Saturday, Sep 13, 2025

Bihar Boat Sinks : બિહારમાં બાળકોને લઈ જતી બોટ ડૂબી, ૨૦ને બચાવી લેવાયા તો ૧૦ ગુમ

2 Min Read
  • Muzaffarpur News: આ ઘટના બેનિયાબાદ ઓપી વિસ્તારના મધુરપટ્ટી ઘાટ પાસેની છે. બોટમાં ૯મા અને ૧૦મા ધોરણના બાળકો સવાર હતા. બાળકો સાથે અન્ય કેટલાક લોકો પણ હતા.

બિહારના મુઝફ્ફરપુરમાં ગુરુવારે (૧૪ સપ્ટેમ્બર) સવારે એક મોટી બોટ દુર્ઘટના થઈ. બાગમતી નદીમાં શાળાના બાળકોથી ભરેલી બોટ ડૂબી ગઈ હતી. સ્થાનિક લોકોની મદદથી ૨૦ જેટલા બાળકોને બહાર કાઢવામાં આવ્યા હતા.

કેટલાકે સ્વિમિંગ કરીને પોતાનો જીવ બચાવ્યો હતો. ૧૦ જેટલા ગુમ છે. કહેવાય છે કે બોટમાં લગભગ ૩૦ બાળકો સવાર હતા. જો કે સ્પષ્ટ આંકડાઓ અંગે હજુ સુધી કોઈ કંઈ કહી રહ્યું નથી.

આ ઘટના બેનિયાબાદ ઓપી વિસ્તારના મધુરપટ્ટી ઘાટ પાસેની જણાવવામાં આવી રહી છે. ગુમ થયેલા બાળકોની શોધ ચાલી રહી છે. SDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. સ્થાનિક ડાઈવર્સ પણ બાળકોને શોધી રહ્યા છે. કહેવાય છે કે બોટમાં કેટલીક મહિલાઓ પણ હતી.

સત્તાવાર સમર્થન બાદ જ કંઈક કહી શકાય. ઘટના અંગે નાવિકે જણાવ્યું કે તે બોટમાં લોકોને લાવી રહ્યો હતો ત્યારે અચાનક દોરડું તૂટવાને કારણે આ ઘટના બની હતી. નાવિકના જણાવ્યા અનુસાર, બોટમાં લગભગ ૩૦ લોકો સવાર હતા. તેમણે કહ્યું કે હજુ પણ ઘણા લોકો ગુમ છે. કેટલાક લોકો પાણીના જોરદાર પ્રવાહને કારણે બોટ ડૂબી જવાની વાત કરી રહ્યા છે.

આ ઘટના અંગે ડીએસપી પૂર્વ સહિયાર અખ્તરે કહ્યું કે સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે. જણાવવામાં આવ્યું છે કે બોટમાં લગભગ ૨૫ થી ૩૦ લોકો સવાર હતા. દરેકના પરિવારના સભ્યો આવ્યા બાદ જ બોટમાં કેટલા લોકો હતા તે જાણી શકાશે. લગભગ ૨૦ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે.

આ પણ વાંચો :-

Share This Article