- શાસકો અને તંત્રની દૃઢ ઈચ્છાશક્તિ હોય તો રૂપ રંગ બધુ જ બદલી શકાય, ૧૯૯૪ના કહેવાતા પ્લેગના વાવરે સુરતને વધુ બદનામ કર્યું અને એ જ પ્લેગના કારણે સુરતના સંસ્કાર પણ બદલાયા
- સ્વચ્છતાના આગ્રહી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વચ્છતા અંગે શહેરો વચ્ચે સ્પર્ધાઓ યોજીને માત્ર સુરત જ નહીં ગામડાથી શરૂ કરીને નગરો અને મહાનગરોને પણ સ્વચ્છ અને નિર્મળ બનાવવાની દિશા આપી હતી
- આ એજ શહેર છે જ્યાં ઘરના દરવાજામાં કચરાના ઉકરડા બનાવાતા હતા અને ઘરનો એંઠવાડ રોડ ઉપર ફેંકવામાં આવતો હતો
- સુરત પાસે રૂપિયાનો ઢગલો હતો તેમ છતાં શાસકો દૃષ્ટિ અને ઈચ્છાશક્તિના અભાવે ઉકરડા ઉપર બેસીને શાસન કરતા હતા, સુરત એકમાત્ર એવું શહેર હતું જેનું નામ સાંભળતા લોકો મોઢું મચકોડી લેતા હતા
એ જમાનાના શાસકોએ ધાર્યંુ હોત તો કદાચ આજે સુરત દેશનાં સૌપ્રથમ સ્વચ્છ સુરત તરીકે ઓળખાતું હોત પરંતુ કમનસીબે હાથમાં મૂડી હોવા છતાં એ જમાનાના શાસકો તો ઠીક વહિવટી અધિકારીઓએ પણ ગંદકી દૂર કરવાના મુદ્દે કોઈ જ વિચાર કર્યો નહોતો. જાણીને નવાઈ લાગશે કે સુરત પાસે માત્ર આઠ કિ.મી. વિસ્તારમાં ભૂગર્ભ ગટર લાઈન હતી અને એ પણ રોજેરોજ ઉભરાતી રહેતી હતી.
૧૯૯૪ના ઓગષ્ટ માસના લગભગ અંત ભાગમાં વેડરોડના આઠ વ્યક્તિઓના મોત નિપજ્યા હતા… ખરેખર તો આ મોતની પાછળ ફૂડ પોઈઝનીંગ અેટલે કે ખોરાકી ઝેરની અસર કારણભૂત હતી પરંતુ સિવિલ હોસ્પિ.ના તબીબે મોત માટે ‘શંકાસ્પદ પ્લેગ’ હોવાનું કારણ દર્શાવતા ગણતરીના કલાકોમાં દેશમાં અને વિશ્વના દેશોમાં ખળભળાટ મચી ગયો હતો. નજીકના સંબંધીઓ સહિત કોઈપણ લોકો સુરતીઓને આશ્રય આપવા તૈયાર નહોતા અને સુરત શહેર બિનસત્તાવાર ‘પ્લેગગ્રસ્ત’ શહેર જાહેર થઈ ગયું હતું.
આ ઘટના કમનસીબ હતી અને તબીબે વ્યક્ત કરેલી શંકા પણ કમનસીબ હતી. પરંતુ આ ઘટનાને કારણે જ ઐતિહાસિક નગર સુરતની કાયાપલટ થવાની શરૂઆત થઈ હતી અને રાજકીય ઈતિહાસ પણ બદલાયો હતો.
પ્લેગની મહામારીની ઘટના બાદ રાજ્ય સરકારે એક એસ.આર. રાવ નામના સનદી અધિકારીની મ્યુનિ. કમિશનર તરીકે નિમણૂંક કરી હતી. સાવ સુકલકડી બાંધો સ્વભાવે સાવ સામાન્ય અને લોકો સાથે ફૂટપાથ ઉપર બેસીને વાતો કરતા આ અધિકારી એસ.આર. રાવે બદસુરતને ખૂબ સુરત બનાવવાનું બીડુ ઝડપ્યું હતું. ૧૯૯૫ના ઓગષ્ટ માસની ત્રીજી તારીખે એસ.આર. રાવે સુરત મનપાના કમિશનર તરીકે અખત્યાર સંભાળ્યાના પહેલા જ દિવસે જાતે પેન્ટ ચઢાવીને શહેરમાંથી ગંદકી ઉલેચવાની શરૂઆત કરી હતી અને ટ્રક બંધી કચરો, કીચડ, ગંદકી દિવસો સુધી ઉલેચાતા રહ્યા. શેરી, મહોલ્લા નાકે દિવસો સુધી છલકાતી રહેતી અને માથું ફાટી જાય એવી બદબુ ધરાવતી જાહેર કચરાપેટીઓ ઊંચકી લેવામાં આવી. આ ઘટના જ માની શકાય તેવી નહોતી. ઘરના આંગણામાં ગંદકી કરવા અને ગંદકી ફેંકવા ટેવાયેલા સુરતીઓ માટે જાહેર કચરાપેટી ગાયબ થઈ જવાની ઘટના જ પચાવી શકાય તેવી નહોતી પરંતુ મક્કમ િમજાજના એસ.આર. રાવે બદનામ સુરતને ખૂબસુરત કરવાનું બીડું ઝડપ્યું હતું અને ત્યાર પછીના વર્ષોમાં એસ.આર. રાવના અનુગામી એસ. જગદીશન, ગુરૂપ્રસાદ મહાપાત્ર, અલોરિયા, પંકજ જોશી, એસ. અપર્ણા, એમ.કે. દાસ, એમ. થેન્નારશન સહિતના સનદી અધિકારીઓએ સુરતના લોકોની કુટેવ બદલીને સ્વચ્છતાના આગ્રહી બનાવી દીધા હતા.
આ તરફ સ્થાનિક, રાજ્ય અને કેન્દ્ર સરકારમાં ક્રમશઃ ભાજપ શાસનનો મક્કમ ઉદય થયો હતો. નરેન્દ્ર મોદી ૨૦૦૧મા મુખ્યમંત્રી અને ૨૦૧૪ બાદ વડાપ્રધાન બન્યા ત્યારથી સ્વચ્છતા તેમની સૌથી પહેલી પ્રાયોિરટી રહી છે. તેમણે છેવાડાના ગામડાંથી શરૂ કરીને મહાનગરો સુધી સ્વચ્છતાની આહલેક જગાવી, લોકોને સ્વચ્છતામાં જોડવા ઝૂંબેશ ચલાવી, શહેરો વચ્ચે સ્પર્ધા કરવા સાથે અગ્રક્રમે આવનાર નગર, મહાનગર અને ગ્રામપંચાયતોને આર્થિક મદદરૂપ થવા વિશેષ ઈનામો એટલે કે ગ્રાંટની ફાળવણી કરતા દેશભરમાં સ્વચ્છતાનો નારો ગુંજી ઉઠ્યો હતો. ખરેખર જોવા જઈએ તો દુનિયામાં બદનામ સુરતને દુનિયામાં સ્વચ્છ સુરત શહેરનું બિરૂદ અપાવવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સૌથી વધુ યશ આપવો પડે.
અત્યાર સુધી સુરત સ્વચ્છતામાં બીજા ક્રમે હતું પરંતુ પ્રથમ ક્રમ શહેરની સરખામણીએ જરાપણ ઉતરતું નહોતું. સુરતનો ભૌગોલિક વિસ્તાર, પચરંગી પ્રજા અને ૮૦ લાખની વસ્તી અા બધું જોતા સુરતને સ્વચ્છતામાં પ્રથમ ક્રમે લાવવાનું કામ આસાન નહોતું પરંતુ સુરતીઓનો બદલાયેલો સ્વભાવ અને વહિવટીતંત્રની સખત કામગીરીની ફળશ્રુતિરૂપે આજે સુરત દેશભરમાં પ્રથમ ક્રમનું શહેર ‘સ્વચ્છ સુરત’ તરીકે ગૌરવ અનુભવી રહ્યું છે.
આવું જ સુરતની ટ્રાફિક વ્યવસ્થા માટે કહેવાય છે. લોકો એવું માને છે કે સુરતીઓમાં ટ્રાફિક સેન્સ નથી પરંતુ ગંદાગોબરા સુરતને બદલી શકાતું હોય તો સુરતની ટ્રાફિક વ્યવસ્થા બદલવાનું સાવ આસાન છે પરંતુ સવાલ માત્ર શાસકોની ઈચ્છા શક્તિનો છે. ટ્રાફિક ભંગ પાછળના કારણો જાણીને ઈજનેરી વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવે તો રાતોરાત નહીં પરંતુ આવનારા દિવસોમાં સુરતની ટ્રાફિક સમસ્યા ખૂબ જ ઝડપથી ઉકેલી શકાય તેમ છે. પરંતુ તેના માટે એક મજબૂત ઈચ્છા શક્તિવાળા નેતૃત્વની જરૂર છે.
આ પણ વાંચો :-