બોલિવૂડના દિગ્ગજ અભિનેતા મનોજ કુમારનું શુક્રવારે સવારે નિધન થયું હતું. તેમણે મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં 87 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. આજે શનિવારે સવારે મનોજ કુમારનો પાર્થિવ દેહ પવન હંશ સ્મશાનગૃહે લવાયો હતો. જ્યાં સન્માન સાથે મનોજ કુમારને અગ્નિદાહ આપવામાં આવ્યો હતો. દિગ્ગજ અભિનેતા મનોજ કુમારનો પાર્થિવ દેહ પંચમહાભૂતોમાં વીલિન થયો હતો. અભિનેતાની વિદાયથી બોલિવૂડ આખું શોકાતૂર થયું હતું.
ઉલ્લેખની છે કે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તેઓ તેમની દેશભક્તિની ફિલ્મો માટે જાણીતા છે. તેની યાદગાર ફિલ્મોની વાત કરીએ તો તેમાં ‘ક્રાંતિ’, ‘ઉપકાર’, ‘શહીદ’, ‘પૂરબ ઔર પશ્ચિમ’ અને ‘રોટી કપડા ઔર મકાન’ સહિત ઘણી ફિલ્મોનો સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ કે મનોજ કુમારનું સાચું નામ હરિકૃષ્ણ ગોસ્વામી છે અને તેમનો જન્મ 1937માં થયો હતો.
અભિનેતાની દેશભક્તિની ફિલ્મો એટલી હિટ રહી હતી કે તેમનું નામ જ ‘ભારત કુમાર’ પડી ગયું હતું. તેમના નિધનના સમાચાર સાંભળ્યા બાદ બધા આઘાતમાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને રક્ષા મંત્રી રાજનાથ સિંહે તેમને શ્રદ્ધાંજલિ આપી છે. મનોજ કુમારના પાર્થિવ દેહને સ્મશાનભૂમિમાં લાવવામાં આવ્યો હતો.