ભારત સરકારે પાકિસ્તાન સામે વધુ એક કડક કાર્યવાહી કરતાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પાકિસ્તાનમાં રહેતા 23 નાગરિકોને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (રોકથામ) અધિનિયમ (UAPA) હેઠળ સત્તાવાર રીતે આતંકવાદી જાહેર કર્યા છે. સરકારના નોટિફિકેશન મુજબ, આ તમામ વ્યક્તિઓ જૈશ-એ-મોહમ્મદ (JeM), લશ્કર-એ-તૈયબા (LeT) તેમજ અન્ય આતંકવાદી સંગઠનો સાથે સંકળાયેલા છે અને ભારત વિરોધી પ્રવૃત્તિઓમાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યા હતા.
જમ્મુ-કાશ્મીરમાં આતંકી પ્રવૃત્તિઓમાં સંડોવણીનો આરોપ
ગૃહ મંત્રાલયના જણાવ્યા મુજબ, આ તમામ લોકો પર જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિઓ માટે યુવાનોની ભરતી કરવી, આતંકીઓની ઘૂસણખોરી કરાવવી, તાલીમ આપવી, ડ્રોન મારફતે હથિયારો પહોંચાડવા તેમજ આતંકવાદી હુમલાના કાવતરાં ઘડવાના ગંભીર આરોપો છે. જાહેર કરાયેલા 23 આતંકવાદીઓમાંથી ત્રણ લોકો લશ્કર-એ-તૈયબાના સ્થાપક હાફિઝ સઈદના નજીકના સાથી હોવાનું જણાવાયું છે. ઉપરાંત ત્રણ લોકો વર્ષ 2016માં નાગરોટા સ્થિત સેનાના કેમ્પ પર થયેલા આતંકી હુમલા અને બે લોકો વર્ષ 2018માં સુન્જવાન મિલિટરી સ્ટેશન પર થયેલા હુમલામાં સંડોવાયેલા હોવાનું પણ કહેવામાં આવ્યું છે.
નોટિફિકેશનમાં શું કહેવામાં આવ્યું?
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જાહેર કરેલા નોટિફિકેશનમાં અબ્દુલ રઊફ, હાફિઝ ખાલિદ વલીદ અને રાણા ઇફ્તિખારને હાફિઝ સઈદના નજીકના સહયોગી તરીકે ઓળખાવ્યા છે.
નોટિફિકેશન મુજબ 54 વર્ષીય રાણા ઇફ્તિખાર વિવિધ જેહાદી સંગઠનો વચ્ચે સંકલન સ્થાપિત કરે છે, યુવાનોને આતંકવાદી પ્રવૃત્તિઓ માટે ઉશ્કેરે છે અને હાફિઝ સઈદનો વિશ્વાસુ સાથી માનવામાં આવે છે.
52 વર્ષીય અબ્દુલ રઊફ લશ્કર-એ-તૈયબા અને જમાત-ઉદ-દાવા સાથે સંકળાયેલો છે. તે આતંકવાદી પ્રવૃત્તિઓનું આયોજન, સંકલન અને ફંડ એકત્ર કરવાની કામગીરીમાં સક્રિય રહ્યો હોવાનું જણાવાયું છે. તે હાફિઝ સઈદના સીધા માર્ગદર્શન હેઠળ કાર્યરત મુખ્ય આતંકવાદીઓમાંનો એક હોવાનું પણ નોટિફિકેશનમાં ઉલ્લેખ છે.
તે જ રીતે 51 વર્ષીય હાફિઝ ખાલિદ વલીદ હાફિઝ સઈદની સુરક્ષા સાથે જોડાયેલો છે અને અનેક આતંકવાદી પ્રવૃત્તિઓને અંજામ આપવા માટે સક્રિય રહ્યો છે. અનેક આતંકી હુમલાઓનો માસ્ટરમાઇન્ડ પણ તેને ગણાવવામાં આવ્યો છે.
NIAને મળશે વધુ સત્તા
આ 23 લોકોના નામ આતંકવાદીઓની સત્તાવાર યાદીમાં ઉમેરાયા બાદ હવે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ને તેમની સંપત્તિ જપ્ત કરવા, તેમના નાણાકીય સ્ત્રોતો પર પ્રતિબંધ મૂકવા તેમજ હથિયારોના નેટવર્કને ખતમ કરવા માટે વધુ કાનૂની સત્તા મળશે.
ઉલ્લેખનીય છે કે વર્ષ 2019માં UAPAમાં કરાયેલા સુધારા બાદ વ્યક્તિગત આતંકવાદીઓને પણ આતંકવાદી જાહેર કરવાની જોગવાઈ કરવામાં આવી હતી. તે પહેલાં માત્ર આતંકવાદી સંગઠનોને જ પ્રતિબંધિત જાહેર કરી શકાયતા હતા.
આતંકવાદીઓની સંખ્યા હવે 80 થઈ
શનિવારે જાહેર કરાયેલા આદેશ બાદ પાકિસ્તાનમાં રહેતા વધુ 23 આતંકવાદીઓના નામ યાદીમાં ઉમેરાયા છે. તેમાં જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળો પર થયેલા અનેક આતંકી હુમલાઓમાં સંડોવાયેલા લોકોનો પણ સમાવેશ થાય છે. આ સાથે ભારત સરકાર દ્વારા સત્તાવાર રીતે જાહેર કરાયેલા આતંકવાદીઓની કુલ સંખ્યા હવે 80 થઈ ગઈ છે.
જૈશ-એ-મોહમ્મદના આ આતંકવાદીઓનો સમાવેશ
કેન્દ્ર સરકારે મસૂદ ઇલિયાસ કાશ્મીરી, મોહમ્મદ મુસાદિક ઉર્ફે ડોક્ટર, મુફ્તી મોહમ્મદ અસગર ખાન ઉર્ફે અબૂ સાદ, હાફિઝ અબ્દુલ શકૂર ઉર્ફે કારી જર્રાર, અબ્દુલ્લા જેહાદી, ગુલામ ફરીદ, મૌલાના ઇમદાદ ઉલ્લાહ મક્કી અને વસીમ નૂર જટને આતંકવાદીઓની યાદીમાં સામેલ કર્યા છે.
લશ્કર-એ-તૈયબાના આ આતંકવાદીઓ પણ જાહેર
લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા ફિરદૌસ અહમદ ભટ, હારૂન રશીદ ગનાઈ, બિલાલ અહમદ મીર, આબિદ કય્યૂમ લોન, નઝીર અહમદ ગુજ્જર, અબ્દુલ રઊફ ઉર્ફે હાફિઝ અબ્દુલ રઊફ, અશફાક અહમદ, હાફિઝ ખાલિદ વલીદ, મૌલાના સૈફુલ્લા ખાલિદ, મોહમ્મદ યાકૂબ, મૌલાના યુસુફ તૈબી, ઓવૈસ ફારૂક, કારી યાકૂબ શેખ, રાણા ઇફ્તિખાર તેમજ મોહમ્મદ શાહિદ ફૈસલ (જે અલ-કાયદા અને ISIS સાથે પણ સંકળાયેલો હોવાનું જણાવાયું છે)ને પણ આતંકવાદીઓની સત્તાવાર યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે.