- ઉમેદવારની સર્વાનુમતે પસંદગી કરવાનાં નામે પૂર્વ પ્રમુખોના ટોળાએ આચરેલી ભૂમિકા શંકાના ઘેરામાં, ઉદ્યોગજગતે અવિશ્વાસનો આંચકો અનુભવ્યો
- દર વર્ષે ચૂંટણી લગભગ બિનહરીફ યોજાતી આવી છે અને વખતોવખત વિશ્વાસનું પાલન પણ કરાય છે પરંતુ આ વખતે અપાયેલો વિશ્વાસ, પ્રોમિસનું સરેઆમ નીલામ કરવામાં આવ્યું
- પૂર્વ પ્રમુખોની કમિટીની કોઇ જ કાયદેસરતા નથી, પરંતુ સમાધાનકારી ઉકેલ લાવવાની ભૂમિકા ભજવે છે. વળી, મહાજનોની સંસ્થા માટે આ વ્યાજબી પણ છે પરંતુ આ વખતે પંચમાં બેઠેલા લોકોએ જ વિશ્વાસની પરંપરાની કાળો ધબ્બો લગાડ્યો
- ચેમ્બરની ચૂંટણીમાં ખરેખર ચાર ઉમેદવારો સ્પર્ધામાં હતા પરંતુ પૂર્વ પ્રમુખોની ફોરમે માત્ર બે જ ઉમેદવારો મિતીશ મોદી અને રવિરાજ દેસાઇને બોલાવીને મિતીશ મોદીને દરવાજો દેખાડી દીધો
- પૂર્વ પ્રમુખોની બેઠકમાં ઉમેદવારની પસંદગી કરવા મતદાન યોજવામાં આવ્યંુ પરંતુ કોને કેટલા મત મળ્યા એ જાહેર કર્યા વગર જ મિતીશ મોદીને રિજેક્ટ કરી દીધા! બેઠક ખરેખર પારદર્શી હતી તો મતદાનની વિગતો કેમ જાહેર કરવામાં આવી નહીં?
- નવાઇની વાત તો એ પણ છે કે પૂર્વ પ્રમુખોના ભરોસે આપેલ ઉમેદવારી પરત ખેંચતા ‘વિડ્રોઅલ’ લેટર પણ મિતીશ મોદીના માંગવા છતાં પરત કર્યા વગર ચૂંટણી સમિતિને સુપ્રત કરીને તેમની ઉમેદવારી રદ્ કરાવી દીધી
સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની આ વર્ષની ચૂંટણી અનેક વિવાદો કરતા સતત અન્યાય અને વિશ્વાસઘાતથી ભરેલી છે. ચેમ્બરના ભૂતપૂર્વ પ્રમુખો લગભગ દર વર્ષે કોણ નવો પ્રેસિડેન્ટ બનશે એ નક્કી કરતા આવ્યા છે. કોઇપણ સંસ્થામાં ચૂંટણી રોકવી અને સમાધાન એટલે સર્વસંમત્તિથી નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવે એ આવકાર્ય છે. ચેમ્બર્સની ચાલી આવતી પરંપરા મુજબ પૂર્વ પ્રમુખોનું જૂથ એટલે કે કમિટી ઉમેદવારોને સાંભળીને કોને ચૂંટણી લડાવવી કે બિનહરીફ વરણી કરવી એ નક્કી કરતા આવ્યા છે અને અપવાદરૂપ ઘટના બાદ કરતા અત્યાર સુધી સર્વસંમત્તિ સાધવા સાથે હોદ્દેદારોની બિનહરીફ નિમણૂંકો થતી આવી છે. દરેકને તેની લાયકાત, સિનિયોિરટી પ્રમાણે હોદ્દાઓ મળતા આવ્યા છે. પૂર્વ પ્રમુખોના નિર્ણય સામે ક્યારેય પણ બળવો કરવાની ઘટના બનવા પામી નથી.
પરંતુ આ વખતે પૂર્વ પ્રમુખોએ કરેલો પક્ષપાત સ્પષ્ટ ઉઘાડો પડી ગયો હતો. પૂર્વ પ્રમુખનો નિર્ણય એ બંધારણીય નિર્ણય નથી પરંતુ એક એવી છાપ ઊભી કરવામાં આવી છે કે પૂર્વ પ્રમુખોના નિર્ણયને ઉથલાવી શકવાનું શક્ય જ નથી કારણ કે પૂર્વ પ્રમુખની જડ છેક નીચે સુધી એટલી હદે મજબૂત કરવામાં આવી છે કે નાફરમાની કરીને દાવેદારી કરનારને ‘ભોં’ માં ભંડારી દેવામાં આવે છે. મતલબ નાફરમાની કરનારનું જીતવાનું શક્ય જ નથી. બીજા અર્થમાં કહીએ તો ચેમ્બર ઓફ કોમર્સના કારભારમાં સત્તાની બહાર રહીને પણ પૂર્વ પ્રમુખો પોતાનું ધાર્યું કરાવી શકે છે.
વળી પૂર્વ પ્રમુખોની ફોરમે એટલી સજ્જડ વ્યવસ્થા ગોઠવી છે કે ચૂંટણી લડવા માંગતા ઉમેદવારોને પૂર્વ પ્રમુખોનું ફોરમ સાંભળતા પહેલા ઉમેદવારો પાસેથી સૌથી પહેલા ઉમેદવારી પરત ખેંચી રહ્યા હોવાનો ‘વિડ્રોઅલ’ પત્ર પહેલા લખાવી લેવામાં આવે છે અને પછી જ પૂર્વ પ્રમુખો પોતાનો નિર્ણય જાહેર કરે છે. મતલબ ઉમેદવાર ‘વિડ્રોઅલ’ પત્ર આપીને પૂર્વ પ્રમુખોના શરણે થઇ જાય છે અને ત્યાર બાદ પૂર્વ પ્રમુખો નક્કી કરે છે કે કોણ નવો પ્રમુખ બનશે? પરંતુ અત્યાર સુધીની મોટાભાગની ઘટનાઓમાં પૂર્વ પ્રમુખોનો નિર્ણય ન્યાયના દાયરામાં કરાતો હતો અને ચૂંટણીમાં ખસી જનાર ઉમેદવારોને આપવામાં આવેલા વચનો, ખાતરીઓનું પાલન કરવામાં આવતું હતું. આ પરંપરા આજકાલથી નહીં વર્ષોથી ચાલી આવે છે.
પૂર્વ પ્રમુખોના ફોરમની કોઇ બંધારણીય કાયદેસરતા નથી. તેમ છતાં આ ફોરમનો નિર્ણય સર્વમાન્ય રાખવામાં આવે છે અને શક્ય હોય ત્યાં સુધી મતદાનની પ્રક્રિયા એટલે ચૂંટણી ટાળવામાં આવે છે. પરંતુ આ વખતે પૂર્વ પ્રમુખોએ કરેલો પક્ષપાત સ્પષ્ટ દેખાઇ આવતો હતો. વળી, પૂર્વ પ્રમુખોના હાજર રહેલા ૨૨ સભ્યોએ વોટીંગ કરીને નિર્ણય કર્યો હતો. પરંતુ નિર્ણય જાહેર કરાયા વગર જ ઉમેદવાર જાહેર કરી દેવાયો હતો! કોને કેટલા મત મળ્યા એ જાણવાનો બધાને લોકશાહી શાસનમાં દરેકને અધિકાર છે પરંતુ કમિટી સભ્યોએ મતોની વિગતો જાહેર કર્યા વગર જ બધાને જ અંધારામાં રાખીને પોતાને ગમતો ઉમેદવાર પસંદ કરી દીધો. પૂર્વ પ્રમુખની આ હરકત સામે સુરતની ઉદ્યોગ આલમે ભારે આંચકો અનુભવ્યો હતો અને સુરત ચેમ્બર્સની ચૂંટણી પૂર્વ પ્રમુખોની દાદાગીરીથી ઉમેદવાર ઠોકી બેસાડયો હતો.વાત અહિંયાથી પૂરી થતી નથી. નાપસંદ કરાયેલ ઉમેદવારને ‘વિડ્રોઅલ’ નો પત્ર પણ પરત કર્યો નહોતો અને તેમની ઉમેદવારીને દફતરે કરી દીધી હતી!
ખેર, મૂળ વાત એ હતી કે ગત વર્ષની ચૂંટણી વખતે કેટલાક સમાધાન થયા હતા અને સમજૂતીના ભાગરૂપે સી.એ.મિતીશ મોદીએ ચૂંટણી લડવાનું માંડી વાળ્યું હતું અને રાજેન્દ્ર ચોખાવાલા સહિત પૂર્વ પ્રમુખોની સમજાવટ શિરોમાન્ય રાખીને પોતાની ઉમેદવારી પરત ખેંચી લીધી હતી અને નિખિલ મદ્રાસીના પ્રમુખપદ માટે માર્ગ મોકળો કરી આપવા ઉપરાંત આખું વર્ષ ટ્રેઝરર તરીકેની પ્રસંશનિય ફરજ બજાવી હતી. રાજેન્દ્ર ચોખાવાલા સહિત અન્ય અગ્રણીઓ મિતીશ મોદીને વર્ષ ૨૦૨૬-૨૭ માટે ઉપપ્રમુખ બનાવવાનો વિશ્વાસ અપાવ્યો હતો. અલબત્ત ખૂબ જ અભ્યાસુ અને સી.એ.તરીકેનો અઢી દાયકાનો અનુભવ ધરાવતા મિતીશ મોદી ચેમ્બરના ઉપપ્રમુખ માટે ખરેખર લાયક ઉમેદવાર હતા જ ઉપરાંત રાજેન્દ્ર ચોખાવાલાની પણ તેમને સમર્થન આપવાની નૈૈતિક ફરજ હતી અને એકમાત્ર રાજેન્દ્ર ચોખાવાલાના કહેવાથી તેમણે ઉમેદવારી પરત ખેંચવાનો પત્ર ચેમ્બરને નહી પરંતુ રાજેન્દ્ર ચોખાવાલાના હાથમાં મૂક્યો હતો. ‘કોરા ચેક’ જેવો વિડ્રોઅલ પત્ર રાજેન્દ્ર ચોખાવાલાના હાથમાં મૂકીને મિતીશ મોદીએ વિશ્વાસ સાથે ભૂલ કરી હતી. જોકે નિયમ મુજબ કોઇ ત્રીજી વ્યક્તિ કોઇનો વિડ્રોઅલ પત્ર આપે એટલે ઉમેદવારી રદ થઇ શકતી નથી પરંતુ ચેમ્બરના કારભારીઓ પણ મનઘડંત અર્થઘટન કરીને રાજેન્દ્ર ચોખાવાલા સહિત અન્ય પૂર્વ પ્રમુખોએ મિતીશ મોદીનો ઉમેદવારી પત્ર ચેમ્બરમાં જમા કરાવીને મિતીશ મોદીની ઉમેદવારી દફતરે કરાવી દીધી હતી!
બીજી વાસ્તવિકતાએ પણ છે કે ચેમ્બર ઓફ કોમર્સ કોઇ જ રજીસ્ટર્ડ સંસ્થા નથી. અહિંયા કરાતી આર્થિક, સામાજિક, ઔદ્યોગિક પ્રગતિની કોઇ જ કાયદેસરતા નથી. મતલબ ચેમ્બરની ચૂંટણીની ખરેખર કાયદેસરતા નથી પરંતુ ઉદ્યોગકારો, વેપારીઓનું સંગઠન હોવાથી એકબીજાના સહકારથી બધું ચાલ્યા કરે છે.ખેર, મૂળ વાત ઉપર આવીએ તો આ વખતે ઉપ્રમુખપદ માટે ચાર ઉમેદવારોના મિતીશ મોદી, રવિરાજ દેસાઇ, મનિષ કાપિડયા અને નિતીન ભરૂચા મેદાનમાં હતા.
આ પૈકી મનિષ કાપિડયા અને નીતિન ભરૂચાને ચેમ્બરના કારભારીઓએ બોલાવ્યા પણ નહોતા. માત્ર રવિરાજ દેસાઇ અને મિતીશ મોદીના ઉમેદવારી પરત ખંેચતા ‘વિડ્રોઅલ’ પત્રો લઇને પૂર્વ પ્રમુખોની બેઠકમાં બોલાવ્યા હતા. આ બેઠકમાં ગણીને ૨૪ પૂર્વ પ્રમુખો હાજર હતા.વળી ચેમ્બરના કારભારીઓની દાનત ખરેખર સર્વાનુમતે ઉમેદવાર પસંદ કરવાની હતી જ તો અન્ય ઉમેદવારો મનિષ કાપડિયા અને નિતીન ભરૂચાને કેમ બોલાવવામાં આવ્યા નહીં? આ પણ મહત્વનો પ્રશ્ન છે. પરંતુ ચેમ્બરના કારભારીઓને ખાતરી હતી કે એકમાત્ર મિતીશ મોદી ઉપપ્રમુખપદ માટે સક્ષમ ઉમેદવાર હતા અને મિતીશ મોદીનો કાંટો કાઢવા માટે પૂર્વ પ્રમુખોનું ફોરમ હાથવગું સાધન હતું.
ઉમેદવારની મતદાન કરીને પસંદગી કરવાની વાત આવતા પૂર્વ પ્રમુખ નિલેશ માંડલેવાલા અને રોહિત મહેતા બેઠક છોડીને જતા રહ્યા હતા કારણ કે આ બન્ને અગ્રણીઓ સર્વાનુમતના આગ્રહી હતા. વળી સમાધાન કરવા માટે એકઠા થયેલા આગેવાનો મતદાનની વાત કરે એ પણ કેટલા અંશે વ્યાજબી ગણી શકાય પરંતુ આગોતરો નિર્ણય કરીને બેઠેલા લોકોએ મતદાન કરીને આખો ખેલ પાડી દીધો હતો અને મિતીશ મોદીને બાજુમાં ધકેલીને રવિરાજ દેસાઇની ઉમેદવાર તરીકે પસંદગી કરી હતી!
નવાઇની વાત તો એ છે કે ગણીને ભેગા થયેલા ૨૨ પૂર્વ પ્રમુખોએ કરેલા મતદાનની વિગતો પણ જાહેર કરવામાં આવી નહોતી! લોકશાહીને વરેલા ભારત દેશના રાષ્ટ્રપતિની ચૂંટણીનાં મતદાનની વિગતો જાહેર કરવામાં આવતી હોય તો સુરત ચેમ્બર કઇ મોટી આંતરરાષ્ટ્રીય કે જાસૂસી સંસ્થા છે કે જેના મતદાનની વિગતો છુપાવવામાં આવી રહી છે. મતલબ ચેમ્બરના પૂર્વ પ્રમુખોની નૈતિકતા સામે જ સવાલ ઉઠી રહ્યા છે અને કોઇ પાપ છુપાવવા માટે આખી વિગતો છુપાવવામાં આવી રહી છે, એવું ચિત્ર ઉભરી રહ્યું છે.
આ બધાની વચ્ચે સુરત શહેરના જાહેર જીવનમાં મુઠ્ઠી ઉંચેરું અને આદરપાત્ર સ્થાન ધરાવતા રાજેન્દ્ર ચોખાવાલાની તટસ્થતા અને પારદર્શિતા સામે આંગળી ઉઠી રહી છે. મિતીશ મોદીનું જે થવાનું હશે તે થશે પરંતુ રાજેન્દ્ર ચોખાવાળાનો વિશ્વાસનો રથ નીચે આવી ગયો છે. રાજેન્દ્ર ચોખાવાળાની કોઇક મજબૂરી હતી તો તેમણે સમગ્ર પ્રક્રિયાથી દૂર રહેવાની જરૂર હતી પરંતુ ન્યાયની ખુરશીમાં બેસીને અન્યાય કરવાથી લોકો રાજેન્દ્ર ચોખાવાળાની નૈતિકતા સામે સવાલો ઉઠાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે ‘રાજેન્દ્ર ચોખાવાળાઅે આવું કર્યું?’ કારણ કે પાછલા વર્ષની ચૂંટણી વખતે રાજેન્દ્ર ચોખાવાલાના કહેવાથી જ મિતીશ મોદી ચૂંટણીની સ્પર્ધામાંથી દૂર થઇ ગયા હતા.
ખેર, હવે એક વાત ચોક્કસ પુરવાર થઇ ચૂકી છે કે, મહારાજનોની સંસ્થા ચેમ્બર ઓફ કોમર્સમાં પણ ‘ઉજળું એટલું દૂધ નથી.’ કોઇક ખૂણામાં ચોક્કસ કાળુધોળુ થતું હશે એવી શંકા કરવાના કારણો મળી રહ્યા છે. આમ પણ ચેમ્બર્સની માલિકીનાં ગણાતાં ‘ટ્રસ્ટ’નાં વહેવારો સામે પણ લોકોને હવે શંકા કરવાને સ્થાન મળશે. ચેમ્બરના ઉપપ્રમુખની એક નાનકડી ચૂંટણીમાં રોપાયેલા ‘વેર’ અને ‘અન્યાયનાં બીજ’ ભવિષ્યમાં કાંટા બનીને પણ ભોંકાઇ શકવાનો ભય દેખાઇ રહ્યો છે.