવા માટે સમર્થન આપ્યું છે.’

રાહુલ ગાંધીએ આજે જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા સાથે મુલાકાત કરી અને પહલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલા અંગે ચર્ચા કરી હતી. અધિકારીઓએ કહ્યું કે, રાહુલ ગાંધી પહેલા અહીં સેનાની હોસ્પિટલમાં ઈજાગ્રસ્ત પ્રવાસીઓ સાથે વાતચીત કરી હતી, ત્યારબાદ તેમણે મુખ્યમંત્રી સાથે તેમના નિવાસ્થાને મુલાકાત કરી હતી.

ઉલ્લેખનીય છે કે, 22 એપ્રિલ મંગળવારે દક્ષિણ કાશ્મીરના પહલગામની બૈસરન ખીણમાં આતંકવાદીઓએ કારતાની હદ વટાવી પ્રવાસીઓ પર આડેધડ ગોળીબાર કરી 26 પ્રવાસીઓની હત્યા કરી હતી. સેનાની વેશમાં આવેલા આતંકીઓે બૈસરન ખીણમાં આવી પ્રવાસીઓને પહેલા ધર્મ પૂછ્યો, આઈડી જોયું અને પછી હિન્દુ છો, કહીને ગોળીબાર કર્યો હતો. 26 મૃતકોમાં મોટાભાગના પ્રવાસીઓ છે, જ્યારે બે વિદેશી અને બે સ્થાનીક નાગરિકો સામેલ છે. આ ઘટના બાદ દેશભરમાં રોષ ભભુક્યો છે અને તમામ લોકો આતંકીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. વિશ્વભરમાં પણ આતંકી હુમલાની નિંદા કરવામાં આવી છે.

Share This Article